Team Chabuk-Gujarat Desk: છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે એકદમ સાદાઈથી યોજાતા ભવનાથના મેળાને આ વર્ષે ફરી રંગેચંગે યોજાવાની આશા જાગી છે. જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાવદ નોમથી મહાવદ ચૌદસ સુધી યોજાનાર મહાશિવરાત્રી મેળાને વહીવટીતંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટતા મંજૂરી આપવામાં આવી છે.
મેળાનું આયોજન
મહાશિવરાત્રી મેળા – ૨૦૨૨ ના આયોજન અંગે કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. કોરોના સંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રી મેળો શ્રધ્ધાળુઓ માટે યોજવામાં આવ્યો નહોતો. છેલ્લા થોડા દિવસથી કોરોના વાઇરસના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેના પગલે આ વર્ષે શિવરાત્રી મેળાનું આયોજન કરવાનું તંત્ર દ્વારા નક્કી કરાયુ છે. મહાશિવરાત્રી મેળા – ૨૦૨૨ના આયોજન અંગે કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
મેળાને શ્રેષ્ઠ બનાવવામાં આવશે
જૂનાગઢ જિલ્લા સમાહર્તા રચિત રાજે જણાવ્યું હતું કે, આ વર્ષે લાખો શ્રધ્ધાળુઓની આસ્થા સમા શિવરાત્રી મેળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. કલેક્ટર રચિત રાજ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે મહાવદ નોમથી યોજાનાર શિવરાત્રી મેળાને શ્રેષ્ઠ બનાવવામાં આવશે. શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વેઠવી ન પડે તે માટે વહિવટીતંત્ર કટીબદ્ધ છે. તે ઉપરાંત મેળામાં કોઈ અનીચ્છીય બનાવ ન બને તે માટે વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી હતી.
મેળાના આયોજન માટે ૧૩ સમિતિની રચના
બે વર્ષે પછી આ વખતે શિવરાત્રી મેળો યોજાનાર છે. લાખો લોકોની આસ્થા સમા શિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતી હોય છે. ત્યારે મેળામાં ભાવિકોને કોઇ અડચણ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ૧૩ સમિતિની રચનાઓ કરવામાં આવી છે.
કઈ કઈ સમિતિ?
જેમાં મુખ્ય સંકલન સમિતિ, મેળા સ્થળ આયોજન સમિતિ, જાહેર સલામતી તથા ટ્રાફીક નિયંત્રણ સમિતિ, ઇલેકટ્રીક લાઇટ અને સાઉન્ડ સમિતિ, આમંત્રણ સ્વાગત અને પ્રોટોકોલ સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, પાણી પુરવઠા સમિતિ, સફાઇ તેમજ ડ્રેનેજ સમિતિ, આરોગ્ય અને આકસ્મિક સારવાર સમિતિ, સંદેશા વ્યવહાર તથા પ્રચાર પ્રસાર સમિતિ, પ્રકાશન સમિતિ, આવશ્યક ચીજ વસ્તુ સુવિધા સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિની રચના કરવામાં આવી છે.
કોણ કોણ ઉપસ્થિત રહ્યું?
આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, સંતો-મહંતોમાં ઇન્દ્રભારતી બાપુ, અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ, ભારતી આશ્રમના મહંત હરીગીરી બાપુ, શૈલજા દેવી, અગ્રણીમાં પુનિત શર્મા, શૈલેષ દવે, યોગેન્દ્રસિંહ પઢિયાર, બટુક મકવાણા તથા ઉતારામંડળ તરફથી ભાવેશ વેકરિયા, જાદવભાઇ કાકડિયા તથા વિવિધ ઉતારા મંડળ અને અન્નક્ષેત્રના સંચાલકો તેમજ મ્યુ.કમિશનર રાજેશ તન્ના, અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, ડીસીએફ સુનિલ બેરવાલ, નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા, આસિસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરી, જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના અધિકારીઓ, સંતો-મહંતો અને આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
