Team Chabuk-Gujarat Desk: કચ્છના ભુજમાં આવેલી અદાણી મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમદાવાદની યુવતીએ ગઈકાલે સવારે પોતાની હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ભણવામાં હોશિયાર વિદ્યાર્થિનીની આત્મહત્યાથી સૌકોઈ સ્તબ્ધ છે. ઘટનાની જાણ થતા અમદાવાદથી પરિવાર ભુજમાં દોડી આવ્યો હતો.
બનાવની વિગતે વાત કરીએ તો, મૂળ અમદાવાદના નરોડાની અને હાલે જી. કે. જનરલ હોસ્પિટલમાં આવેલી અદાણી મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 21 વર્ષીય દેવાંગી મયુરભાઈ પટેલે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. બુધવારે સવારે 7.30 કલાકે તે રૂમમાં હતી જેથી 8 થી 11 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોવાનું માનવામાં આવે છે. કોઈ અગમ્ય કારણોસર દેવાંગીએ રૂમમાં પંખા પર દુપટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, હતભાગીને માનસિક તણાવ, ચિંતા જેવા લક્ષણો જોવા મળતાં સાયકિયાટ્રીસને બતાવ્યા બાદ તે દવા લેતી હતી. પ્રાથમિક તપાસમાં તણાવમાં આવીને પગલું ભર્યાનું માનવામાં આવે છે. દિવસભર હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ બહાર નીકળ્યા ન હતા. બનાવ બાબતે કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં જાણ કરવામાં આવી હતી. મેનેજમેન્ટ દ્વારા ઘટના દુ:ખદ હોવાનું જણાવાયું હતું.
ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડનું કહેવું છે કે, સવારે 11 કલાકે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓનો અવાજ આવતા તરત દોડીને રૂમ પાસે ગયો જ્યાં દરવાજો ખોલવાનો પ્રયાસ કરાયો પણ ન ખુલ્યો જેથી લાત મારવાના આવી છતાં દરવાજો ન ખુલતા કાચની બારીમાં મુક્કો મારીને તોડી દેતા પંખામાં લટકતો દેહ જોવા મળ્યો હતો. જેને જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા અને તાત્કાલિક આ વાતની જાણ ડીન કરીને પોલીસ બોલાવવામાં આવી હતી.

થોડા દિવસ પહેલા જ અમદાવાદ આવી હતી
મહત્વનું છે કે, વાવાઝોડા પછી દીકરીને મુંઝારો થવા લાગતા તેને ઘરે અમદાવાદ બોલાવી લેવામાં આવી હતી. જ્યાં તેની દવા લેવામાં આવી હતી અને બરોબર થઈ ગયું હતું. જેથી દીકરીએ પરત કોલેજ જવાનું કહેતા તેને ઘરે જ રહેવા સમજાવી હતી. પણ પરીક્ષા આવે છે ભણતર બગડે છે તેમ કહીને તેણે જવાનું કહેતા એકલી ટ્રેનમાં આવી હતી. અહીં આવ્યા બાદ શનિવારે તેણે થોડી તકલીફ હોવાનું કહેતા પરત આવી જવા જણાવાયું હતું પરંતુ તેણે દવા લીધી હતી. છેલ્લે મંગળવારે વાત થઈ ત્યારે પણ કોઈ વાત જણાવી ન હોવાનું પિતાએ કહ્યું છે. ત્યારે દીકરીએ આ પ્રકારનું પગલું કેમ ભર્યું તેને લઈને પરિવાર પણ ચિંતામાં મૂકાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
