Homeગુર્જર નગરીપોરબંદર: ડાયાબીટીસ, મોઢા, સ્તન, ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બિમારી, સહિતના રોગો માટે...

પોરબંદર: ડાયાબીટીસ, મોઢા, સ્તન, ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બિમારી, સહિતના રોગો માટે આરોગ્ય કેન્દ્રો ખાતે દર શુક્રવારે વિનામૂલ્યે નિદાન કરાશે

Team Chabuk-Gujarat Desk: સ્વસ્થ નાગરિક, નિરામય ગુજરાત, ઉન્નત ગુજરાત અંતર્ગત ગઈકાલના રોજ બીનચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવારનાં ગુજરાત સરકારનાં મહા અભિયાન હેઠળ નિરામય ગુજરાતનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પાલનપુરથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત પોરબંદર નર્સિંગ સ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો નિરામય ગુજરાતનો શુભારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાએ કરાવ્યો હતો.  

આ તકે મંજુબેન કારાવદરાએ જણાવ્યું હતું કે, નિરામય ગુજરાત અભિયાન થકી પોરબંદર જિલ્લાનાં ૩૦ વર્ષથી વધુ વયના અંદાજે ૩ લાખ ૩૬ હજારથી વધુ વ્યક્તિઓ નિરામય ગુજરાત હેઠળ બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ સારવાર મેળવીને બિનચેપી રોગની ઓળખાણ અને વહેલી સારવારથી વિવિધ રોગો સામે રક્ષણ મળશે. આરોગ્ય કર્મીઓ સર્વે માટે ઘરે ઘરે આવે ત્યારે લોકો સહકાર આપે તે પણ ખુબ જરૂરી છે.

આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું કે, જેમની ઉંમર ૩૦ વર્ષ અથવા તેથી વધુ છે તે તમામ નાગરિકોને બિનચેપી રોગનું સ્ક્રીનીંગ અને સારવાર કરવામાં આવશે. આ અભિયાનમાં જુદી-જુદી આઠ બિમારીનો સમાવેશ કરાયો છે. જેમા હાઇપર ટેન્શન, ડાયાબીટીસ, મોઢા, સ્તન, ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બિમારી, પાંડુરોગ, કેલ્શિયમની ઉણપ જેવા બિનચેપી રોગો માટે આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે નિદાન કરાશે

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ નૂતન અભિયાન હેઠળ પોરબંદર જિલ્લાનાં આરોગ્ય કેન્દ્રો ખાતે દર શુક્રવારે નિરામય દિવસની ઉજવણી અંતર્ગત બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ અને સારવાર કરાશે. આ કામ માટે હેલ્થ વિભાગની ટીમ કટીબધ્ધ છે. આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઇને દર શુક્રવારે આરોગ્ય કેન્દ્રો ખાતે નિરામય ગુજરાત દિવસ અંતર્ગત નિદાન કરાશે.

આ પ્રસંગે પાંચ લાભાર્થીઓને સ્ટેજ પર ટોકન રૂપે નિરામય કાર્ડ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા. ઉપસ્થિત તમામે નિરામય ગુજરાત અંતર્ગત શપથ લીધા હતા. તથા મુખ્યમંત્રીના લાઇવ કાર્યક્રમ નિહાળીને નિરામય ગુજરાતની ટુંકી ફિલ્મ નિહાળી હતી. તથા નિરામય ગુજરાત અંગે માહિતી પુરી પાડતી બુક લોન્ચ કરાઇ હતી. નર્સિંગ સ્કૂલ ખાતે આ તકે આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે જિલ્લા કલેકટર અશોક શર્મા, પ્રાંત અધિકારી કે.વી. બાટી સહિત આરોગ્ય સ્ટાફ, ડોકટર્સ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સી.ડી.એમ.ઓ ડો.દિવ્યાબેન તથા આભારવિધી સી.ડી.એચ.ઓ. ડો.કવિતાબેન દવેએ અને કાર્યક્રમનું સંચાલન  શિક્ષિકા  મંજુબેન બાપોદરાએ કર્યુ હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments