Team Chabuk-Gujarat Desk: ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની થીમ પર આયોજિત “માધવપુરના મેળા”નો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તર-પૂર્વ તેમજ ગુજરાતના મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. તેના માધ્યમથી ભારતના સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાની અદભુત પ્રસ્તુતિ થઈ રહી છે, જે ભરોસો આપે છે કે ભારતની એકતા પર ક્યારેય કોઈ આંચ નહિ આવે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી, આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે, આ મેળા થકી આપણે ઉત્તર પૂર્વના રાજ્યોને આપણી સાથે જોડ્યા છીએ. કલા, સંસ્કૃતિ, સંગીત, કળા અને ઉદ્યોગ વગેરે થકી વિવિધ રાજ્યોને જોડવાના પ્રયાસોના ભાગરૂપે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ પણ કરવા જઈ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વોકલ ફોર લોકલના મંત્રને સાકાર કરતા, રાજ્યમાં ૧૮થી ૩૦ માર્ચ દરમિયાન વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટમાં ઉત્તર પૂર્વના હસ્તકલા કારીગરો માટે હસ્તકલા મેળા યોજાયા હતા. જેમાં તેમને ૧ કરોડ ૨૯ લાખ રૂપિયાનો બિઝનેસ મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતના લોકો સમગ્ર વર્ષ દરમિયાન પણ ટેકનોલોજીના માધ્યમથી ઉત્તર પૂર્વના લોકો પાસેથી ખરીદી કરતા હોય છે.
રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ વખતે પ્રવાસનના બજેટમાં ત્રણ ગણો વધારો કરીને રૂ. ૨૦૦૦ કરોડની જોગવાઈ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમને સાકાર કરવા ગુજરાતે પ્રવાસનને નવી દિશા આપી છે.
આ સાથે મુખ્યમંત્રીએ દેશભરના લોકોને માધવપુરના મેળામાં આવીને અહીંની સંસ્કૃતિને માણવા માટે આમંત્રણ આપ્યું હતું. સંબોધનના પ્રારંભે મુખ્યમંત્રીએ સૌને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ રૂકમણીજીના વિવાહપ્રસંગ તેમજ રામનવમી પર્વની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજીજુએ મેળામાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાતો આ મેળો આજે સંસ્કૃતિ, કલાની સાથે સાથે રમત ગમત, મીડિયા આદાન પ્રદાન વગેરે થકી વ્યાપક બન્યો છે. માત્ર ભૌગોલિક સ્થળો જ નહીં પરંતુ સાંસ્કૃતિક ભાવનાઓનું જોડાણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું કાર્ય વડાપ્રધાન આ પ્રકારના કાર્યો થકી કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રૂકમણીજીના વિવાહનું આ પવિત્ર સ્થળ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળ આપનારૂ છે. આ મેળો સમય જતાં પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતનું મિલન જ નહીં પરંતુ સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે.
ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિત્વો જ નહીં, પરંતુ મહેનત તથા ખંતથી દેશને કઈ રીતે વિકાસની રાહે આગળ વધારી શકાય તેની શીખ પણ લોકોને આપી છે. દેશ દુનિયામાં ગુજરાતની આગવી ઓળખ અને ગુજરાતીઓની મહેનતને-પરિશ્રમને પણ તેઓએ બિરદાવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઉત્તર પૂર્વના કલાકારો-દરિયાઈ રમતોના ખેલાડીઓને ગુજરાતની ધરતી પર પ્લેટફોર્મ મળે તે માટે કરાયેલા આયોજનને આવકાર્યું હતું.
કૃષ્ણ-રૂકમણી વિવાહની ઐતિહાસિક પરંપરાને આજ પર્યંત જાળવી રાખવા બદલ પોરબંદર-ઘેડ પંથકના લોકોનો પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ આ તકે આભાર વ્યક્ત કર્યો હતો.
મેળાના ઉદઘાટન પ્રસંગે રામનવમીના તહેવારની શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિકે જણાવ્યું હતું કે, માધવપુર મેળો વર્ષોથી યોજાતો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર-પૂર્વી રાજ્યોને પશ્ચિમ સાથે જોડવાનો મેળાપ કરાવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પૂર્વે ઉત્તરપૂર્વી રાજ્યો માટે ઓળખનો પ્રશ્ન હતો. પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બનતા આજે ઉત્તરપૂર્વી રાજ્યોને આખી દુનિયામાં ઓળખતી થઈ છે. માધવપુરના મેળા થકી ઉત્તરપૂર્વી રાજ્યની કલા સંસ્કૃતિ જાણવાનો – માણવાનો મોકો અહીંના લોકોને મળ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગમાં તમારો અને અમારો નાતો પિયર અને સાસરીયા પક્ષનો એમ કહીને ઉત્તરપૂર્વ અને ગુજરાતના ભાવનાત્મક જોડાણ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

મેઘાલયના પ્રવાસન, કળા અને સંસ્કૃતિ વિભાગના મંત્રીશ્રી પોલ લિંગડોહએ આ તકે ઉપસ્થિત રહી તેમણે માધવપુર મેળાને રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું તેમ જણાવી શ્રીકૃષ્ણ રુક્મિણીજીના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવુ છું તેમ કહ્યું હતું. મંત્રીએ વધુમાં કહ્યું કે, આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડવાની સાથે ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી આવેલા કલાકારો, કારીગરોને પણ અહી પ્લેટફોર્મ પણ મળ્યું છે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં કેબિનેટ મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું કે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા આ માધવપુર મેળાને વર્ષ 2018 થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નવી ઉંચાઈ મળી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને વિદર્ભના રાજકુમારી શ્રી રૂકમણીજીના પવિત્ર વિવાહનું આ સ્થળ ખૂબ જ ઐતિહાસિક અને દર્શનિય હોવાની સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનને પણ ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. મંત્રીએ સ્કંદ પુરાણ અને મહાભારતનો સંદર્ભ ટાંકી ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની ઐતિહાસિક ગાથા લોકો સમક્ષ રજૂ કરી હતી અને ધર્મ, જાતિ, આર્થિક સ્થિતિ, સામાજિક દરજ્જાથી આગળ વધી આ મેળો ગુજરાત તથા પૂર્વોત્તર રાજ્યોના સંબંધો વધુ મજબૂત બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માધવપુર ઉપર ૦૩ ભાષામાં અને ૦૧ ઉપભાષામાં લિખિત પુસ્તકનું લોન્ચિંગ કરાયું હતું. ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ઓળખ સમા ગરબા, અરુણાચલ પ્રદેશનું ડાન્સફોર્મ, આસામ તેમજ અન્ય રાજ્યોના ૧૫૦થી વધુ કલાકારોએ સુંદર વેશભૂષામાં કલા, સંગીત અને નૃત્યની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રીએ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોને બંને પ્રદેશની સંસ્કૃતિ પ્રસ્તુત કરતી ગાથા માધવપુરની કૃતિઓ રજૂ કરવા બદલ કલાકારોને બિરદાવી અભિનંદન આપ્યા હતા. સુપ્રસિદ્ધ લોકગાયિકા લલીતાબેન ઘોડાદ્રા અને લોકસાહિત્યકાર અને ડાયરાના જાણીતા માલદેભાઈ આહિર, સાંઈરામ દવે વગેરેએ પોતાની આગવી શૈલીમાં ગીતો લલકારી પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા.
આ ઉપરાંત ગુજરાત અને ઉત્તરપૂર્વી રાજ્યના કલાકારો દ્વારા શ્રીકૃષ્ણ અને રુક્મિણીના જીવન પર આધારીત મલ્ટીમીડિયા શો રજૂ કર્યો હતો. માધવપુર મેળાના પ્રસંગે ઉત્તર પૂર્વ તેમજ ગુજરાતના ખેલાડીઓએ દરિયાઈ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં ૧૦૦ મીટર દોડ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, જૂડો અને ટેકવેન્ડો રમતનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, પોરબંદર પાસે આવેલા માધવપુર ઘેડમાં, ચૈત્ર શુક્લ નવમી, રામનવમીથી પાંચ દિવસીય મેળો યોજાય છે. આ મેળો પૌરાણિક કાળથી દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિના સંગમ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતીક સમાન છે.
આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઈ, રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્યો સર્વ ભગવાનજી કરગઠીયા, દેવા માલમ, કાંધલ જાડેજા, પૂર્વ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયા તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લ, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર આલોકકુમાર, પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા સહિત આમંત્રિત મહાનુભાવો, અગ્રણીઓ, ગામલોકો સહિત પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
