Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) ભગવાન સ્વામિનારાયણની (shri swaminarayan) ચરણરજથી પાવન બનેલા સરધાર (sardhar) ધામની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં (murti pratistha mahotsav) સહભાગી થઈ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજકોટ રાજ્યની એક વેળાની રાજધાની એવા આ સરધારનગર સાથે ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ સબંધ છે.
મુખ્યમંત્રીએ વધુંમાં જણાવ્યું હતું કે સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ‘‘સ્વ’’ને ભૂલીને સમષ્ટિના હિતની પરંપરા અને લોકોના કલ્યાણની ભાવના. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આજે સૌથી વધુ નિર્વ્યસની, સંસ્કારી અને સમૃદ્ધ છે, તેના મૂળમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યક્તિત્વ નિર્માણની સમાજ સંસ્કારની પરંપરા છે.ભગવાન સ્વામિનારાયણે સરધારની આ ભૂમિ પર પગલાં કર્યા અને દરબારગઢમાં ચાર્તુમાસ ગાળ્યો હતો. રાજવીઓ-ગામ લોકોએ તેમનું સામૈયુ કર્યુ ત્યારે ભગવાન સ્વામિનારાયણે અહિં એક ભવ્ય મંદિરના નિર્માણની ભવિષ્યવાણી કરેલી તે આજે સાકાર થઈ છે.
યોગાનુયોગ આ વર્ષ આઝાદીનું પણ અમૃત પર્વ-અમૃત મહોત્સવ વર્ષ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે ચીંધેલા સંસ્કાર-શિક્ષણ-સદાચારના સિંચનનું કાર્ય મંદિર રાષ્ટ્ર નિર્માણ માટે યુવા પેઢીમાં ‘‘નેશન ફર્સ્ટ’’ના પાયા પર પાર પાડવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ અબુધાબીમાં નિર્માણ થઈ રહેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાની પણ તક મળી હતી તેમ જણાવતા ઉમેર્યું કે, હિન્દુ સંસ્કૃતિના સર્વગ્રાહી પ્રસારના કેન્દ્રો સમું આ મંદિર પણ રાષ્ટ્રચેતના ઊજાગર કરે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુલ, છાત્રાલય, શાળા-કોલેજ, હોસ્પિટલ અને સાંસ્કૃતિક કેન્દ્રો સમા મંદિરોનું નિર્માણ કરી વ્યક્તિના સ્વાસ્થ્ય, શિક્ષણ સંસ્કાર સિંચનના અદભૂત કાર્યો કર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ‘‘સદવિદ્યા પ્રવર્તન’’ અને ‘‘સર્વ જીવ હિતાય’’ એવી સેવાપ્રવૃત્તિનો સંદેશો આપ્યો છે. સંપ્રદાયની સેવાને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના મહામારી, ભૂકંપ, ટાઢ, પૂર-અતિવૃષ્ટિ જેવી તમામ આફતો જ્યારે જ્યારે પણ ગુજરાત પર ત્રાટકી ત્યારે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સરકારને આભ જેવડો ટેકો મળ્યો છે.
ભગવાન સ્વામિનારાયણના આશિષથી ગુજરાતના ખૂણે ખૂણે વિકાસની લહેર આપણે લઈ જવી છે અને ગુજરાતના વિકાસ થકી ભારતને જગદગુરુ બનાવવું છે તેમ જણાવી સંતો અને હરિભક્તોના સહયોગથી “આત્મનિર્ભર ભારત”ના નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ આપણે ‘‘આત્મનિર્ભર ગુજરાત’’થી પૂર્ણ કરવો છે તેમ પણ કહ્યું હતુ. વકતવ્યના પ્રારંભે મુખ્યમંત્રીએ હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા સી.ડી.એસ. જનરલ બિપિન રાવત અને તેમના ધર્મપત્ની તેમજ અન્ય દિવંગતોને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતોએ બે મિનિટનું મૌન પાળ્યું હતુ.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ધર્મ અને રાજકારણ બંને એકબીજાથી અળગા ક્યારેય ન હોઈ શકે, કારણકે ધર્મ વગરનું રાજકારણ અનીતિ નોતરે છે. સામાજિક જીવનમાં જ્યારે પણ સમસ્યાઓ ઉદભવે છે ત્યારે નીતિવિષયક નિર્ણયો લેવાના થાય છે. આવા સમયે દેશ, રાજ્યોના લોકો માટે નિર્ણય લેતી વખતે ધર્મએ હંમેશા સત્યની દિશા દોરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયે યુવાનો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરી છે. આ વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવે છે. વ્યક્તિત્વ નિર્માણના પરિણામો પણ અહીંથી જ મળી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય દેશહિત અને લોકહિતની જવાબદારી ઉઠાવીને દેશ અને સમાજ નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. કોરોનો મહામારી વખતે મદદ કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય સદા અગ્રેસર હતું.
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત સમા પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મંદિરના પૂન:નિર્માણના સરદાર સાહેબના સંકલ્પને સાકાર કરવામાં તથા તેના વિકાસમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, કેશુભાઈ પટેલનું વિશેષ યોગદાન રહ્યું છે. હાલમાં વારાણસી ખાતે આવેલા જગપ્રસિધ્ધ કાશી વિશ્વનાથના મંદિરનો જિર્ણોધ્ધાર પૂર્ણ થવાના આરે છે. રાજકોટના સરધાર ખાતે આયોજિત આજના મૂર્તિ પ્રતિષ્ડા મહોત્સવમાં મંદિરના સિંહાસન માટે ૪૦ કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે મંદિરના નિર્માતા-કથાના વકતા નિત્ય સ્વરૂપસ્વામી અને નૌતમ પ્રકાશ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ મહોત્સવમાં સંપ્રદાયના સંતો માધવપ્રિયદાસજી સ્વામી, દેવકૃષ્ણસ્વામી, દેવપ્રકાશસ્વામી તેમજ વાહન-વ્યવહાર રાજયમંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મનસુખ ખાચરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મંદિરના ટ્રસ્ટી નીતિન ઢાકેચા, અગ્રણી માંધાતાસિંહજી જાડેજા તેમજ સંગઠનના પદાધિકારી નાગદાન ચાવડા, મનીષ ચાંગેલા, ચેતન રામાણી, ડો. વલ્લભ કથીરીયા, રાજુ ધૃવ, કલેકટર અરૂણ મહેશ બાબુ તેમજ અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
