Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમપરા ગામના એક યુવકે પ્રેમલગ્ન કર્યાના એક જ મહિનામાં પત્નીની હત્યા કરીને લાશને દાટી દીધી હતી. સમગ્ર મામલા પરથી ત્યારે પડદો ઉંચકાયો જ્યારે યુવતીના પિતા તેને મળવા માટે પ્રેમપરા ગામે આવ્યા. તે વખતે તેમની દીકરી ન મળતાં આખરે તપાસ કરતાં સમગ્ર મામલાનો ફાંડો ફૂટ્યો હતો. આ હત્યા કેસમાં પોલીસે પતિની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતે વાત કરીએ તો, વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે 32 વર્ષના જીવરાજ જોગાભાઈ માથાસુરિયાએ ગીર સોમનાથ જિલ્લાના અંબાળા ગામની લક્ષ્મી વાઢેલિયા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બે મહિના પહેલાં જીવરાજ અને લક્ષ્મી ઘરેથી ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધા હતા. લગ્નના દોઢેક મહિના બાદ લક્ષ્મીના પિતા કરમશીભાઈને દીકરીને મળવાની ઈચ્છા થઈ હતી તેથી તોઓ પત્ની સાથે દીકરી લક્ષ્મીને મળવા માટે પ્રેમપરા ગામે પહોંચ્યા હતા. જ્યાં જીવરાજે લક્ષ્મી ઘરે ન હોવાનું કહ્યું હતું અને લક્ષ્મી વિશે પુછતા ગોળ ગોળ જવાબો આપ્યા હતા. જેથી પિતાને કંઈક ખોટું થયું હોવાની ગંધ આવી હતી. દીકરીની કોઈ ભાળ ન મળતાં પિતા કરમશીભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
વિસાવદર પોલીસે આ મામલે જીવરાજના ઘરે આવીને તેની પૂછપરછ કરી હતી. પુછપરછમાં જીવરાજે પોલીસને પણ ગોટે ચડાવી હતી. જીવરાજે પોલીસને કહ્યું કે, અમે સોમનાથ ગયા હતાં ત્યાં લક્ષ્મી દરિયામાં ડૂબી ગઈ છે. જો કે પોલીસને જીવરાજ ખોટું બોલી રહ્યું હોવાનું જણાઈ આવતાં તેની આકરી પુછપરછ કરી હતી જેમાં તે ભાંગી પડ્યો હતો અને સત્ય હકીકત જણાવી હતી. જીવરાજે પોલીસ સમક્ષ સમગ્ર હકીકતની કબૂલાત આપતાં જણાવ્યું હતું કે, તેને લક્ષ્મીની હત્યા કરીને લાશને સીમ વિસ્તારમાં દાટી દીધી છે.
પ્રેમપરાના રોણીયા વિસ્તારમાં ધાબડધોયા નદીના ડેમ પાસે જંગલી પ્રાણીઓએ 8-10 ફૂટ ઊંડું ભોંયરું બનાવ્યું હતું. જીવરાજે લક્ષ્મીની લાશને ખભે ઉપાડીને અહીં લાવી ભોંયરામાં નાંખી દીધી હતી, અને તેના પર માટી નાંખીને દાટી દીધી હતી. પોલીસે હત્યા સ્થળ પરથી લક્ષ્મીની લાશના અંગો બહાર કાઢ્યા હતા. લક્ષ્મીના શરીરના અંગો જોતાં જ તેના માતા-પિતા ભાંગી પડ્યા હતા. આ મામલે જીવરાજની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
