Team Chabuk-Gujarat Desk: સમગ્ર ગુજરાતમાં નિવૃત્ત કલેક્ટર સી.પી.પટેલની પુત્રવધૂ કૃપાએ કરેલી આત્મહત્યાએ ચર્ચા જગાવી છે. આત્મહત્યા પાછળ મિલ્કત વિવાદ કે બીજું તેની ચોરે અને ચૌટે ચર્ચા થઈ રહી છે. એવામાં પોલીસ કૃપાના સસરા સી.પી.પટેલ અને સાસુની વિરૂદ્ધ એકાદ બે દિવસની અંદર અંદર દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી પતિ-પત્નીની ધરપકડ કરી શકે છે.
પતિ અકસ્માત બાદ બ્રેઈન ડેડ
મહત્વનું છે કે, આત્મહત્યા કરી લેનાર મહિલા કૃપા પટેલ નિવૃત્ત કલેક્ટર સી.પી.પટેલના પુત્રવધૂ છે. સી.પી.પટેલના પુત્ર ચિરાગ પટેલ આજથી ત્રણેક વર્ષ પહેલા અકસ્માત બાદ બ્રેઈન ડેડ થઈ ગયા છે. હાલ પરિવાર તેમની સંભાળ લઈ રહ્યો છે. ચિરાગ પટેલ તેલાવ ફાર્મ પાસે તેમના પિતા સાથે રહે છે. મૃતકની બે પુત્રી પણ છે. જેમાંથી એક પુત્રી તેમની સાથે રહેતી હતી જ્યારે બીજી પુત્રી અમેરિકા અભ્યાસ કરી રહી છે.
14 ઓક્ટોબર બપોરના બાર વાગ્યે કરી આત્મહત્યા
સેટેલાઈટ રામદેવનગર પાસે આવેલા શૈલરાજ બંગ્લોઝમાં રહેતા 41 વર્ષીય કૃપા બહેને તારીખ 14 ઓક્ટોબરના રોજ બપોરના બાર વાગ્યે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. નાની દીકરી ઉપરના માળે ઘરમાં ઉંઘતી હતી ત્યારે કૃપા પટેલે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. મૃતક મહિલા પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મહિલાએ લખ્યું હતું કે, ‘મારા મૃત્યુથી ઘણા બધા ખુશ થશે અને ઘણા બધા દુઃખી થશે. મારી બન્ને દીકરીઓ દેવાંશી-યાનાને મિલકત અને જમીનમાં ભાગ આપજો.’
એક બે દિવસમાં ધરપકડ થાય છે કે નહીં
એ વિગત સામે આવી રહી છે કે ચિરાગની કસ્ટડી અને તેની મિલકતને લઈ કેટલાય સમયથી સાસુ-સસરા અને કૃપાની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. મિલકતનો વિખવાદ હાઈકોર્ટના દ્વારે પણ પહોંચ્યો હતો અને ત્યાં પણ કાયદાકીય લડત ચાલી રહી હતી. પોલીસે બંગલામાંથી સીસીટીવી ફૂટેજ અને સાંયોગિક પુરાવા એકત્રિત કર્યાં છે. બીજી બાજુ પોલીસે ઉક્ત કહ્યું તે મુજબ, સાસુ અને સસરાની વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે ઉપરી અધિકારીઓ પાસેથી મંજૂરી લેવાની પ્રક્રિયાનો પણ આરંભ કરી દીધો છે. ત્યારે આગામી એક બે દિવસમાં શું થાય છે તે જોવાનું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત