Team Chabuk-Gujarat Desk: બોરસદ તાલુકાના નીસરાયા ગામના બે શખ્સોને પશુબલી ચઢાવવા પર કોર્ટે 1 વર્ષની સજા અને બે-બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના નીસરાયા ગામમાં રહેતાં નવઘણ ભોઈ તારીખ 22-05-2022 ના રોજ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ગામમાં ખોડીયાર માતાના મંદીર સામે આવેલ જલારામ મંદીર પાસેના તળાવની પાળે બેઠા હતાં. તે વખતે નવઘણના કુટુંબી કાકા રઈજી ભોઈ તેમજ વિનોદ ભોઈ ત્યાં સામે મંદિરમાં હાજર હતાં. થોડીવાર બાદ આ વિનોદનો ભાણો ત્રણ બકરાંને એક ગાડીમાં ભરીને ત્યાં આવ્યો હતો. રઈજી અને વિનોદે આ ત્રણેય બકરાં લઈને મંદિરમાં ગયાં હતાં. જ્યાં મંદિર આગળ ફુલો પાથરી, પુજા કર્યાં બાદ ત્રણેય બકરાની બલી ચઢાવી હતી.
આ અંગે નવઘણે બોરસદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે રઈજી ભોઈ અને વિનોદ ભોઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસમાં ફરિયાદ આપ્યાની રીસ રાખી નવઘણને તારા દિવસો પુરા થઈ ગયા છે, હવે તું બે-ત્રણ દીવસનો જ મહેમાન છે તેવી ધમકીઓ પણ આપી હોવાનો આરોપ છે.
પોલીસ તપાસમાં રઈજી અને વિનોદે મંદિરમાં ત્રણ બકરાંની કતલ કરી બલી ચઢાવી હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસે બંનેની અટકાયત કરી હતી અને ચાર્જશીટ તૈયાર કરી બોરસદ કોર્ટમાં રજુ કરી હતી. આ કેસ બોરસદના એડિ. ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ફરિયાદી પક્ષના સરકારી વકીલ એસ.એ.દવે એ બંને આરોપીઓ વિરુદ્ધ 3 દસ્તાવેજી પુરાવા અને 5 મૌખિક પુરાવા રજુ કર્યાં હતાં. તેમજ ધારદાર દલીલો પણ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે બંને આરોપીઓ રઈજી ભોઈ અને વિનોદ ભોઈને કસુરવાર ઠેરવ્યા છે અને એક વર્ષની સાદી કેદ તેમજ બે-બે હજારનો દંડ ફટકાર્યો છે.

( તસવીરઃ ફાઈલ )
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત