Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જેલની પાસેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે. આ યુવકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધો હોય તેવું પ્રાથમિક દૃષ્ટીએ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. મૃતકની ઓળખ હજુ સુધી નથી થઈ પરંતુ માથાના ભાગેથી નીકળતું લોહી જોઈ લાગી રહ્યું છે કે યુવાનને માથાના ભાગે કોઈ વજનદાર વસ્તુ ફટકારવામાં આવી છે. મૃતક રખડતો ભટકતો ભિક્ષુક હોવાનું મનાઈ રહ્યું છે.
જૂનાગઢ શહેરમાં અપરાધ દિવસે ને દિવસે વધી રહ્યા છે. એવામાં જેલની પાસે જ એક યુવાનનું કાસળ કાઢી નાખવામાં આવતા આસપાસના લોકોમાં લખલખું પસાર થઈ ગયું હતું. ઘટના અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢની જેલ પાસેથી એક ત્રીસેક વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે યા તો તે ભીક્ષુક હોવો જોઈએ અથવા તો કચરા વિણવાના વ્યવસાય સાથે સંકળાયેલો હોવો જોઈએ.
આ સમગ્ર ઘટના અંગે ખાનગી સિક્યોરિટી ગાર્ડ હસનભાઈ સીડા અને અખબાર વિતરણનું કામ કરતા અલ્તાફભાઈ કલ્યાણીએ નજીકમાં જ રહેતા બ્રિજમોહનભાઈ રામેશ્વરભાઈ શર્માને આ અંગેની જાણ કરી હતી. બાદમાં મૃતદેહની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને હાલ પોસ્ટમોર્ટ માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે બ્રિજમોહનભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સોની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો