Homeગુર્જર નગરીગુજરાતમાં કોરોનાના કેસને લાગી બ્રેક, નવા કેસની સામે સાજા થનારા વધ્યા

ગુજરાતમાં કોરોનાના કેસને લાગી બ્રેક, નવા કેસની સામે સાજા થનારા વધ્યા

Team Chabuk-Gujarat Desk: છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં કોરોના કેસ મામલે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોરોનાના ભરડામાંથી ધીમે ધીમે બહાર આવતું હોય તેવું આંકડા પરથી લાગી રહ્યું છે. દિવસે દિવસે કોરોના કેસનો ગ્રાફ ઘટી રહ્યો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રિકવરી રેટ વધતાં હવે હોસ્પિટલોમાં પણ બેડ ખાલી થઈ રહ્યા છે. આજે શનિવારે છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે 14 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,892 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 14,737 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 119 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે શુક્રવારે પણ 119 લોકોના જ મોત નોંધાયા હતા. આમ બે દિવસથી મોતનો આંકડો સ્થિર થયો છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી નવા કેસની સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેનાથી સરકારી તંત્ર અને રાજ્યની જનતા પણ થોડો હાશકારો અનુભવી રહી છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌથી વધુ 3359 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 15 લોકોના મોત થયા છે જ્યારે 6411 લોકોને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 889 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 1896 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે 7 લોકો મોતને ભેટ્યા છે. વડોદરા શહેરમાં ગઈકાલ કરતાં કેસમાં વધારો જોવા મળ્યો છે. ગઈકાલે વડોદરા શહેરમાં 648 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા જ્યારે આજે શનિવારે 710 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે 536 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 7 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 396 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 449 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે 6 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.

આટલા દર્દીઓ સારવાર હેઠળ

રાજ્યમાં હાલ કુલ 1,43,421 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 782 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 1,42,639 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે 8273 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 5,18,234 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.

આટલા લોકોએ લીધી રસી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,88,129 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,02,87,224 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ અને 31,15,821 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આમ કૂલ 1,34,03,045 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 18 થી 44 વર્ષના કુલ 19,276 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45થી વધુની ઉંમરના કુલ 39,790 લોકોને રસીને પ્રથમ અને 1,16,114 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી રસી લીધા બાદ એક પણ વ્યક્તિને ગંભીર આડઅસર થઈ ન હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

છેલ્લા ચાર દિવસથી નવા દર્દીઓની સરખામણીમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 77.36 ટકાએ પહોંચ્યો છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments