Team Chabuk-Gujarat Desk: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે અમિત શાહે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (પંચામૃત ડેરી)ના ઓક્સિજન પ્લાન્ટ અને તાડવામાં ૪૭૦૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળા પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને પંચામૃત ડેરી દ્વારા દૈનિક ત્રણ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલ માલેગાંવ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં દૈનિક પાંચ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના સ્થાપનાર પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
આ તકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં આગામી પાંચ વર્ષમાં સહકારી પ્રવૃત્તિ વ્યાપક થશે. કેન્દ્ર સરકાર સહકારી પ્રવૃત્તિને વેગ મળે એ માટે અનેક પ્રકારના કાયદાકીય સુધારા લાવી રહી છે. દેશના ખેડૂતો અને દૂધઉત્પાદકોનું કલ્યાણ થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય જોગવાઈઓ વધારીને અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
ગોધરામાં પંચામૃત દૂધ સંઘ દ્વારા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આનાથી ક્ષેત્રમાં મૂળભૂત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
— Amit Shah (@AmitShah) May 29, 2022
આ સાથે વિવિધ રાજ્યોમાં સ્થિત પંચામૃત ડેરીના પ્લાન્ટનું ઈ-લોકાર્પણ અને શિલાન્યાસ તેમજ તેના સુવર્ણ જયંતી Logo નુ પણ અનાવરણ કર્યુ. pic.twitter.com/2m2kpGhvo5
અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પશુપાલન વિભાગના બજેટમાં રૂ. ૨ હજાર કરોડની વધારીને રૂ. ૭ હજાર કરોડ કર્યું છે. તેની સાથે દેશની ગાયોના સંવર્ધન અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુલમ મિશન ઉપરાંત ઘાચચારા સંયંત્રયણ વિકાસ માટે ૨૫ ટકાની ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (પંચામૃત ડેરી ) ના ૩૦ ઘન મીટર પ્રતિ કલાકની ક્ષમતા વાળા ઓકિસજન પ્લાન્ટ અને તાડવામાં ૪૭૦૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળા પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને પંચામૃત ડેરી દ્વારા દૈનિક ત્રણ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલ માલેગાંવ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં દૈનિક પાંચ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના સ્થાપનાર પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે પંચામૃત ડેરીના સુવર્ણજયંતી લોગોનું અનાવરણ કરવા સાથે પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નૂતન ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. મંત્રીએ પંચમહાલ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ એ.ટી.એમ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

અમિત શાહે શ્રેષ્ઠ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને પુરસ્કાર વિતરણ કરવા સાથે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓને પણ એવોર્ડનું વિતરણ કર્યું હતું. શાહે કહ્યું કે, આગામી સમયમાં દેશમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિ આવશે. સહકારી પ્રવૃત્તિમાં અનેક નવા ક્ષેત્રો જોડવા માટે કેન્દ્ર દ્વારા ડેટા બેંક ઉભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પ્રાયમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી (પેક્સ)ની સંખ્યા ત્રણ ગણી કરવા કાયદાકીય સુધારા પણ વિચારણા હેઠળ છે.
અમિત શાહે ઉમેર્યું કે, સહકારી ખાંડસરી ઉપર ભાવ ફેર અંગે લગાવવામાં આવતો અનોમલી ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે. જેનાથી શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થયો છે. એ જ રીતે સહકારી ક્ષેત્ર પરના સરચાર્જને ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરવામાં આવ્યો છે. આ ટેક્સ કોર્પોરેટની સમકક્ષ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સહકારિતા પર ૧૮.૫ ટકા વેટ હતો, તે ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે.
દેશને ગૌરવ થાય એવી સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં થઈ રહી છે, એમ જણાવતા અમિત શાહે કહ્યું કે, વિદેશના મહાનુભવોને અમે એક કહીએ કે ગુજરાતની અમૂલ ડેરી દ્વારા રૂ. ૬૦ હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર થાય છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ માત્ર સહકારના માધ્યમથી જ શક્ય બન્યું છે. દેશભરની તમામ સહકારી મંડળીનું રૂ. ૬૫૦૦ કરોડના ખર્ચથી કોમ્પ્યુટરાઇઝેશન કરીને નાબાર્ડ સાથે જોડવામાં આવશે. સહકારી પ્રવૃત્તિ માટે આ કદમ ક્રાંતિકારી સાબિત થશે.
અમિત શાહે જણાવ્યું કે, એક સમયે પંચમહાલ જિલ્લા સહકારી બેંક બેસી જવાની અણી ઉપર હતી. રિઝર્વ બેંક દ્વારા તેના ઉપર નિયંત્રણો પણ લાદવામાં આવ્યા હતા. તેનો વહીવટ સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા સંભાળવામાં આવ્યો હતો. હું એ વખતે સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર હતો. ત્યારે, અમે નિર્ણય કર્યો હતો કે ગુજરાતની એક પણ જિલ્લા સહકારી બેંકને નબળી પડવા દેવી નથી. તેનું પરિણામે આજે જોવા મળે છે. પંચમહાલ બેંક આજે નફો કરતી થઈ ગઈ છે.
પંચમહાલ, દાહોદ અને મહિસાગર જેવા આદિવાસી વિસ્તારોમાં દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે અગત્યની છે. અનેક આદિવાસી પરિવારો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેવા સમયે પંચામૃત ડેરી આદિવાસી પરિવારો માટે આર્થિક પવૃત્તિનું કેન્દ્ર બન્યું છે. આ ડેરી પણ તેની સ્થાપનાના ૫૦ વર્ષ મનાવી રહી છે. તેની પ્રવૃત્તિ પણ ગુજરાતની સરહદો ઓળંગી ગઇ છે. આજે તેની સાથે ૧૫૭૮ દૂધ મંડળીઓના ૭૩ હજાર દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. ઉપરાંત, પ્રતિદિન ૧૮ લાખ લિટર દૂધ એકત્રીકરણ કરી રૂ. ૩૦૦ કરોડનું ટર્નઓવર કરતી થઇ છે.
ખેડૂતોને પ્રાકૃતિક અપનાવવાનું આહ્વાન કરતા અમિત શાહે કહ્યું કે, રાસાયણિક ખાતરોથી જળ, જમીન અને આરોગ્યને નુકસાન થાય છે. તેથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ દિશામાં એક કદમ આગળ વધતા અમૂલ ડેરીએ ઓર્ગેનિક ઘઉંનો લોટ બજારમાં મૂક્યો છે. તે અન્ય ઉત્પાદનો પણ વેચાણમાં લાવશે. સાથે, અમૂલ ડેરી દ્વારા એક સો જિલ્લામાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને પ્રમાણિત કરવા લેબોરેટરીની સ્થાપના કરાશે, તેમ તેમણે અંતે કહ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રી કુબેર ડીંડોર, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ રતનસિંહ રાઠોડ, જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યો, સહકારી આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેકટર સુજલ મયાત્રા સહિત ડેરીના હોદેદારો, વિવિધ ડેરી સંઘોના ચેરમેન તેમજ પશુપાલકો અને સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત