Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હાલ તબીબોની હડતાળ ચાલી રહી છે એવામાં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે એટલું જ નહીં તબીબો અને સરકારની લડાઈ વચ્ચે કેટલીક જગ્યાએ મોતનો મલાજો પણ નથી જળવાતો.
સોમવારે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 54થી વધુ મેડિકલ ઓફિસર તબીબો હડતાળ પર જતા તબીબી સેવાઓ કથળતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. શહેરમાં ફાંસો ખાતા 1 યુવાનનું મોત થયું હતું જો કે, તબીબો હડતાળ પર હોવાથી યુવકના મૃતદેહનું પાંચ કલાસ સુધી પોસ્ટમોર્ટમ થયુ ન હતું. પાંચ કલાક યુવકનો મૃતદેહ રઝળ્યો હતો. બીજી તરફ મૃતકના પરિવારે આંદોલનની ચીમકી આપતા હોસ્પિટલે પોસ્ટમોર્ટમ કર્યુ હતું.

ગુજરાત ગવર્નમેન્ટ ડોક્ટર્સ ફોરમ સંલગ્ન એસોસિયેશનના નેજા હેઠળ રાજયની સેવામાં રહેલા તમામ કેડરના તબીબો દ્વારા આંદોલન છેડાયું છે. પરિણામે તેના સુરેન્દ્રનગર જિલ્લામાં 4-4-2022થી જિલ્લાની સીએચસી-પીએચસીના 58 તબીબ હડતાળ પર ઉતર્યા હતા. જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તો હડતાળની નોટિસ મૂકી દીધી હતી. જેના કારણે દરરોજ નોંધાતી 500 ઓપીડીની કામગીરી પણ રઝળી પડી હતી.

સુરેન્દ્રનગર નર્મદા ક્વાટરની સામે ભીમરાવ સોસાયટીમાં રહેતા 20 વર્ષના લાલજી વાઘેલાએ ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ હતું. આથી મૃતકનો પરિવાર સોમવારે બપોરે 12 કલાકે દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલ લઈ આવ્યો હતો. જો કે, હાજર તબીબોએ પીએમનો ઇન્કાર કરીને રાજકોટ લઇ જવા જણાવ્યું હતું. જેને લઈને મૃતકના પિતા સહિતનો પરિવાર રોષે ભરાયો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે, જો હોસ્પિટલમાં પીએમ નહી થાય તો ભૂખ હડતાળ પર ઉતરીશું. પરિવારની હડતાળની ચીમકી બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું.

સરકારી ક્રાઇટેરિયા પ્રમાણે જ્યાં 1,00,000ની વસતી હોય ત્યાં 1 CHC હોય છે. જ્યારે જ્યાં 25,000ની વસ્તી હોય ત્યાં 1 PHC સેન્ટર હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 12 CHC તેમજ 50 PHC સેન્ટર આવેલા છે. પરંતુ જિલ્લાના CHCના-19 તેમજ PHCના-39 મેડિકલ ઓફિસર તબીબો હડતાળ પર ઉતરી જતા જિલ્લાની 574 ગામડાની અંદાજે 17,00,000ની વસતી હડતાળના પ્રથમ દિવસે રામભરોસે રહી હતી.

ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના દર્દીઓ સારવારની આશાએ મોટી સંખ્યામાં ગાંધી હોસ્પિટલમાં આવતા હોય છે. તેમાય શનિ-રવિ બાદ આ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી જાય છે. પરંતુ સોમવારે સારવાર માટે આવેલા દર્દીઓને હડતાળનો કડવો અનુભવ થયો હતો. તબીબોની હડતાળના પગલે હોસ્પિટલના જવાબદાર અધિકારી, સીડીએમઓ અને આરએમઓની ઓફિસે તાળાં દેખાતા દર્દીઓની સ્થિતિ કફોડી બની હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત