Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળેલ કે, કેટલાક તત્વો જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારી કરે છે અને સસ્તા અનાજની દુકાને મળતું અનાજ દુકાનેથી વિતરણ થઈ ગયા પછી ઘરે-ઘરે જઈ અને એકત્રિત કરી ગેરકાયદેસર અનાજના વેપારીઓ તથા આટા મિલ અને માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે અને તેના આધારે સૂચના મળેલ હતી કે, આવા વધુમાં વધુ કેસો શોધી કાઢવામાં આવે અને આ સમગ્ર સિસ્ટમ તોડી પાડવામાં આવે તે માટે નિવાસી અધિક કલેક્ટર એન. એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિહં ગોહિલ અને તેમની ટીમ દ્વારા સવારથી જ વોચ ગોઠવવામાં આવી હતી અને આ વોચના આધારે ઘરે-ઘરે ફરી અને સરકારી અનાજ વેચાતું મેળવી અને ગોડાઉન ધારકોને વેચી અને બારોબાર વેચી નાખવાનો ધંધો કરતા એક ઈસમને પકડી પાડ્યો હતો. જેની સઘન તપાસ કરી અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળેલી હતી કે, કેટલાક ગેરકાયદેસર તત્વો સરકારી અનાજની દુકાને મળતું અનાજ વિતરણ થયા પછી ઘરે-ઘરે જઈ અને આ અનાજ વેચાતું લઈ અને તે અનાજની કાળા બજારી કરે છે. આ બાબતે સવારથી જ પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આવા એક શખ્સને પકડી લેવામાં આવ્યો હતો. આ ઈસમ પાસેથી છકડોમાં રીક્ષામાથી રૂ. ૨૩૭૪ની કિંમતની બે બોરી ઘઉં ( ૯૧.૩૨૦ કિલો) તથા રૂ. ૪૭૫૩ કિંમતના ચોખાની ૩ બોરી (૧૨૧.૮ કિલો) સીઝ કરવામાં આવેલ છે. તેઓ કઈ રીતે આ તમામ રેકેટ ચલાવે છે તેની તમામ માહિતી મળી ગઈ હતી. આ માહિતીના આધારે તેઓ જે ગોડાઉન ધારકોને અનાજ વેચે છે, તેમના સ્થળે જઈ અને રેડ કરવામાં આવી હતી અને આવા બે ગોડાઉન પાદરીયા ગામે પકડી પાડવામાં આવ્યાં હતા. જેમાં મોટા પાયે સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જેમા પાદરીયા ગામમા ૨ અનાજના ગોડાઉનમા રેડ કરતા એક ગોડાઉનના માલીક સોહીલ રફીકભાઇ મહીડા નામના ઇસમ આ ગડાઉન ભાડે રાખી ફેરીથી અનાજ ખરીદી કરતા છકડા રીક્ષા વાળા પાસેથી માલ મેળવતા હોવાનુ અને સંગ્રહ કરી યાર્ડ અને આટા મીલોમા વેચાણ કરતા હોવાની કબુલાત આપી હતી. તેમજ ત્રણ છકડો રીક્ષાઓ પડેલી જોવા મળી હતી. આ ગોડાઉનમાંથી અંદાજે રૂ. ૮૮૬૬૩ કિંમતના ઘઉંની ૫૮ બોરી (૩૪૧૦ કિલો), તથા રૂ.૧૯૧૬૬૩ કિંમતના ચોખાની ૮૯ બોરી (૪૯૧૪ કિલો) સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ બીજા ગોડાઉન માલિક વસીમ રજાક ચૌહાણ પાસેથી રૂ.૯૭૫૦૦ કિંમતના ઘઉંની ૭૫ બોરી(૩૭૫૦ કિલો) તથા રૂ.૧૫૯૯૦૦ કિંમતના ચોખાની ૮૨ બોરી (૪૧૦૦ કિલો) સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ ચાર જેટલી છકડો રીક્ષા પણ પકડી અને મુદ્દા માલ સ્વરૂપે ડીટેઇન કરવામાં આવેલ હતી.

ઘરે ઘરે જઈને જે લોકો ફેરીયાને માલ વેચે છે. આવા લોકોના ઘરે આ ફેરીયાઓને સાથે રાખીને આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને જે લોકો આવા ફેરિયાઓને માલ વેચી દેતા માલૂમ પડશે તેમને આ અનાજની જરૂરિયાત નથી, તેમ સમજી અને તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ઝુંબેશના ધોરણે કરવામાં આવશે.
શું હતી મોડસ ઓપરેન્ડી ?
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાને વિતરણ કરવામાં આવતું હોય છે આવું અનાજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ છકડો રીક્ષા લઈને ફરતા ફેરી આવો આવું અનાજ જેમણે મેળવી લીધું છે અને જેમને જરૂર નથી તેવા લોકોના ઘરે ઘરે જઈ અને આ અનાજ એકત્રિત કરી ઓછી કિંમતે ખરીદ કરે છે અને તેમાં કેટલીક કિંમત વધારી અને ગેરકાયદે ગોડાઉન ધારકો, આટા મિલો કે માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત