Team Chabuk-Gujarat Desk: ધર્મના નામે બની બેઠેલા અને ભગવા કપડાં ધારણ કરીને પોતાને સંતની પદવી આપતા ઘણા એવા ઠગબાજો છે જે ધર્મને લાંછન લગાડવાનું કામ કરે છે. પોતાની કરતુતોના કારણે સર્વ સંત સમાજને બદનામ કરવાનું કામ આવા લેભાગુઓ કરતાં હોય છે. ત્યારે સાવરકુંડલામાં આવેલા એક આશ્રમના સંતના કાળા કારનામાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાવરકુંડલાના દાધીયા ગામે આવેલા કબીર આશ્રમના સંતે ગુરુપુર્ણિમાના પવિત્ર દિવસે અપવિત્ર કામ કર્યું છે.

વાત જાણે એમ છે કે, દાધીય ગામે આવેલા કબીર આશ્રમના સંતે ગુરુપુર્ણિમાના દિવસે વલ્લભીપુર પંથકની એક મહિલાને પુત્ર પાપ્તિની વિધિના બહાને મધરાતે અવાવરુ જગ્યાએ ઝાડ નીચે બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું છે. ગુરુપુર્ણિમાએ બનેલી આ ઘટના બાદ પરણિત મહિલાએ આ વાતની કોઈને જાણ કરી ન હતી. પરંતુ મહિલા સાથે આ કુકર્મ કરનાર કહેવાતા ગુરુ એવા અમરદાસે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાંતી મહિલાના મોબાઈલમાં મેસેજ કરીને કહ્યું હતું કે, મારી ભુલ છે બને તો મને માફ કરી દેજો, મમ્મી, પપ્પાને ન કહેતા. અમરદાસે મહિલાને કરેલા આ મેસેજને મહિલાના પતિએ જોતા તેણે પત્નીની પુછપરછ કરી હતી અને મહિલાએ ગુરુપુર્ણિમાએ બનેલી સમગ્ર ઘટનાની હકીકત જણાવી દીધી હતી. મહિલાએ પતિને આ વાતની જાણ કરતાં અમરદાસની કામલીલાનો પર્દાફાશ થયો હતો.
મહત્વનું છે કે, વલ્લભીપુર પંથકની 29 વર્ષીય પરણિત મહિલાને સંતાનમાં એક દીકરી હતી પરંતુ પરિવારની ઈચ્છા દીકરાની હતી. તેથી મહિલાએ કબીર આશ્રમના સંત પાસે વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ અમરદાસે વિધિ બહાને મહિલાને પોતાના હવસનો શિકાર બનાવી હતી. ભોગ બનનાર મહિલા સાવરકુંડલાના દાધીયા ગામે આવેલા કબીર આશ્રમમાં અવારનવાર જાય છે. આશ્રમ પ્રત્યે મહિલાને અપાર શ્રદ્ધા છે અને આશ્રમના સંત અમરદાર સાહેબ ઉર્ફે અમરસંગ ખોડા પરમારને તે પોતાના ગુરુ માને છે. ત્યારે પુત્ર પાપ્તિની ઈચ્છાએ વિધિ કરાવવા માટે આ મહિલા ગત તારખી 18 જુલાઈના રોજ ગુરુપુર્ણિમાના પવિત્ર દિવસે વિધિ કરાવવા માટે કબીર આશ્રમ ગઈ હતી.

ગુરુપુર્ણિમાના દિવસે આશ્રમમાં આશરે 50 જેટલા ભક્તો હતા. તમામે ગુરુપુર્ણિમાના દિવસે ગુરુની સેવા પૂજા કરી હતી. અમરદાસે ભોગ બનનાર મહિલાને કહ્યું હતું કે, રાત્રે 12 વાગ્યે આશ્રમના કમ્પાઉન્ડ પાસે ઝાડ નીચે આવજે ત્યાં હું તને વિધિ કરી આપીશ. મધરાતે મહિલા ઝાડ નીચે અવાવરુ જગ્યાએ જતાં ત્યાં અમરદાસે થોડી વિધિ કરી મહિલાને ખાવા માટે સફરજન આપ્યું હતું. સફરજન ખાધા બાદ મહિલા અર્ધ બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ અમરદાસે મહિલા પર દુષ્કર્મ આચરીને પોતાની હવસ સંતોષી હતી.

કલાક બાદ મહિલા જ્યારે ભાનમાં આવતાં બન્ને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. મહિલાએ આ સમગ્ર ઘટના અંગે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, ઘરમાં કોઈને વાત કરી ન હતી પરંતુ તેના પતિ અન્ય રાજ્યમાં નોકરી કરતાં હોય પરત આવ્યા ત્યારે આ અમરદાસે કરેલો મેસેજ વાચ્યો હતો અને હવેથી કોઈ અન્ય સ્ત્રી સાથે આવી ઘટના ન બને તે માટે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત