Homeગુર્જર નગરીજૂનાગઢઃ મહાશિવરાત્રીના મેળાને મંજૂરી આપવા ધારાસભ્ય, ડે.મેયર, ઉતારા મંડળ, સાધુ-સંતોની માંગ

જૂનાગઢઃ મહાશિવરાત્રીના મેળાને મંજૂરી આપવા ધારાસભ્ય, ડે.મેયર, ઉતારા મંડળ, સાધુ-સંતોની માંગ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ ભવનાથ તળેટીમા આગામી 25 ફેબ્રુઆરીથી યોજાનારા મહાશિવરાત્રીના મેળા અંગે હજુ અસમંજસ છે. હજુ સુધી તંત્ર કે રાજ્ય સરકારે મેળો યોજાશે કે નહી તે મુદે મગનું નામ મરી નથી પાડ્યું. ત્યારે સંતો, ઉતારા મંડળ, ધારાસભ્ય અને જૂનાગઢ મહાનગરપાલિકાએ મેળો યોજાય તેવી માગ કરી છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે પત્ર પણ લખ્યો છે.

ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો છેલ્લા બે વર્ષથી માત્ર સાધુ-સંતોની હાજરીમાં જ યોજાઈ રહ્યો છે. જો કે, આ વખતે કોરોનાના કેસ હળવા થતાં મેળો યોજાવા દેવા માગણી છે.

ગિરનાર ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ આ અંગે કહ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળા માટે એક મહીના અગાઉ તૈયારી કરવી પડે છે. 25 ફેબ્રુઆરીએ ભવનાથ મંદિરની ધજા ચડાવી મેળાનો પ્રારંભ કરવામાં આવે છે. હવે 25 ફેબ્રુઆરીને માત્ર થોડા જ દિવસો બાકી છે. જેથી તંત્ર અને રાજ્ય સરકારે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, દર વર્ષ મેળામાં 8થી 10 લાખ શિવભક્તો આવે છે.

આ તરફ જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોષીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, જૂનાગઢ સ્થિત ભવનાથ ખાતે દર વર્ષે યોજાતા હિંદુ ધર્મની આસ્થાના પ્રતિક સમાન મહા શિવરાત્રી મેળો વર્ષથી કોરોના સંક્રમણને લીધે સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ. પરંતુ હાલ કોરોના સંક્રમણનું પ્રમાણ ખુબ જ ઘટી ગયેલ હોય કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી મેળો યોજવા પરમીશન આપવા આપ સાહેબને જૂનાગઢની જનતા, સાધુ-સંતો, ઉતારા મંડળ અને લાખો ભાવિકો વતી વિનંતી છે. શિવરાત્રી મેળા આડે હવે ખુબ જ ઓછા દિવસો બાકી હોય તાત્કાલિક નિર્ણય લઈ આપના લેવલે યોગ્ય આદેશ થવા વિનંતી છે, જેથી ઉતારા મંડળ અને સ્થાનિક પ્રશાસન મેળાની જરૂરી વ્યવસ્થા માટે યોગ્ય આયોજન કરી શકે. આ બાબત આપના લેવલે યોગ્ય આદેશ થવા ભલામણ છે.

તો મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ પણ કહ્યું કે, મહાશિવરાત્રીનો મેળો યોજાવો જોઈએ. આ શિવરાત્રી મેળા સાથે લાખો ભાવિકોની આસ્થા જોડાયેલી છે. તેમને એવો પણ દાવો કર્યો કે મેળા માટે જૂનાગઢ મનપા તૈયાર છે. હવે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની રાહ જોવાઈ રહી છે. તો સ્થાનિકો અને સાધુ સંતોને પણ આશા છે કે આ વખતે નિયમોના પાલન સાથે મહાશિવરાત્રીનો મેળો યોજાશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments