Team Chabuk-Gujarat Desk: બંટી બબલી-2 ફિલ્મ રિલીઝ થવાને ટૂંક સમયની જ વાર છે, પણ એ પહેલા એક બંટી અમદાવાદમાં ચમક્યો છે. આ બંટીએ સરકારી જમીનનો પ્લોટ પોતાનો બતાવી 15 લાખ રૂપિયામાં વેચી નાખ્યો. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ અને પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી.

વાસણા પોલીસે જે બંટીની ધરપકડ કરી છે તેનું નામ ચિરાગ ભરવાડ છે. ચિરાગભાઈ ભરવાડ ઉપર આરોપ લાગ્યા છે કે તેણે નરોડામાં આવેલ સરકારી તળાવના ખોટા દસ્તાવેજો બનાવી વેજલપુરના વેપારીને ગોડાઉન બનાવવા માટે રૂપિયા 15 લાખમાં વેચી માર્યું. ફરિયાદીનું નામ મુકેશ ભરવાડ છે અને આરોપી ચિરાગ ભરવાડ. આ બેઉંની મુલાકાત લોકડાઉન સમયે થઈ હતી. ફરિયાદી મુકેશભાઈ અને આરોપી ચિરાગની વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં આરોપી ચિરાગે કહ્યું હતું કે, ‘15 લાખની કિંમતનો એક ગોડાઉન થાય એવો પ્લોટ મારી પાસે છે. જે વેચવાનો છે.’ વાત બની ગઈ અને 300 વારના પ્લોટનો સોદો નક્કી થઈ ગયો.

ચિરાગ ભરવાડ ખોટા દસ્તાવેજ બનાવી આ જમીન પોતાની હોવાનો દાવો કરતો હતો. મળતી માહિતી પ્રમાણે મુકેશભાઈ ચિરાગના કરામતી ભેજામાં ફસાઈ ગયા હતા અને વિશાલા હોટલની પાસે એડવાન્સ 15 લાખ રૂપિયા આપ્યા હતા. મુકેશભાઈ પ્લોટ મળતા આનંદમાં હતા. તેમણે એ પ્લોટમાં બાંધકામની શરુઆત કરી દીધી હતી. અંતે સ્થાનિકોએ તેમને કહ્યું હતું કે, તમે જ્યાં બાંધકામ કરી રહ્યા છો એ જમીન તો સરકારી છે. મુકેશભાઈએ આ વાત સાંભળી અને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ.

મુકેશભાઈએ સરકારી દસ્તાવેજમાં જોયું ત્યારે સાચી માહિતી મળી કે આ ખાનગી નહીં પણ સરકારી છે અને ચૂનો લગાડી દેવામાં આવ્યો છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ થતાં તેમણે વાસણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ચિરાગ ભરવાડની વિરૂદ્ધમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ચિરાગ નામના છેતરપિંડી રૂપી જીનની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આગળ એ તપાસ કરી રહી છે કે મહાશય ચિરાગે કેટલાને બાટલીમાં ઉતાર્યાં? કે પછી આ પ્રથમ ગ્રાહક જ હતો!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત