Team Chabuk-Gujarat Desk: રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ગોવિંદ પટેલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને આ મામલે પત્ર લખીને સનસનીખેજ આરોપ લગાવ્યા છે. ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી લે છે. આ પત્રમાં ગોવિંદ પટેલે આરોપ લગાવ્યો છે કે મનોજ અગ્રવાલે 15 ટકા લેખે હિસ્સો લઈને નાણા વસૂલ્યા છે.
ગોવિંદ પટેલે પત્રમાં શું લખ્યું ?
ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે,
આ.શ્રી હર્ષભાઈ
સાદર નમસ્કાર,
સવિનય જણાવવાનું કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની કામગીરીથી આપને મેં વાકેફ કરેલ છે. તેઓશ્રી કોઈ મવાલી ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે. જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બનેલ છે. પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના શ્રી મહેશભાઈ સખીયાએ કરેલ છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડનું ચીટીંગ થયેલ જે અંગેની એફ.આઈ.આર. નહિ ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્સો માગેલ અને તે પ્રમાણે ક્રાઈમબ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસૂલાત કરેલ જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરશ્રીએ તેના પી.આઈ. મારફતે વસુલેલ અને બાકીના 30 લાખની ઉઘરાણી જે તે પી.આઈ. ફોનથી કરી રહ્યા હ તા જે રકમ આવેલ નથી અને ત્યારબાદ આપના પાસે ફરિયાદ થતાં એફ.આઈ.આર દાખલ થયેલ અને બે આરોપીને પકડેલ પણ ખરા. એક આરોપી ભાગતો ફરે છે જેને આજ રકમમાંથી એક ફ્લેટ લીધેલ છે. આમ પોલીસ કમિશનરશ્રી આવા ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે જે આપની જાણ માટે. આ અંગેની આપને આપેલ ફરિયાદ પછી અને એફ.આઈ.આર. ફાડ્યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી તેમજ તેમને લીધેલ 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલાં ભરો તેવી વિનંતી સહ..

ગૃહરાજ્ય મંત્રીએ આ મામલે શું કહ્યું ?
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ ધારાસભ્ય ગોવિંદ પટેલના ગંભીર આરોપ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ પગલાં લીધા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે ગાંધીનગરમા આ મામલે બેઠક કરશે. તેમણે કહ્યું કે, ગોવિંદ પટેલની ફરિયાદ નવી નથી તે ભૂતકાળની સરકારથી ચાલી આવે છે. ધારાસભ્ય ગોવિંદભાઈએ અગાઉ પણ મને આ અંગેની ફરિયાદ કરી હતી જેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ યોગ્ય પગલા ભરાશે.
પોલીસ કમિશનર ગાયબ !
ગોવિંદ પટેલના આરોપ બાદ પોલીસ કમિશનર ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે રાજકોટ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શિદ અહેમદને પૂછતાં તેઓએ પણ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ક્યાં છે તેની તેઓને જાણ નથી. ત્યારે ચર્ચા શરૂ થઈ છે કે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સાંસદ રામ મોકરિયાએ ગોવિંદ પટેલનું સમર્થન કર્યું
ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહરાજ્ય મંત્રીને લખેલા પત્રમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ જે આરોપ લગાવ્યા છે તેને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સાચા ગણાવ્યા છે. રામ મોકરિયાએ કહ્યું છે કે પોલીસ કમિશનર ઉઘરાણી અને જમીનના હવાલા લે છે. પોલીસ કમિશનર કમિશનથી જ કામ કરતાં હોવાનો આરોપ રામ મોકરિયાએ લગાવ્યો છે. મોકરિયાએ કહ્યું કે, કમિશનરને જમીનના સોદાઓમાં વધુ રસ છે. જમીન વિવાદમાં મોટી રકમ મેળવે છે. આમ આદમીનું કામ નથી થતું. ફિલ્ડમાં પણ નબળા અને માનીતા અધિકારીઓને જ રાખ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
