દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતો સરકારના કાયદા સામે લડી લેવાના મૂડમાં છે. જોકે સરકાર સક્રિય થઈ છે અને ખેડૂતોને મનાવવાના પ્રયાસ કરી રહી છે. ખેડૂતો ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે કે, 26 જાન્યુઆરીએ કાયદો પરત લેવડાવીને જ પરત ફરીશું. આવા સમયે રાજકારણ પણ ગરમાયું છે.
ખેડૂત આંદોલન અંગે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલું છે. પંજાબના સીએમ અમરિંદર સિંહ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. મુલાકાત બાદ તેમણે કહ્યું કે જો આ સમસ્યાનો જલદી ઉકેલ નહીં આવે તો દેશને મોટો ખતરો થઈ શકે છે.
બીજી તરફ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ખેડૂત આંદોલનના સમર્થનમાં પદ્મ વિભૂષણ એવોર્ડ પરત કરી દીધો છે. પદ્મ વિભૂષણનું સન્માન પરત કરતા તેઓએ આરોપ લગાવ્યો કે, ભારત સરકારે દેશના ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
અમરિંદર સિંહ અને ગૃહમંત્રી વચ્ચે મળી બેઠક
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ખેડૂત આંદોલન મુદ્દે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ગૃહમંત્રીના દિલ્હી ખાતે આવેલા નિવાસ સ્થાને બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. અમિત શાહને મળ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું કે, સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત ચાલુ છે. મારે તેની સાથે કંઈ લેવાદેવા નથી. મેં અમિત શાહ સાથેની વાતચીતમાં મારો વિરોધ નોંધાવ્યો છે અને આ મુદ્દે ઝડપથી નિરાકરણ લાવવા માગણી કરી છે. મારા રાજ્યની આર્થિક સ્થિતિ અને દેશની સલામતીને જોખમમાં મુકતા આ મુદ્દાનું તાત્કાલિક સમાધાન લાવવું જોઈએ.
કૃષિમંત્રીએ શું કહ્યું ?
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમારે આ અંગે કહ્યું કે, સરકાર સતત ખેડૂતો સાથે વાત કરી રહી છે. અમે કેટલાક સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખીએ છીએ.
કૃષિ નિષ્ણાત પી. સાંઈનાથનું આંદોલનને સમર્થન
પી.સાઈનાથનું કહેવું છે કે, આ જ સમય છે જ્યારે જે લોકો ખેડૂતો નથી તેમણે પણ આ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનું સમર્થન કરવું જોઈએ. કેન્દ્ર સરકારે કોરોના સંકટ વચ્ચે એવો કાયદો લાવવાની ભૂલ કરી છે અને આ હાલની પરિસ્થિતિને સમજી નથી શકી. સરકારને લાગ્યું કે જો તે આ સમયે કાયદો લાવશે તો કોઈ વિરોધ નહીં કરી શકે. પરંતુ, સરકારનું આ અનુમાન ખોટું પડ્યું અને આજે હજ્જારો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે.
પી.સાંઈનાથનો દાવો
કૃષિ નિષ્ણાત પી.સાંઈનાથનો દાવો છે કે, APMC એક્ટની કોલમ 18 અને 19, કોન્ટ્રેક્ટ ફાર્મિંગ એક્ટમાં ઘણી સમસ્યાઓ છે જે ખેડૂતોને કોઈપણ પ્રકારની સુરક્ષા નથી આપતી. બંધારણના આર્ટિકલ 19 દેશના લોકોને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપે છે. પરંતુ કૃષિ કાયદાના આ એક્ટમાં કોઈ પણ પ્રકારના કાનૂની પડકારો આપતા રોકે છે. તેમાં માત્ર ખેડૂતો જ નહીં અન્ય કોઈ પણ તેનો વિરોધ નથી કરી શકતું.
ગુજરાતમાં પણ કૃષિ કાયદાના વિરોધનો વંટોળ ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓમાં મુદ્દો ગરમાયો છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો દિલ્હી જઈશું…
BTPના ધારાસભ્યનું સમર્થન
BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ કૃષિ આંદોલનને સમર્થન આપ્યું છે. છોટુ વસાવાએ કહ્યું કે, મોદી અને શાહે પાર્લામેન્ટ સહિત આખા દેશને બાનમાં લીધો છે, ખેડૂત આંદોલનમાં ગુજરાતથી લોકોને મોકલીશુ, સરકાર માંગ ન સ્વીકારે તો ગુજરાતમાં આંદોલન કરીશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત