Homeગુર્જર નગરીજીતુ વાઘાણી ન કરી શક્યા એ પાટીલે કરી દેખાડ્યું, શાહની શિખામણ લેખે...

જીતુ વાઘાણી ન કરી શક્યા એ પાટીલે કરી દેખાડ્યું, શાહની શિખામણ લેખે લાગી

પક્ષને ચૂંટણી જીતાડવાની સૌથી મોટી જવાબદારી પ્રદેશ પ્રમુખના ખભે હોય છે. ઉમેદવારોની પસંદગીથી લઈને મતદાન સુધી તમામ પ્રક્રિયામાં પ્રદેશ પ્રમુખ મહત્વની ભૂમિકામાં હોય છે. ઉમેદવાર હારે કે જીતે જેટલો જશ કે ટીકા ઉમેદવારની થાય તેટલી પ્રદેશ પ્રમુખની પણ થતી હોય છે. ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામો આવ્યા. કમળ ફરી ખીલ્યું. કાર્યકરોમાં નવો જોમ જુસ્સો ઉમેરાયો. જેનો શ્રેય આપવો હોય તો નવ નિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આપી શકાય. પક્ષના આઠેય ઉમેદવારની જીતમાં સી.આર.પાટીલે મહત્વનો ભાગ ભજવ્યો.

નવી પીચમાં પાટીલની ધુંઆધાર બેટિંગ

1989માં ભાજપમાં પોતાની કારકિર્દી શરૂ કરનાર સી.આર.પાટીલ 2009થી ભાજપના સાંસદ તરીકે ચૂંટાતા આવે છે. ત્રણ વખત નવસારીથી સાંસદ તરીકે ચૂંટાતા હોવાથી નવસારી, સુરત અને દક્ષિણ ગુજરાતમાં સી.આર.પાટીલનું નામ ભાજપમાં સર્વોચ્ય સ્થાને છે. પરંતુ જ્યારે તેઓને ગત જૂલાઈ માસમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા તો ઘણાને લાગ્યું કે પાટીલની પહોંચ દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાટીલ ટૂંકા પડશે. પરંતુ પેટા ચૂંટણીના પરિણામોમાં તમામ વાતો પાટીલે ખોટી સાબિત કરી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પાટીલ માટે નવી પીચ બરાબર હતા. પરંતુ જેવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા તુરંત જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો ઘમરોળવા પાટીલ નીકળી પડ્યા. કાર્યકરો અને જનતાની નસને પારખી અને પરિણામ આપણી સામે છે. આઠેય બેઠક ભાજપની જોળીમાં લાવીને મૂકી દીધી.

રેલી વખતે ટીકાઓ થઈ પરંતુ પરિણામ અલગ આવ્યું

ચૂંટણીમાં જીતનો શ્રેય બધા લેવા તૈયાર હોય છે પરંતુ હાર સ્વીકારવામાં પાછી પાની કરતાં હોય છે. ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામ ભાજપ તરફી આવ્યું છે પરંતુ જો ભાજપની વિરુદ્ધમાં પરિણામ આવ્યું હોત તો સૌથી વધુ માછલા ધોવાયા હોત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોરોના કાળમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન પાટીલની રેલીમાં જે રીતે ભીડ ભેગી થતી હતી તેને લઈને જનતામાં આક્રોશ ફાટ્યો હતો. મીડિયામાં પણ પાટીલના વિરુદ્ધમાં ઘણા સમાચારો પ્રકાશિત થતા હતા. પરંતુ મતદાનમાં આ રોષ ન દેખાયો અને પાટીલ ફાવી ગયા.

શાહની શિખામણ કામ લાગી

સી.આર.પાટીલ માટે પ્રદેશ પ્રમુખ બન્યા પછીની પ્રથમ પરીક્ષા હતી. પ્રથમ પરીક્ષામાં પાસ થવું પાટીલ માટે જરૂરી હતું. કહેવાય છે કે પાટીલ ગુજરાતની ચૂંટણીમાં પક્ષને જીતાડવા સતત દિલ્હી હાઈ કમાન્ડના સંપર્કમાં હતા. ચૂંટણીમાં વ્યૂહરચના કઈ રીતે ગોઠવવી. ઉમેદવારોની પસંદગી કેમ કરવી વગેરે વગેરે સલાહ સૂચનો પાટીલે અમિત શાહ પાસેથી લીધા હતા. દેશની લોકસભા કે વિધાનસભાની દરેક ચૂંટણીમાં અમિત શાહની કોર કમિટીમાં પાટીલ હોય છે અને ચૂંટણી મેનેજમેન્ટનું કામ સંભાળે છે. આ અનુભવ પણ પાટીલને પેટાચૂંટણીમાં કામ લાગ્યો.

કાર્યકરો પર વિશ્વાસ

ચૂંટણી જીતવી હોય તો પક્ષનો એક-એક કાર્યકર બુથ લેવલ સુધી સક્રિય હોવો જોઈએ અને બુથમાં તેની પકડ મજબૂત હોવી જોઈએ. પાટીલ વિશે કહેવાય છે કે તેઓ નિષ્ઠાથી કામ કરનારા કાર્યકરોને કોઈ દિવસ નારાજ નથી કરતાં. આ વાતનો પરચો પાટીલે પોતાની સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની રેલી વખતે પણ કરાવ્યો હતો. પાટીલે કહી દીધું હતું કે જે કાર્યકરો કામ કરશે, પક્ષને જીતાડવા સક્ષમ હશે તેમને જ ટિકિટ આપવામાં આવશે, ભલામણો કોઈની નહીં ચાલે. કામ લેવામાં કઠોર નીતિ અપનાવતા સી.આર.પાટીલની લોકપ્રિયતા પક્ષના વફાદાર અને જૂના કાર્યકરોમાં ખૂબ હોવાનું મનાય છે. પાટીલ પણ આવા કાર્યકરોને છૂટથી કામ કરવાની પરવાનગી આપે છે. પેટાચૂંટણીની આ જીતમાં પાટીલે કાર્યકરો પર મૂકેલો વિશ્વાસ પણ કામે લાગ્યો છે એવું કહેવું ખોટું નથી.

જીતુ વાઘાણી ન કરી શક્યા એ પાટીલે કરી દેખાડ્યું

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આ ત્રીજી વખત પેટાચૂંટણી યોજાઈ હતી. અગાઉ ઓક્ટોબર 2019માં બાયડ, રાધનપુર, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી તે વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણી હતા. બાયડ અને રાધનપુર બેઠક પર પક્ષપલટુ ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર જેવા મોટા નેતા ચૂંટણી લડી રહ્યા હતા છતાં બન્નેને ઘરભેગા થવાનો વારો આવ્યો હતો. 2020ની આ પેટાચૂંટણીમાં પણ લગભગ બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા ઉમેદવારોને જ ઉતારાયા હતા. પરંતુ પક્ષપલટુઓને પ્રજા સ્વીકારતી નથી એ વાત આ પેટાચૂંટણીમાં પાટીલે ખોટી સાબિત કરી. જીતુ વાઘાણી ભલે પક્ષપલટુઓને જીતાડી ન શક્યા પરંતુ પાટીલ એ કરી બતાવ્યું.

 હવેનું લક્ષ્ય 182

સી.આર.પાટીલે સૌરાષ્ટ્રની મુલાકાત વખતે કહ્યું હતું કે, જો ભાજપના કાર્યકરો ધારે અને મહેનત કરે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182માંથી 182 બેઠક મળે. આમ કરવું ઘણું અઘરું અને અશક્ય બને રીતે કહી શકાય. પરંતુ પેટાચૂંટણીમાં ભાજપે વિરોધના વંટોળ વચ્ચે પણ જે રીતે 8માંથી 8 બેઠક જીતી છે તેનાથી કાર્યકરોમાં નવો ઉત્સાહ ઉમેરાયો હશે. પરિણામ બાદ પક્ષમાં પાટીલના કદમાં પણ વધારો થશે. આગામી ચૂંટણીમાં સી.આર.પાટીલની જવાબદારી વધી જશે. 8માંથી 8 જીત્યા બાદ હવે પાટીલનું લક્ષ્ય હશે 2022માં 182માંથી 182 સીટ જીતવાનું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments