Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લામાં ખેડૂતોને ફરી એકવાર માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરનારા ખેડૂતોની હાલત હાલ દયનીય છે. જિલ્લાના વીરપુર, જેતપુર અને જામકંડોરણા સહિતના તાલુકામાં ખેડૂતોએ ચણા, જીરુ અને ધાણાનું મબલખ વાવેતર કર્યું છે. પરંતુ સતત થઈ રહેલા ઝાકળના કારણે પાકને મોટું નુકસાન થઇ રહ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા 10 દિવસથી થઈ રહેલા ઝાકળના લીધે જીરુંના પાકને મોટું નુકસાન થયું છે. જીરુમાં કાળી ચરમી નામના રોગના કારણે જીરુંનો પાક સુકાઈ રહ્યો છે. ભેજના કારણે આ રોગ વધુ ફેલાઈ રહ્યો છે. જેને લઈને આ ખેડૂતોને જીરુંના ઉત્પાદનમાં 60થી 70 ટકાના ઘટાડાની શક્યતા છે. ખેડૂતોએ કહ્યું કે, હાલ એવી હાલત છે કે પાકમાં હવે સીધી દીવાસળી જ મુકવી પડશે. પાક નજરની સામે સુકાઈ રહ્યો છે.
જિલ્લામાં અન્ય પાકો ચણાનું વાવેતર પણ મોટી માત્રામાં થયું છે. જેતપુર , વીરપુર અને જેતપુર આસપાસ ગામોમાં ચણાના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. ઝાકળના કારણે ચણામાં પણ રોગ આવ્યો છે. જેને લઈને ઉત્પાદનમાં 30 ટકા સુધીના ઘટાડાની ભીતિ છે.
જેતપુર વિસ્તારમાં ચણા અને જીરુંનું અંદાજિત 17 હજાર હેક્ટરનું વાવેતર છે. જેતપુર, વીરપુર સહિતના વિસ્તારોમાં ચોમાસાની સીઝનમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. હવે રવિ સીઝનમાં પણ ઝાકળને લઈને ખેડૂતોને નુકસાની જતાં નુકસાનીનો બેવડો માર પડ્યો છે. જેને લઈને ખેડૂતોએ સહાયની માગણી કરી છે.