Homeગુર્જર નગરીપાટણ: જે સગડી દાનમાં આપી હતી તે સગડી પર પહેલી અંતિમવિધિ દાતાની...

પાટણ: જે સગડી દાનમાં આપી હતી તે સગડી પર પહેલી અંતિમવિધિ દાતાની જ થઈ

Team Chabuk-Gujarat Desk:  કોરોના વાયરસ દિવસેને દિવસે માથું ઉંચકી રહ્યો છે. એક દિવસમાં કેટલાય દર્દીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. સ્મશાનોમાં હજુ મૃતદેહની લાઈનો જોવા મળી રહી છે. ઓક્સિજન અને બેડની કિલ્લતના અહેવાલો રોજ પ્રકાશીત થઈ રહ્યા છે. બીજી તરફ હોસ્પિટલમાં બેડ વધારાના સમાચારની સાથે સ્મશાનોમાં સગડીઓ વધારવાની સ્થિતિ પણ આવી ગઈ છે. એટલે જ ક્યાંક તંત્ર તેની વ્યવસ્થા કરી રહ્યું છે તો ક્યાંક દાતાઓ સ્વખર્ચે મૃતકોના પરિવારજનોને અગવડ ન પડે તે માટે દાન કરી રહ્યા છે પરંતુ પાટણના બાલિસાણામાં જે બની ગયું તે હ્રદય દ્રાવક છે. અહીં જે દાતાએ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે સગડી દાનમાં આપી હતી તે દાતાની જ પ્રથમ અંતિમવિધિ કરવામાં આવી.

આચાર્યના પુત્રની કંપનીમાં બની હતી સગડી

રાજ્યમાં પાટણ જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. રોજ જિલ્લામાં કેટલાય દર્દીઓ કોરોના સામે જંગ હારી રહ્યા છે. જિલ્લાના બાલિસણા ગામમાં પણ સ્થિતિ બેકાબૂ બની છે. બીજી તરફ સિદ્ધપુર મુક્તિધામ દ્વારા દૂરના મૃતકોને અંતિમવિધિ માટે ન લાવવા અપીલ કરાઈ છે. જેથી બાલિસાણામાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે યુવાનો દ્વારા જૂના સ્મશાનની સાફસફાઈ કરાઈ હતી. આ સ્મશાનમાં બાલિસાણા ગામના વતની અને જલોત્રા માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય હરજીવન વણારસી પટેલ તરફથી સગડી દાનમાં આપવામાં આવી હતી. આચાર્યના પુત્રએ અમદાવાદ સ્થિત તેમની કંપનીમાં આ સગડી બનાવી હતી.

શનિવારે જ ફીટ કરાઈ હતી સગડી

છેલ્લા 15 દિવસથી સગડી ગામમાં આવી ગઈ હતી જો કે, ફીટ કરવાની બાકી હતી. શનિવારે જ સ્મશાનમાં આ સગડી ફીટ કરાઈ હતી અને યોગાનુયોગ 85 વર્ષીય હરજીવન વણાસરી પટેલનું એ જ દિવસે નિધન થયું હતું. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર બાલિસાણાના જૂના સ્મશાનમાં પોતે દાન આપેલી સગડી પર જ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હરજીવન પટેલ લાંબા સમયથી બીમાર હતા. અન્ય બીમારીના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ સ્મશાનની જરૂરિયાત કોરોનાના કારણે વધી રહેલાં મૃત્યુદરના કારણે શરૂ કરાયું છે. એ હેતુથી કે મૃતકોના પરિવારને હેરાન ન થવું પડે. જો કે, આચાર્યના અંતિમસંસ્કાર તેમણે દાન કરેલી સગડી પર જ કરવાનું નક્કી કરાયું હતું.

નિયમોનું પાલન કોરોનાથી બચાવશે

ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. રાજ્યમાં લોકો કોરોનાથી બચવા માટે સ્વૈચ્છિક લૉકડાઉનનો સહારો લઈ રહ્યા છે. શહેરોની સાથે-સાથે ગામડાઓમાં પણ કોરોનાનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે જે ચિંતાનો વિષય છે. નિષ્ણાતોનું માનીએ તો હાલ રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉનની કોઈ શક્યતા નથી જેથી કોરોનાથી બચવા માટે વધુમાં વધુ લોકો વેક્સિન લે તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે એ જ કોરોનાને હરાવવાનો કારગર ઉપાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments