Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં 26મી એપ્રિલે શીવ જવેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીને હરિયાણાના પલવલથી ઝડપી લીધા છે જ્યારે અન્ય સતીષ સોવરનસિંગ ઠાકુર નામનો આરોપી ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે કવાયત તેજ બનાવી છે. 26 એપ્રિલે કેટલાક હથિયારધારી શખ્સોએ જ્વેલર્સની દુકાનમાંથી 85 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી.
કેવી રીતે આપ્યો હતો લૂંટને અંજામ ?
26 એપ્રિલે પહેલાં આરોપીઓએ અલગ-અલગ રૂપમાં શિવ જ્વેલર્સની આજુબાજુ રેકી કરી હતી. ત્યારબાદ 11 વાગ્યા આસપાસ એક આરોપી વીંટી લેવાના બહાને શિવ જ્વેલર્સમાં ઘૂસ્યો હતો અને દુકાનની અંદર રેકી કરી હતી. લૂંટ કરવાના થોડા સમય પહેલાં બિકેશ અને અવિનાશ નામના આરોપીએ એક મોટરસાયકલની ચોરી કરી હતી. બપોરના ત્રણ વાગ્યા આસપાસ મોકો મળતા જ સતીષ, શુભમ અને સુરેન્દ્ર નામના ત્રણ આરોપી હથિયાર સાથે દુકાનમાં ઘૂસી ગયા હતા અને માલિકને ધમકાવી લૂંટ ચલાવી હતી. આ દરમિયાન બિકેશ અને અવિનાશ નામના આરોપી દુકાન બહાર જ ઉભા હતા અને બહારની હલચલ પર નજર રાખી રહ્યા હતા. દુકાનની અંદર રહેલા આરોપીએ લૂંટ કરીને જ્વેલર્સના માલિકને તિજોરીમાં પૂરી દીધો હતો અને તિજોરીને બહારથી લોક મારી દઈ ફરાર થઈ ગયા હતા. લૂંટનો મુદ્દામાલ બિકેશ અને અવિનાસે રાખ્યો હતો. બીજી તરફ ચોરી કરેલું બાઈક લઈને સતીષ, શુભમ અને સુરેન્દ્ર ત્રણે આરોપી મોરબી તરફ નાસી ગયા હતા.
લૂંટનો બનાવ પૂર્ણ થયા બાદ અવિનાશ અને બિકેશે નોટ કરેલો મુદ્દામાલ પોતાના ભાડાના મકાનમાં મૂકીને બહારની પોલીસ તેમ જ અન્ય વ્યક્તિની મુવમેન્ટ ઉપર નજર રાખતા હતા. ત્યારબાદ થોડા સમય પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો આવેલો જોઇ જતાં તેઓને પકડાઈ જવા ની બીક પણ લાગી હતી. જેથી તેઓ મુદ્દામાલ રૂમમાં જ રાખી થોડે દૂર જઇ અગાઉ નક્કી થયા મુજબ ઓટો રિક્ષા મારફતે મોરબી ભાગી ગયા હતા.
મોરબીમાં પાચેય આરોપીએ ભેગા થઈને રાજસ્થાન જવાનો પ્લાન બનાવ્યો હતો. મોરબીથી બસમાં બેસીને આરોપીઓ રાજસ્થાન જતા રહ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી રાજસ્થાનમાંથી પણ ફરાર થઈ ગયા હતા અને જગ્યા બદલતા રહ્યા હતા. આરોપીએ રાજસ્થાનથી દિલ્હી, દિલ્હીથી, પલવલ હરિયાણા તેમજ ત્યાંથી ભીવંડી પહોંચ્યા હતા. ભીવંડી આરોપી છુટા પડ્યા હતા અને ત્યારબાદ અવિનાશ અને શુભમ રેવાડી હરિયાણા ખાતે પેઇંગ ગેસ્ટ તરીકે જ રહેવા લાગ્યા હતા.
આરોપી અવિનાશ ઉર્ફે ફૌજી તારીખ 1 ઓગસ્ટ 2016ના રોજ આર્મીમાં ભરતી થયો અને નોકરી ચાલુ હતી તે દરમિયાન તારીખ 10 મે 2020ના રોજ પોતાના લગ્ન હોવાથી રજા લઈ અને વતનમાં આવ્યો હતો તે દરમિયાન તારીખ 8 મે 2020ના રોજ તેની જૂની સ્ત્રી મિત્રએ તેના ઉપર બળાત્કારની ફરીયાદ દાખલ કરાવી હતી અને લગ્નના બે દિવસ પહેલા જ પોલીસે અટકાયત કરી હતી. બદનામી થયા બાદ દરમિયાન જેલમાં હતો ત્યારે સતીષ સિકરવાર, શુભમ કુંતલ, રામહરી ઠાકુર વગેરે આરોપીઓને મળેલો અને જેલમાથી છૂટ્યા બાદ પોતે બધુ ગુમાવી ચુક્યો હોવાથી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળ્યો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત