Homeગુર્જર નગરીરાજકોટમાં બનનારી AIIMSનું A TO Z

રાજકોટમાં બનનારી AIIMSનું A TO Z

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં બનનારી AIIMSનું ઈ-ભૂમિપૂજન કર્યું છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈને વડાપ્રધાન આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વડાપ્રધાને રાજકોટ AIIMSના ભૂમિપૂજન પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે એક વધુ ડગલું માડ્યું છે. વડાપ્રધાને કહ્યું કે 2021નું વર્ષ હેલ્થ સોલ્યુશનનું વર્ષ હશે.

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં ઝડપથી કોરોના વેક્સિનની મંજૂરી મળી જશે અને મોટું રસીકરણ અભિયાન ચાલશે. સાથે જ વડાપ્રધાને નવો મંત્ર આપતા કહ્યું કે, વેક્સિન આવી જવાનો એ મતલબ નથી કે લાપરવાહ બની જઈએ. હવે દવા પણ અને કડકાઈ પણ ના મંત્ર સાથે આગળ વધવાનું છે. વેક્સિનને લઈને વાત કરતાં વડાપ્રધાન બોલ્યા કે 2021નું નવું વર્ષ સારવારની આશા લઈને આવી રહ્યું છે.

વડાપ્રધાને આ પ્રસંગે કોરોના વોરિયર્સને પણ યાદ કર્યા. વડાપ્રધાને કહ્યું કે, આ વર્ષે ઘણા કોરોના વોરિયર્સે પોતાની જિંદગી ગુમાવી છે ત્યારે વર્ષનો અંતિમ દિવસ તેઓને નમન કરવનો છે.

ગુજરાતમાં બનવા જઈ રહેલી પ્રથમ AIIMS (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યૂઅલ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ખંઢેરી નજીક આશરે 1195 કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એઈમ્સ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. ત્યારે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીથી વર્ચ્યૂઅલ ભૂમિપૂજન કર્યું હતું. એઈમ્સના ભૂમિપૂજન પ્રસંગે રાજ્યપાલ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિતના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગંભીર રોગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ AIIMS

રાજકોટના ખંઢેરી નજીક 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર એઈમ્સ રાજ્યના ગંભીર રોગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતા માટે ખૂબ ઉપયોગી નીવડશે. એઈમ્સમાં દર્દીઓને ગંભીર બીમારીઓની સારવાર સસ્તા દરેથી મળી રહેશે. હાલ સૌરાષ્ટ્રમાંથી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને અમદાવાદ અથવા અન્ય રાજ્યમાં સારી હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડે છે ત્યારે હવે રાજકોટમાં એઈમ્સ બનવાથી ઘર આંગણે જ સારવાર મળતી થશે.

દોઢ વર્ષમાં બિલ્ડિંગ ઉભું કરાશે

એઈમ્સનું નિર્માણ કાર્ય દોઢ જ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે. 2022માં એઈમ્સ જનતા માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે. એઈમ્સ રાજકોટમાં શિક્ષણકાર્ય તો આ વર્ષથી જ શરૂ થઈ ચુક્યું છે. એઈમ્સ રાજકોટની પ્રથમ બેચમાં એમબીબીએસમાં 50 વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે જેઓનું શિક્ષણકાર્ય હાલ પી.ડી.યુ મેડિકલ કોલેજમાં ચાલી રહ્યું છે.

કેવી હશે સુવિધા?

એઈમ્સ રાજકોટ અદ્યતન સુવિધથી સજ્જ હશે. તમામ રોગની સારવાર અહીં નજીવા દરે થશે. 750 બેડની એઈમ્સમાં અનેક વિભાગો ઉપરાંત શૈક્ષણિક કાર્ય પણ થશે. સિક્યુરિટી, ભોજન, સફાઈ સહિતની તમામ સુવિધા અહીં ઉપલબ્ધ હશે. એઈમ્સના મેડિકલ અને શૈક્ષણિક મળીને કુલ 5 હજારથી વધુનો સ્ટાફ સેવામાં રાખવામાં આવશે જેથી સ્થાનિક સ્તરે રોજગારી પણ વધશે.

માત્ર 10 રૂપિયામાં સારવાર !

રાજકોટ એઇમ્સમાં માત્ર 10 રૂપિયામાં નિદાન થશે. જો સારવાર માટે કોઈને દાખલ થવું પડે તો બેડનું ભાડું માત્ર 35થી 375 જ ચુકવવું પડશે. આ ઉપરાંત 10 દિવસ સુધી બે લોકોને ભોજન પણ એઈમ્સ તરફથી અપાશે. એઈમ્સમાં 13 હજાર રૂપિયાના ઈન્જેક્શન માત્ર 800 રૂપિયામાં જ મળશે. રાજકોટમાં એઈમ્સ આવ્યા બાદ રાજ્યનું આરોગ્ય ક્ષેત્ર ઝડપથી વિકસે તેવી શક્યતા છે. ગુજરાતમાં જ આધુનિક સુવિધાઓથી ગંભીર બીમારીઓની સારવાર થઈ શકશે. કેન્સરના 202 અને હૃદયરોગના 186 પ્રકારના ડ્રગ હોસ્પિટલમાં જ મળશે જેથી કેન્સરના દર્દીઓને ખુબ ફાયદો થશે.

સસ્તુ હશે રૂમ ભાડું

એઈમ્સમાં OPDથી લઈને સર્જરી સુધીની કામગીરી યોજનાબદ્ધ રીતે કરવામાં આવશે. દેશ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે તો રાજકોટમાં નિર્માણ પામનારી એઈમ્સ પણ કેમ પાછળ રહે. જો કોઇને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો તેમને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન પણ એપોઇન્ટમેન્ટ લઇ શકશે. ઓનલાઈન મળેલા સમય મુજબ જે તે વ્યક્તિએ એઈમ્સમાં પહોંચી જવાનું એટલે તાત્કાલિક એપોઈમેન્ટ મળી જાય. આ ઉપરાંત રૂબરૂ તો તમે કેસ નોંધાવી જ શકશો. જો ક્યારેય બહુ ભીડ હોય અને તમારો વારો મોડો આવે તેવું લાગતું હોય તો એઈમ્સમાં વેઈટિંગ લોન્જ પણ બનાવાશે. અહીં દર્દી અને દર્દીના સંબંધીઓ આરામથી બેસી શકશે. સેલિબ્રિટી માટે પણ વ્યવસ્થા સેલિબ્રિટી અને VIP લોકો માટે એઈમ્સમાં પ્રાઈવેટ વોર્ડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. કોઇ સેલિબ્રિટી, નેતાઓ કે અન્ય પ્રતિષ્ઠીત વ્યક્તિ ધારે તો જનરલ વોર્ડમાં રહેવાને બદલે પ્રાઈવેટ વોર્ડમાં દાખલ થઈ શકશે. અહીં બે પ્રકારના રૂમ હશે જે તમામ સાધન-સુવિધાઓથી સજ્જ હશે. અત્યંત લક્ઝુરિયસ રૂમ હોવા છતાં તેનુ ભાડું પ્રતિદિવસ માત્ર બેથી ત્રણ હજાર રૂપિયા જ હશે.

એઈમ્સમાં શું શું બનશે?

એઈમ્સમાં મુખ્ય તો અદ્યતન મેડિકલ સુવિધા અપાશે જેના માટે 71 હજાર સ્ક્વેર મીટરમાં 750 બેડની હોસ્પિટલ બનશે. 22,500 સ્ક્વેર મીટરમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને એડમિન બિલ્ડિંગ બનાવાશે. 2500 સ્ક્વેર મીટરમાં ઓડિટોરિયમ તેમજ કોન્ફરન્સ હોલ નિર્માણ પામશે. 3700 સ્ક્વેર મીટરમાં 250 વ્યક્તિ રહી શકે તેવું નાઈટ શેલ્ટર બનશે. 650 સ્ક્વેર મીટરમાં 14 રૂમનું ગેસ્ટ હાઉસ હશે. 12000 સ્ક્વેર મીટરથી વધુમાં વિવિધ કેટેગરીના આવાસ તૈયાર કરાશે. 7400 સ્ક્વેર મીટરમાં 312 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી પીજી હોસ્ટેલ બનશે. ઉપરાંત 5750 સ્ક્વેર મીટરમાં 240 ગર્લ્સની અને 240 બોયઝની ક્ષમતા ધરાવતી યુજી હોસ્ટેલ બનશે. 1730 સ્ક્વેર મીટરમાં ડાઈનિંગ હોલ હશે. 4000 સ્ક્વેર મીટરમાં વર્કિંગ નર્સિંગ હોસ્ટેલ અને 4500 સ્ક્વેર મીટરમાં શોપિંગ કોમ્પલેક્ષ અને રેસ્ટોરન્ટ ઉપરાંત રમતગમત પ્રવૃત્તિ માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ પામશે. આમ કુલ 201 એકર જમીનમાં અલગ અલગ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. એઈમ્સ પરિસરમાં કુલ પાંચ ટાવર હશે.

એઈમ્સ વિશે આ પણ જાણો

AIIMS એટલે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. એઇમ્સ એ સૌથી ઊંચી કક્ષાની મેડિકલ કોલેજ છે. એક્સચેન્જ પ્રોગ્રામ એઈમ્સમાં એક્સચેન્જ પ્રોગ્રામ ચાલે છે. જે અંતર્ગત એઈમ્સના તબીબોને વિદેશની ઉચ્ચ કક્ષાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમ અને સંશોધન માટે મોકલવામાં આવે છે. તેવી જ રીતે વિદેશના તબીબો અહીં આવે છે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન દિલ્હી એઇમ્સના ભાડા મુજબ જો જોઈએ તો જ્યારે દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે 25 રૂપિયા એડમિશન ફી લેવાશે. ત્યારબાદ એક દિવસના 35 રૂપિયા દર્દીને ચુકવવા પડશે. જો કોઈને 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તો ભાડુ 350 રૂપિયા અને એડમિશન ફી 25 રૂપિયા એમ કુલ મળીને દસ દિવસના 375 રૂપિયા જ ચુકવવા પડશે. આ 350 રૂપિયામાં સારી સારવાર ઉપરાંત ફૂલ એસી રૂમ તો ખરો જ. આમ, ગુજરાતને એઈમ્સથી અઢળક ફાયદા છે. સૌથી વધુ ફાયદો સૌરાષ્ટ્રને થશે.

રાજકોટમાં દેશની 22મી એઈમ્સ

રાજકોટ-જામનગર હાઈવે પર ખંઢેરી પાસે બની રહેલી એઈમ્સ દેશની 22મી એઈમ્સ છે. 1956માં દેશમાં પ્રથમ એઈમ્સ દિલ્હીમાં બની હતી. વર્ષ 2005 સુધીમાં માત્ર 6 એઈમ્સ જ દેશમાં હતી. ત્યારબાદ મોદી સરકારે અલગ અલગ 15 જેટલી એઈમ્સને મંજૂરી આપી હતી.

આ શહેરોમાં આવેલી છે એઈમ્સ

ભારતમાં નવી દિલ્હી, રાયબરેલી, બાથિડા, ગોરખપુર, ઋષિકેશ, પટણા, કલ્યાણી, રાયપુર, ભુવનેશ્વર, બીબીનગર, ભોપાલ, નાગપુર, મંગળાગીરી, અવંતીપોરા, વિજયપુર, બિલાસપુર, ચાંગસરી, રેવાહી, દરભંગા, મદુરાઈમાં એઈમ્સ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments