Homeગુર્જર નગરીGOOD NEWS: રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 80 ટકા નજીક પહોંચ્યો

GOOD NEWS: રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 80 ટકા નજીક પહોંચ્યો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આજે પણ કોરોનાના કેસને લઈને રાહતના સમાચાર મળ્યા છે. જો કે ગઈકાલ કરતાં કેસમાં થોડો વધારો થયો છે પરંતુ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી છે. મૃતકના આંકડામાં પણ નજીવો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં સતત છ દિવસથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નવા કેસ પણ ઘટી રહ્યા છે.

છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં કોરોના કેસ મામલે રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોરોનાના કહેરમાંથી ધીમે ધીમે બહાર આવતું હોય તેવું વર્તાઈ રહ્યું છે. દિવસે દિવસે કોરોના કેસનો ગ્રાફ ઘટી રહ્યો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આજે સોમવારે છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે 14 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. જો કે ગઈકાલ કરતાં 500 દર્દીઓ વધુ નોંધાયા છે. પરંતુ સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,592 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 14,931 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 117 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેનાથી સરકારી તંત્ર અને રાજ્યની જનતા રાહતનો શ્વાસ લઈ રહી છે.

અમદાવાદમાં ફરી વધ્યા કેસ

અમદાવાદ શહેરમાં ગઈકાલ કરતાં આજે કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ફરીથી દૈનિક કેસનો આંક 3 હજારને પાર કરી ગયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌથી વધુ 3194 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 19 લોકોના મોત થયા છે જ્યારે 6711 લોકોને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 823 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 1809 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે 8 લોકો મોતને ભેટ્યા છે. વડોદરા શહેરમાં આજે સોમવારે 751 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 538 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 7 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 319 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 556 દર્દીઓએ કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે 5 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.

એક્ટિવ કેસ ઘટ્યા

રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે હાલ કુલ 1,36,158 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 792 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 1,35,366 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે 8511 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 5,47,935 લોકો કોરોનાને હરાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાજ્યનો રીકવરી રેટ 79.11 ટકાએ પહોંચ્યો છે.

2 લાખથી વધુ રસીના ડોઝ અપાયા

સોમવારે રસીકરણ અભિયાનમાં થોડી ગતિ જોવા મળી છે. એક દિવસમાં 2 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,07,700 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,03,94,150 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ અને 33,55,185 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આમ કુલ 1,37,49,335 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 18 થી 44 વર્ષના કુલ 29,218 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45થી વધુની ઉંમરના કુલ 35,180 લોકોને રસીનો પ્રથમ અને 1,32,466 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments