Team Chabuk-Political Desk: 2012ની ચૂંટણીમાં ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી નામનો પક્ષ ઊભર્યો હતો. કેશુબાપાનું નેતૃત્વ હતું. લાગતું હતું કે બધી નહીં તો ખાસ સૌરાષ્ટ્રની સીટ પર કબ્જો મેળવી લેશે. જોકે આમાનું કંઈ થયું નહીં. ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી માત્ર બે નેતાઓ જીત્યા. એક તો સૌરાષ્ટ્રના વિસાવદરથી કેશુબાપા અને બીજી સૌરાષ્ટ્રમાંથી જ ધારીથી નલીન કોટડિયા. બાકી ગુજરાત પરિવર્તન પાર્ટી જેટલી વાજતે ગાજતે આવી હતી એટલી જ ધૂમધડાકા કરીને ચાલી ગઈ.
2022ની ચૂંટણી માટે ત્રીજો પક્ષ ઊભરી રહ્યો છે. કેજરીવાલ મેદાનમાં છે. દિલ્હીની કામગીરી ગુજરાતની સામે રાખી છે. સુરતમાં કરેલી જંગી રેલી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીનાં સૂપડા સાફ કર્યા છે. હર હંમેશ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અન્ય બે પાર્ટીઓ કરતાં આપનું લખાણ પણ આકર્ષે છે. ત્રીજા વિકલ્પ તરીકે ઊભરી રહેલા આ પક્ષમાં ગોપાલ ઈટાલિયા સહિતની ટીમ છે. ગઈકાલ ઈસુદાન ગઢવી પણ જોડાઈ ગયા છે. કેજરીવાલે શંખનાદ કર્યો છે કે 182માંથી 182 પર અમારા ઉમેદવારો ઊભા રહેશે. તેમણે કહ્યું કે, ગુજરાતની વિપક્ષ ભાજપને સપ્લાઈ કરનારી કહી છે. એ પછી કોંગ્રેસે પણ કશુંક કહ્યું છે.
ગુજરાત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ચૂંટણીઓ નજીક હોય રાજકીય પાર્ટીઓ નાનો મોટો લાભ ખાટવા માટે આવે જ છે તેવી વાત કરી હતી. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી પણ આ રીતે ગુજરાતમાં આવી છે. તેની સામે કોઈ પણ પ્રકારનો વાંધો લઈ શકાય નહીં.
અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં ત્રીજા વિકલ્પનો ઈતિહાસ દેખાડતા જણાવ્યું હતું કે લોકપ્રિય નેતાઓએ પણ ત્રીજા મોરચાની રચના ભૂતકાળમાં કરી જ હતી. ચીમનભાઈ પટેલે કિસાન મજદુર પક્ષની સ્થાપના કરી હતી અને આખરે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી નામની પાર્ટી બનાવી હતી અને શંકરસિંહ વાઘેલા પણ બે વખત નિષ્ફળ ગયા હતા.
અર્જુન મોઢવાડિયાએ આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી તેવી વાત કરી દિલ્હીને માત્ર કોર્પોરેશન જેવડું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અત્યાર સુધી ગુજરાતમાં જે કોઈ પાર્ટી આવી છે એમને માત્ર ભાજપ વિરોધી મતનું વિભાજન કરીને ભાજપને મદદ કરવાનું કામ કર્યુ છે. પરંતુ હવે ગુજરાતની શાણી જનતા જાણે છે કયાં પક્ષો તેમની પડખે ઉભા રહે છે અને કયાં પક્ષો ચૂંટણી સમયે પ્રગટ થાય છે તેમને સારી રીતે ઓળખે છે. ગુજરાતમાં લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. તેમાંય જે રીતે કલંકરૂપ કામગીરી ભાજપ સરકારે કરી છે ત્યારે જનતા કોંગ્રેસના પક્ષે છે અને કોંગ્રેસ 2022માં ભાજપને પરાજીત કરીને સત્તા મેળવશે. દેશમાં ભાજપના અંતની શરૂઆત ગુજરાતથી જ થશે.
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ પણ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે. ભાજપ તમામ મોરચે નિષ્ફળ રહેતા તેની બી ટીમ બનીને આપ ગુજરાતમાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત