Homeગુર્જર નગરીવેરાવળ, સોમનાથ, સુત્રાપાડાના નાગરિકો માથે જળસંકટ, ઔદ્યોગિક એકમો ઉપર પાણી કાપ મૂકવા...

વેરાવળ, સોમનાથ, સુત્રાપાડાના નાગરિકો માથે જળસંકટ, ઔદ્યોગિક એકમો ઉપર પાણી કાપ મૂકવા રજૂઆત

શૈલેષ નાઘેરા: વરસાદ ખેંચાયો છે, દિવસો વિતી રહ્યા છે જેને લઈને ખેડૂતો ચિંતિત છે. આમ જોઈએ તો હાલ ગુજરાતમાં ચોમાસુ જામ્યું હોવું જોઇએ. ગત વર્ષે આ સમયે નદી-નાળાં બે કાંઠે વહેતા હોવા જોવા મળી રહ્યા હતા જ્યારે આ વર્ષની સ્થિતિ બિલકુલ વિપરીત છે. જેવી દક્ષિણ ગુજરાતની સ્થિતિ છે એવી જ સ્થિતિ સૌરાષ્ટ્રમાં છે. તેમાં પણ વેરાવળ અને સુત્રાપાડાના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોની છે.

સિંચાઈ વિભાગના અધિકારી એન.બી.સિંઘલના જણાવ્યા પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમા જળાશયોમાં ગણતરીના દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. ગત વર્ષે જુલાઈ માસમાં જ છલકાઈ ગયેલો હિરણ- 2 ડેમ આ વર્ષે હજુ ખાલીખમ છે.

બીજી તરફ ચોમાસુ પચાસ ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી સમયમાં વરસાદ ન થાય અને જળાશયોમાં નવા પાણીની આવક ન થાય તો મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે ત્યારે હીરણ- 2 ડેમમાંથી ઔદ્યોગિક એકમો ઉપર પાણી કાપ મુકવા નગરસેવક અફઝલ પંજા દ્વારા જિલ્લા કલેક્ટર અને સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લાના સૌથી મોટા અને મુખ્ય જળાશય હિરણ-2માંથી સાત સંસ્થાઓને પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. જેમા વેરાવળ-પાટણ સંયુક્ત-નગરપાલિકા, 3.00 એમજીડી વેરાવળ જૂથ યોજના, 2.00 એમજીડી, સુત્રાપાડા નગરપાલિકા 0.18 એમજીડી, સોમનાથ ટ્રસ્ટ-0.15 એમજીડી, તાલાલા એજ્યુકેશન ટ્રસ્ટ–0.02 એમજીડી, ઈન્ડિયન રોયોન કંપની-0.50 એમજીડી અને જીએસસીએલ કંપની સુત્રાપાડાને 2.25 એમજીડી પાણી પૂરું પાડવામાં આવે છે. આમ, બે ઓધોગિક એકમો સહિત સાત સંસ્થાઓ પીવાનું પાણી મેળવી રહી છે.

વર્ષ 2012માં ડેમ તળિયા જાટક થયો હતો ત્યાર બાદ આઠ વર્ષ બાદ ફરી આ સ્થિતિ સર્જાઈ છે. આ ડેમને જિલ્લાની જીવાદોરી માનવામાં આવે છે. જેથી આગામી સમયમાં વધુ કપરી સ્થિતિ ની સર્જાય‌ તેના માટે હીરણ-2 ડેમમાંથી ઔદ્યોગિક એકમો ઉપર પાણી કાપ મુકવા નગરસેવક અફઝલ પંજાએ જિલ્લા કલેક્ટર અને સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments