ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. વન-ડે, ટી-20 અને ટેસ્ટ સિરીઝમાં બંને ટીમ આમને સામને છે. ભારત વન ડે સિરીઝ ગુમાવી ચુક્યું છે. કાંગારૂએ સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. આવતીકાલની મેચ માત્ર ઔપચારિક છે.
હાર બની માથાનો દુઃખાવો !
ભારતીય ટીમનું સતત નબળું પ્રદર્શન કેપ્ટન કોહલી માટે માથાનો દુઃખાવો બન્યો છે. વિરાટની કેપ્ટનશીપ પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. ટીમનો વિશ્વાસ જીતવા માટે કેપ્ટન કોહલી નબળો પુરવાર થતો હોય તેવી પણ ચર્ચા છે. એવામાં ભારતીય ટીમના બે પૂર્વ ખેલાડીઓના નિવેદનથી આ ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
નહેરાની નજરે કોહલી
ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નહેરાએ કેપ્ટન કોહલી પર તંજ કસ્યો. નહેરાએ કોહલીના નિર્ણયને પરોક્ષ રીતે ઉતાવળિયો ગણાવ્યો. નહેરાએ કહ્યું કે, કોહલીએ બોલિંગ પરિવર્તનના નિર્ણયમાં બહુ ઉતાવળ કરી. કોહલીએ કેટલાક નિર્ણયો તાત્કાલિક લીધા જેની કોઈ જરૂર ન હતી.
નહેરાએ કહ્યું કે,મને લાગે છે કે કોહલી બોલિંગમાં જલદી પરિવર્તન કરે છે. તેની પાસે માત્ર પાંચ બોલર છે. ભારતે મયંક અગ્રવાલ અને હાર્દિક પાસે બોલિંગ કરાવી આ મેદાન પર જ લેવાયેલો નિર્ણય હતો. જો બધું સારી રીતે ચાલી રહ્યું હોત તો તમે આ બંને બોલરને બોલિંગ કરતા ન જોયા હોત. આશિષ નેહરાએ ફરી એક વખત ઉતાવળ શબ્દનો ઉપયોગ કરતા કહ્યું કે, કોહલી પોતાના નિર્ણયમાં ઉતાવળ કરી રહ્યો છે. પહેલી વન-ડે મેચ દરમિયાન જ્યારે કોહલીનો કેચ છુટ્યો હતો ત્યારે એવું લાગ્યું હતું તે ઉતાવળમાં છે. કોહલીએ પોતાની કારકીર્દિમાં 350 રનનું લક્ષ્ય ઘણીવાર મેળવ્યું છે. આ પહેલીવાર ન હતુ. ત્યારે એવું લાગી રહ્યું હતું કે કોહલી 350 નહીં પરંતુ 450 રનનો પીછો કરી રહ્યો છે. મને લાગુ રહ્યું છે કે, કોહીલ આવેગમાં આવીને નિર્ણય લઈ રહ્યો છે. બોલિંગમાં વધુ પરિવર્તન કરી રહ્યો છે. આ મુદ્દે તેને વિચાર કરવાની જરૂર છે.
ગૌતમ પણ બન્યો છે ‘ગંભીર’
આ મુદ્દે ભારતીય ટીમને પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર પણ તેને ટોકી ચુક્યો છે. ગંભીરે કહ્યું હતું કે, બીજી વનડેમાં પોતાના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ પાસે માત્ર બે ઓવરનો ઓપનિંગ સ્પેલ નખાવ્યો. આ સમજાતું નથી. દુનિયાનો કોઈ પણ કેપ્ટન બુમરાહ પાસે માત્ર બે ઓવરનો ઓપનિંગ સ્પેલ નહીં નખાવે. ગંભીરે કહ્યું કે, ખરાબ કેપ્ટનશીપને લીધી ટીમ ઈન્ડિયા હારી રહી છે.
ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું કે, ‘કોહલીની કેપ્ટનશીપ મને સમજાતી નથી. જો ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈનઅપ તોડવી હોય તો વિકેટ લેવી જરૂરી છે. પરંતુ તમે બુમરાહ જોવા મુખ્ય બોલર પાસે માત્ર 2 ઓવર જ નખાવો છો. સામાન્ય રીતે વનડેમાં બોલિંગ સ્પેલ 4-3-3 ઓવરનો હોય છે. આ ટી-20 ક્રિકેટ નથી.’
કોહલીની ભૂલ શું છે ?
બીજી વન-ડે મેચ દરમિયાન કોહલીએ આ ભૂલ કરી હતી. જેનાથી અનુભવી ક્રિકેટરોએ નારાજગી વ્યક્ત કરી છે. મેચમાં કોહલીએ પહેલા બે ઓવર શમી પાસે કરાવી. ત્યારબાદ તેણે બોલ સૈનીને આપ્યો. ત્યારબાદ તેણે શમીની જગ્યાએ બુમરાહના હાથમાં બોલ આપ્યો. આ મેચમાં તેણે હાર્દિક પાસે પણ બોલિંગ કરાવી તો મયંકને પણ અજમાવ્યો. ક્યારેક આવા સતત પરિવર્તનના કારણે બોલરનો આત્મવિશ્વાસ પણ તુટે છે. એટલે નિષ્ણાંતો કોહલીના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.
વિશ્વાસ જીતવો પડશે
આવતીકાલે કૈનબરામાં કોહલીની આગેવાનીમાં ટીમ ફરી મેદાને ઉતરશે. જોઈએ આવતીકાલે કોહલીની કેપ્ટનશીપમાં કેટલો દમ છે. કોહલીએ મેચ જીતીને ખેલાડીઓનો વિશ્વાસ જીતવો જ પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત