Homeવિશેષએવું તે શું હતું કે દ્રૌપદીએ કર્ણને પોતાની મદદ કરવા લાયક પણ...

એવું તે શું હતું કે દ્રૌપદીએ કર્ણને પોતાની મદદ કરવા લાયક પણ ન સમજ્યો

યશ ખખ્ખર: આજે વાત કરવી છે મહાભારતના એક પ્રસંગની. એક એવો પ્રસંગ જે પ્રમાણમાં થોડોક ઓછો જાણીતો છે. પણ એનું મહત્વ એટલું જ છે જેટલું ભીષ્મ પ્રતિજ્ઞાનું, કે પછી અંબાના શ્રાપનું કે પછી કુંતીને મળેલા વરદાનનું. કેમ  કે જો આ પ્રસંગ થોડી અલગ રીતે ભજવાયો હોત, તો આજે ભારતવર્ષનો ઇતિહાસ કાંઈક અલગ હોત

વાત છે દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે થયેલી એક ઘટનાની. એ દિવસ કુરુકુળના ઇતિહાસનો એક કાળો દિવસ હતો. એ દિવસે હસ્તિનાપુરની એ સભામાં મહાભારતના બીજ રોપાયા હતા. દ્રૌપદીને ભરી સભામાં દુર્યોધન અને દુઃશાસન દ્વારા નિર્વસ્ત્ર કરવાના પ્રયત્ન કરાયો હતા.

એ દિવસે વિદુર અને વિકર્ણ સિવાયના કુરૂકૂળના કોઈ સભ્યએ આ ઘટનાનો વિરોધ કરવાની હિમ્મત ન હતી કરી. કદાચ કરી હોત તો પણ કોને ખબર દુર્યોધન રોકાત કે નહિ. કારણ કે એ દિવસે, બદલાની આગમાં એ પોતાનું બધું વિવેકભાન ભૂલી ચુક્યો હતો.

એ દિવસે એ સભામાં એક વ્યક્તિ એવો પણ હતો જે ઈચ્છે તો આ ઘટનાને રોકી શકે તેમ હતો. પણ એ અસમંજસમાં હતો કે એમ કરવું કે નહિ. કેમ કે  એ દુર્યોધનની મિત્રતાના ઋણ નીચે દબાયેલો હતો. દુર્યોધનના પોતાની પરના ઉપકારો તેને કંઈ પણ કરતા રોકી રહ્યાં હતાં. આ વાત છે અંગરાજ કર્ણની.

એ દિવસે કર્ણ ખુબ અસમંજસમાં હતો. એક તરફ તેને થતું હતું કે પોતાની આંખ સામે થતું દ્રૌપદીનું એવું હળહળતું અપમાન અટકાવી દે. બીજી તરફ તેનું મગજ પોતાના પર દુર્યોધને કરેલા ઉપકારોની સતત યાદ અપાવ્યા કરતું હતું. એક તરફ દ્રૌપદી હતી જેની સાથે તેનો એક રીતે કોઈ સંબંધ ન હતો અને બીજી તરફ હતો દુર્યોધન, તેનો પાકો મિત્ર. જેને તેનો એ વખતે સાથ આપ્યો હતો જ્યારે તેની સાથે કોઈ ન હતું. જેણે તેને અંગ પ્રદેશનો રાજા બનાવ્યો હતો. એ આજે જે કંઈ પણ હતો દુર્યોધનને કારણે હતો. પણ એ જાણતો હતો કે આજે દુર્યોધન અધર્મના પક્ષમાં છે.

તેનું ખચકાટનું એક કારણ એ પણ હતું કે અંદરથી કદાચ એ એ વાત સમજી ચૂક્યો હતો કે આજે દુર્યોધન પાંડવોની ઈર્ષ્યા અને દ્રૌપદી પ્રત્યેના પોતાના ગુસ્સામાં બધું જ વિવેકભાન ભૂલી ચુક્યો છે. આજે તેને સમજાવટથી રોકી શકાય તેમ નથી. તેને આજે રોકવો હશે તો તેની સાથે લડીને જ રોકી શકાશે.

અને એટલે જ તે આજે કદાચ પેહલીવાર એક સ્ત્રીના સમ્માનની રક્ષા કરવામાં ખચકાતો હતો. કારણ કે આજે એમ કરવા જતાં કદાચ આજે તેને દુર્યોધન સાથે લડવું પડે તેવી સ્થિતિ હતી.

તેની કશ્મકશ નો જાણે કોઈ અંત જ ન હતો. એક તરફ થતું હતું કે આ બધું રોકી દે અને બીજી તરફ થતું હતું કે જો તેવું કરી દીધું તો આજીવન દુર્યોધનને પોતાનું મોં નહિ બનાવી શકે. આજીવન દુર્યોધનનું ઋણ નહિ ઉતારી શકે. દુર્યોધન સાથેની મિત્રતા પણ તૂટી જશે અને તે એક એવા માણસ તરીકે ઓળખાશે કે જેણે એ જ વ્યક્તિ સાથે દગો કર્યો જેણે તેની સૌથી વધુ મદદ કરી હતી, લોકો સામે તેની પ્રતિષ્ઠાનો પણ નાશ થશે કે જે તેના માટે અસહ્ય હતું.

તેણે વિચાર્યું કે જો આજે કદાચ દુર્યોધન સાથે લડીને દ્રૌપદીની રક્ષા કરી તો કદાચ દુર્યોધનની સાથે આંખ નહિ મિલાવી શકે પણ, જો આજે દ્રૌપદીની રક્ષા ન કરી તો તે આજીવન પોતાની સાથે જ આંખ નહિ મિલાવી શકે. એ એક ક્ષત્રિય છે, અને પોતાની નજર સામે એવો અન્યાય થવા દે. પરિણામ ચાહે જે પણ આવે, પણ આ ક્ષણે દ્રૌપદીની રક્ષા કરવી એ જ એક ક્ષત્રિય તરીકે તેનું કર્તવ્ય છે. પણ તેમ છતાં તેના હૃદયમાં દુર્યોધની વિરોધ જવાનો એક ખચકાટ તો હતો જ.

તેણે જોયું કે દ્રૌપદી એક એક કરીને સભામાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પાસે પોતાને બચાવવા માટે મદદ માંગી રહી હતી. આ જોઈને કર્ણને એક વિચાર આવ્યો, કે દ્રૌપદી એક એક કરીને બધા પાસે મદદ માગી રહી છે, તો મારી પાસે પણ મદદ માંગશે જ? તો જયારે મારી પણ મદદ માંગશે, એ સમયે હું આગળ આવીને દ્રૌપદીની રક્ષા કરીશ. પછી એ માટે જો મારે દુર્યોધન સાથે યુદ્ધ પણ કરવું પડે તો એ પણ મંજૂર છે. મારી નખ સામે હું એક સ્ત્રીનું ચીરહરણ ન થવા દઈ શકું.  એ ઈચ્છત તો એને જયારે દ્રૌપદી ને બચાવવાનું નક્કી કર્યું ત્યારે જ ઉભો થઈને ભરી સભામાં એલાન કરી શક્યો હોત કે, પણ કેમ કે આ નિર્ણય તેણે બહુ ગડમથલ ને અંતે લીધો હતો અને કેમ કે એના મનનો હજી એક ભાગ એવું કહી રહ્યો હતો કે દુર્યોધન વિરુદ્ધ જવું ખોટું છે, એ સીધો સભામાં ઉભો થઈને એલાન કરવાની હિમ્મત ના કરી શક્યો.    

અંતે આમ નક્કી કરીને તે દ્રૌપદી પોતાની પાસે મદદ માંગે એની રાહ જોવા લાગ્યો. દ્રૌપદી સભાના એક તરફના ખૂણા બીજી તરફના ખૂણા સુધી ના દરેક વ્યક્તિની એક એક કરીને મદદ માંગી રહી હતી.. કર્ણ સારી રીતે જાણતો હતો કે દ્રૌપદી તેની મદદ પણ માંગશે અને એટલે જ તેને રાહ જોવાનો નિર્ણય કર્યો હતો. દ્રૌપદીને બચાવ્યા પછી થનારા ઘટનાક્રમ વિષે તે વિચારવા પણ ન હતો માંગતો. ખબર નહિ દુર્યોધન કેવી રીતે વર્તશે જયારે એ તેના સૌથી ઘનિષ્ઠ મિત્ર રાધેયને તેની જ વિરુદ્ધ ઉભો થયેલો જોશે. લોકો શું વિચારશે જે આજ સુધી દુર્યોધન અને કર્ણની મિત્રતાના ઉદાહરણો દેતા હતા. આ બધું વિચારતા જ તેના હાથ પગ ઠંડા પડી જતા હતા. પણ અત્યારે તેને મન દ્રૌપદીના સ્વમાનની રક્ષા સૌપ્રથમ હતી. જે કંઈ પણ થશે એ જોયું જશે એમ વિચારીને તે દ્રૌપદીની પોતાની પાસે મદદ માંગવાની રાહ જોવા લાગ્યો.

અંતે એ સમય આવી ગયો કે જયારે દ્રૌપદી અને કર્ણ સામે સામે હતા. કર્ણ હવે તૈયાર હતો તેણે પોતાના ધનુષ ઉપરની પકડ મજબૂત કરી. બસ હવે દ્રૌપદી મદદ માંગે એટલી જ વાર, પછી તે દ્રૌપદીને બચાવવા માટે આગળ આવી જશે. 

દ્રૌપદીએ કર્ણ સામે જોયું, કર્ણ આતુરતા અને ગભરાટ મિશ્રિત લાગણી દ્રૌપદીના કૈક કેહવાની રાહ જોવા લાગ્યો. પણ દ્રૌપદી બસ કર્ણ સામે જોઈ રહી તે કંઈ ના બોલી, જોતજોતામાં તેને કર્ણ ઉપરથી નજર હટાવીને કર્ણની બાજુમાં બેઠેલા એક કૌરવ ઉગ્રસેનની મદદ માંગી જે બસ પોતાનું મોઢું નીચું કરીને જમીન તાકતો રહ્યો.

કર્ણને  થોડીકવાર તો સમજાયું નહિ કે આ શું થયું, શું ખરેખર જે દ્રૌપદી આજે સભામાં ઉપસ્થિત નાનામાં નાના માણસ પાસે પણ પોતાને બચાવવાની મદદ માંગી રહી હતી, તેણે કર્ણ પાસે મદદ ન માગી. દ્રૌપદીએ આવું કેમ કર્યું એ તેને સમજાતું ન હતું. એવું તે શું હતું કે દ્રૌપદીએ કર્ણને પોતાની મદદ કરવા લાયક પણ ન સમજ્યો.

અને પછી તેને એક શક્ય કારણ સમજાયું, તેને યાદ આવી એક સભા, તે દ્રૌપદી સ્વયંવરની સભા, એ દિવસે કોઈ પણ સ્વયંવરમાં માછલીની આંખ ન હતું વીંધી શકતું. કર્ણ જાણતો હતો કે એ માછલીની આંખ સરળતાથી વીંધી શકે છે. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તેણે ધનુષ પોતાના હાથમાં લીધું અને માછલીની આંખ વીંધવા આગળ આવ્યો. તે જ સમયે એક અવાજ આવ્યો, “થોભી જાવ, તમે સ્વયંવરમાં ભાગ ન લઇ શકો, હું એક સૂતપુત્ર સાથે લગ્ન નથી કરવા ઇચ્છતી”. એ અવાજ દ્રૌપદીનો હતો. કર્ણએ પોતાના જીવનમાં આવું અપમાન ક્યારેય સહન ન હતું કર્યું. છતાંય એ દિવસે એ સભામાં દ્રૌપદીના આ શબ્દો સાંભળ્યા બાદ એ કંઈ પણ બોલ્યા વગર નીકળી ગયો હતો. એ પાછળથી આવતા દુર્યોધનના ગુસ્સા ભર્યા શબ્દો સાંભળવા પણ નહોતો રોકાયો.

એને થયું કે આજ કારણ છે કે દ્રૌપદીએ આજે મારી મદદ ન માગી. કેમ કે આ સભામાં મારા સિવાય ઉપસ્થિત દરેક વ્યક્તિ કાં તો કૌરવોની જેમ ક્ષત્રિય છે કાં તો દ્રોણાચાર્યની જેમ બ્રાહ્મણ. હું એક જ આ સભામાં સૂતપુત્ર છે. જેમ એ દિવસે દ્રૌપદીએ હું સૂતપુત્ર હોવાને લીધે મારી સાથે લગ્ન કરવાની ના પડી હતી તેમ આજે, આ જ કારણસર હું તેને મદદ માગવા લાયક પણ ન લાગ્યો.

આ વસ્તુ સમજાતા જ તેને દ્રૌપદી પર ખુબ ગુસ્સો આવ્યો, તેને થયું કે કોઈ આટલું ઘમંડી કઈ રીતે હોઈ શકે છે આ સ્ત્રી આવી અવસ્થામાં છે છતાંય મારા સૂતપુત્ર હોવાને કારણે મારી મદદ નથી માગી રહી. એક તરફ હું મને જે બધું મળ્યું છે તેને છોડીને આની મદદ કરવા તૈયાર થયો હતો અને બીજી તરફ આ છે, જેની દ્રષ્ટિએ માત્ર એટલા માટે કે હું સૂતપુત્ર છું, હું તેની મદદ કરવાને પણ લાયક નથી, તેને થયું કે  દ્રૌપદી સાથે જે કંઈ પણ થઇ રહ્યું છે તે ઠીક જ થઇ રહ્યું છે. તે એને જ લાયક છે. એના ગુસ્સાની કોઈ સીમા ન હતી રહી. અને આજ ગુસ્સામાં ને ગુસ્સામાં સમય આવ્યે તે ભરી સભા વચ્ચે બોલી ગયો કે “જે સ્ત્રીના 5 પતિ હોય તે સ્ત્રી, પત્ની નહિ પણ એક વેશ્યા છે અને વેશ્યાનું શું માન અને શું અપમાન, જો આને આ ભરી સભામાં નગ્નાવસ્થામાં પણ લાવવામાં આવી હોત તો પણ કંઈ ખોટું ન હતું” તે ન હતો જાણતો કે આજે આવેશમાં બોલાયેલા આ શબ્દો તેના જીવનભર ડંખવાના હતા.

પણ પ્રશ્ન એ  છે કે દ્રૌપદીએ કર્ણની મદદ કેમ ન માંગી? શું ખરેખર એટલે માટે કે કર્ણ સૂતપુત્ર હતો?

આજે ઘટનાને દ્રૌપદીની દ્રષ્ટિએ જોઈએ, તેણે જ્યારે સભામાં આજે કર્ણ સામે જોયું, ત્યારે તેને પોતાના સ્વયંવરની એ જ સભા યાદ આવી, જેમાં તેને કર્ણનું અપમાન કર્યું હતું. એ તે દિવસે કર્ણનું અપમાન કરવા ન હતી ઇચ્છતી, તેને કૃષ્ણે ઈશારો કરીને કર્ણને સ્વયંવરમાં ભાગ લેતા રોકવાનું કહ્યું હતું, પણ કર્ણને કેમ રોકવો તેનો કોઈ ઉપાય તેને સમજાતો ન હતો, દરમિયાન કર્ણ પોતાનું ધનુષ લઈને ઉભો થઇ ચુક્યો હતો અને માછલીની આંખ વીંધવા આગળ વધી રહ્યો હતો. બીજું કોઈ કારણ તેને ન દેખાતા, તેને એ કહીને રોકી દીધો કે તે સૂતપુત્ર છે એટલા માટે તે કર્ણ સાથે વિવાહ કરવા નથી ઇચ્છતી અને એટલે જ કર્ણ સ્વયંવરમાં ભાગ નહિ લઇ શકે, તેનો ઈરાદો તે દિવસે કર્ણનું અપમાન કરવાનો ન હતો, પણ માત્ર તેને સ્વયંવરમાં ભાગ લેતા અટકાવવાનો હતો.

અને આજે કર્ણને જોઈને તેને ફરીથી એ જ બધું યાદ આવ્યું, કર્ણનું પોતાનાથી થયેલું અપમાન યાદ આવ્યું, આ એ જ કર્ણ હતો જેનું તેને ભરી રાજસભામાં સૂતપુત્ર કહીને અપમાન કર્યું હતું. તેને સંકોચ થયો, તેને કર્ણની મદદ માગતા શરમ આવી. તેનાથી જે રીતે કર્ણનું અપમાન થયું હતું એ થયા પછી કદાચ દ્રૌપદીની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોત તો કર્ણ ની મદદ માગતા ખચકાત અને દ્રૌપદી સાથે તે દિવસે એ જ થયું. એ ખચકાટમાં તે કર્ણની મદદ ના માગી શકી. એના મનમાં કર્ણ વિરુદ્ધ ક્યારેય કોઈ દ્વેષ હતો જ નહિ, ના તો તે કર્ણને સૂતપુત્ર હોવાને લીધે હીન માનતી હતી. પણ સંજોગો એવા હતા કે તે કર્ણની મદદ ન માગી શકી. તે મૌન જ રહી ગઈ. 

અને કર્ણે દ્રૌપદીનાં મૌનનો કોઈક બીજો જ અર્થ કાઢ્યો અને પછી દ્રૌપદીની મદદ કરવાની તો દૂર રહી, કર્ણે તેને વેશ્યા કહીને તેનું ભરી સભામાં અપમાન કર્યું. કહે છે કે કર્ણને અમુક સમય પછી દ્રૌપદી એ પોતાની પાસે મદદ ન માંગવાનું કારણ સમજાયું હતું, પણ ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હતું. હવે તેના દ્વારા દ્રૌપદીને બોલાયેલા એ શબ્દો આજીવન તેને ડંખવાના હતા.

વર્ષો વીતે છે, અને અંતે એ સભામાં જે નફરત અને દ્વેષના બીજ રોપાયા હતા તે મહાભારતના યુદ્ધમાં પરિણમ્યા. યુદ્ધ શરુ થયું અને બંને તરફ અસંખ્ય યોદ્ધાઓ માર્યા ગયા. યુદ્ધનો ૧૬મોં દિવસ આવતા સુધી કૌરવોના પક્ષે એક માત્ર મહારથી કર્ણ જ બચ્યો હતો. કર્ણને દુર્યોધને પોતાની સેનાનો સેનાપતિ બનાવ્યો હતો. હવે એક રીતે પાંડવોની જીત અને કૌરવોની હાર વચ્ચે એકમાત્ર કર્ણ જ હતો. જો કર્ણને રસ્તામાંથી હટાવી દેવામાં આવે તો પાંડવોનો વિજય સુનિશ્ચિત હતો. 

યુદ્ધના ૧૬માં દિવસે અર્જુન અને કર્ણ અામને સામને હતા, બેય એકમેકથી ચડિયાતા, કર્ણ અને અર્જુનની લડાઈ જ મહાભારતનો વિજેતા નક્કી કરવાની હતી. જો કર્ણ જીતી ગયો તો અર્જુન વગરની પાંડવ સેનાએ આત્મા વગરના શરીર જેવી હતી, પાંડવો ચાહે યુદ્ધમાં કેટલા પણ આગળ હોય, પણ અર્જુન વગર તે યુદ્ધ ન હતા જીતી શકવાના, અને કર્ણ હારી ગયો તો કૌરવોની હાર નિશ્ચિત હતી. યુદ્ધનો નિર્ણય એ જ દિવસે થવાનો હતો.

યુદ્ધ કરતી વખતે કર્ણનું પૈડું જમીનમાં ફસાઈ ગયું,  પૈડાંને બહાર કાઢવા માટે કર્ણે રથમાંથી નીચે ઉતરવું પડ્યું. એ જયારે રથનું પૈડું બહાર કાઢી રહ્યો હતો ત્યારે તક જોઈને કૃષ્ણએ અર્જુનને કર્ણ પર તીર ચલાવવાનું કહ્યું, એ જાણતા હતા કે કર્ણને હરાવવાની આજ એક માત્ર તક છે. અર્જુને આવી સ્થતિમાં કર્ણ પર બાણ ચલાવાની ના પાડી દીધી અને કહ્યું કે આ યુદ્ધના નિયમોની વિરુદ્ધ છે. ત્યારે કૃષ્ણ અર્જુનને કહ્યું: હે પાર્થ આ એ જ કર્ણ છે જેને એ દિવસે ભરી સભામાં તારી દ્રૌપદીને વેશ્યા કહી હતી. આ એ જ કર્ણ છે જે એમ બોલ્યો હતો કે દ્રૌપદીને જો આ સભામાં નગ્નાવસ્થામાં પણ લાવવાં આવી હોત તો તેમાં કોઈ દોષ ન હતો. આની ઉપર કેવી દયા. અને મારવામાં કેવો સંકોચ. તું આવા અધર્મી ઉપર કેમ દયા કરી રહ્યો છે. કર્ણના એ શબ્દોની યાદ આવતા જ અર્જુને આવેશમાં આવીને નિ:શસ્ત્ર કર્ણ પાર બાણ ચલાવ્યું અને તેનું ધડ માથાથી અલગ કરી નાખ્યું. અંતે આવેશમાં  બોલાયેલા એ શબ્દો જ કર્ણના મૃત્યુના કારણ બન્યા. એક વીર જેને આજીવન સંજોગવશાત અધર્મ અને કપટનો સાથ દેવો પડ્યો એ અંતે કપટથી જ મર્યો.

જો એ દિવસે કર્ણ દ્રૌપદીના મૌનને સમજી શક્યો હોત, અને દ્રૌપદીની મદદ કરી હોત, તો કોને ખબર મહાભારતનો ઇતિહાસ કેવો હોત. કોને ખબર મહાભારત થયું પણ હોત કે કેમ. કદાચ મદદ ન પણ કરી હોત પણ જો તે દ્રૌપદીને એ કડવા શબ્દો ન બોલ્યો હોત તો કોને ખબર, અર્જુનની પ્રત્યંચા રથનું પૈડું કાઢવા મથતા કર્ણ પર ઉપડત પણ કે નહિ. અને જો અર્જુન ત્યારે કપટથી કર્ણને ન મારત, તો મહાભારતના યુદ્ધનું પરિણામ કેવું હોત? આ બધા પ્રશ્નોના  જવાબ તો કદાચ એ દિવસે અર્જુનનો રથ હાંકનાર નારાયણ જ જાણે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments