Team Chabuk-Gujarat Desk: સમાજના નાના માણસોને રોજગારી આપતા પ્રવાસન ઉદ્યોગના વિકાસ અર્થે સાસણ ગીર પાસે રૂા.૩૬ કરોડના ખર્ચે પ્રવાસી સુવિધાના વિવિધ વિકાસકાર્યો કાર્યરત છે. જેમાં ફેમીલી સાથે આવતા પ્રવાસીઓને ધ્યાનમાં લઇ બાળકો માટે નેચર પાર્ક, વડિલો માટે આર્બોરેટમમાં વોક-વે, વોચ ટાવર, સનસેટ પોઇન્ટ સહિતનો સમાવેશ થાય છે. ઉપરાંત દેવળીયા પાર્કમાં સિંહ દર્શન સાથે પ્રકૃતિનો આનંદ માણવા પાંચ આધુનિક એ.સી.બસ પણ સામેલ છે.

એશિયાટીક લાયનના એક માત્ર નિવાસસ્થાન સાસણગીરમાં વર્ષે ૫.૫૦ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. તેમના માટે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સાસણગીરની સમયાંતરે મુલાકાત લઇ રૂા.૩૬ કરોડના પ્રવાસી વિકાસ કાર્યો મંજુર કર્યાં હતાં. આ કામની ગુણવત્તા સાથે થયેલ પ્રગતિનુ નિરીક્ષણ કરવા મંત્રી જવાહરભાઇ ચાવડાએ આજે સાસણની મુલાકાત લીધી હતી. તેમણે આ તકે રૂા.૨૮ લાખનાં ખર્ચે નિર્મિત એક એવી પાંચ બસનું દેવળીયા આવતા પ્રવાસીઓ માટે લોકાપર્ણ કર્યું હતું. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કુલ ૧૦ બસ કાર્યરત થશે.

સાસણ આવતા પ્રવાસીઓને ઉચ્ચ કક્ષાની સુવિધા આપવા રીસેપ્શન સેન્ટર, સાઇટ બ્યુટીફીકેશન, ઓરીએન્ટેશન સેન્ટર, સોવેનીયર શોપ, સેલ્ફી પોઇન્ટ, ગીરનો નજારો માણવા વોચ ટાવર,પાર્કીગ એરીયા, સિંહનું સ્કલપ્ચર, ઇન્ફોરમેશન સેન્ટર, એન્ફીથીએટર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી રહી હોવાનું સાસણના નાયબ વન સંરક્ષક મોહન રામે જણાવ્યું હતું. તેમણે મંત્રી જવાહરભાઇ ચાવડાને વિકાસ કાર્યોની પ્રગતિની વિગતો આપી હતી.

સાસણ ખાતે આવતા પ્રવાસીઓ માટે વાણીયાવાવ ચેક પોસ્ટ પાસે તેમજ સાસણથી સોમનાથ જતા વેરાવળ નાકા પાસે આકર્ષક પ્રવેશદ્વારનું નિર્માણ કરાશે. મંત્રીએ તમામ સ્થળોની મુલાકાત લઇ કામની ગુણવત્તા જાળવવા સાથે સમયમર્યાદામાં વિકાસકાર્યો પૂર્ણ કરવા ફોરેસ્ટ વિભાગને સુચનાઓ આપી હતી. આ પ્રસંગે સાસણના સરપંચ જુમાભાઇ કડીયા, તાલુકા પંચાયતના સભ્ય લક્ષ્મણભાઇ ધોકડીયા, મદદનીશ વન ટીલાળા, રેન્જ ફોરેસ્ટ ઓફસર જયશ્રી પટાટ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત