Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના નાગરિકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના સહિતની જનકલ્યાણલક્ષી યોજનાઓના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં અને હાલમાં દેશના વિકાસની કેડી કંડારનાર ગુજરાતના પનોતાપુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જનહિતની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા રાજ્યભરમાં ૪૦૦ જેટલા સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મંત્રીપદ મળ્યા પછી સૌપ્રથમ વાર પાટણ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો છું ત્યારે પાટણની ઐતિહાસિક અને પાવન ધરાને લાખ લાખ વંદન કરૂં છું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું.
સમાજના તમામ વર્ગોની પ્રધાનમંત્રી દરકાર કરે છે તેમ જણાવી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે ઉમેર્યું કે, ગરીબ પરિવારોની મહિલાઓને ભોજન તૈયાર કરવા ચૂલા અને બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવો પડતો. જેનાથી પર્યાવરણને થતા નુકશાનને અટકાવવા તથા ગરીબ મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરી પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજના અમલી બનાવી વિનામૂલ્યે રાંધણ ગેસ કનેક્શન પૂરા પાડ્યા છે. સાથે સાથે કોરોનાકાળમાં છત્રછાયા ગુમાવનાર બાળકોના વાલી બની રાજ્ય સરકાર દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે દર મહિને તેમના બેંક અકાઉન્ટમાં સહાયની રકમ ચૂકવવામાં આવે છે. તેમ જણાવી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અંત્યોદય વિકાસની વિભાવનાને સાર્થક કરી રહી છે.
પૂર્વ પ્રદેશ સંગઠન મહામંત્રી કે.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે, ગરીબી હટાવોના નારા અનેક સરકારોએ આપ્યા પરંતુ ગરીબો વધુને વધુ ગરીબ બનતાં ગયા. ત્યારે સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીએ વર્ષો સુધી ગામડાઓમાં કરેલા પ્રવાસ અને સાચી પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્યની ધુરા સંભાળતાની સાથે જ અનેકવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓનો અમલ કર્યો. રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના ૧૪ વર્ષના સુશાસનમાં ગુજરાતે તમામ ક્ષેત્રે સાધેલા વિકાસ અને દેશભરમાં મેળવેલી કિર્તીના પરિણામે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વિજયી બની દેશની ધુરા સંભાળી અને ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતુ કર્યું છે.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સહિતના મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ અંતર્ગત લાભાર્થીઓને ગેસ સ્ટવ અને સબસ્ક્રિપ્શન વાઉચર અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી બાળ સેવા યોજના, વ્હાલી દિકરી યોજના તથા વિધવા સહાય યોજના અંતર્ગત મંજૂરી હુકમો તથા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત નન્હીં પરી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પાટણ જિલ્લાના રસીકરણની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરનાર ગામના સરપંચોને પ્રતિકસ્વરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લામાં ૦૯ તાલુકા અને ૦૫ નગરપાલિકાઓ મળી કુલ ૧૪ સ્થળોએ જનહિતલક્ષી યોજનાઓના કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના ૨,૭૦૦ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ હેઠળ વિનામૂલ્યે રાંધણ ગેસ કિટ તેમજ લાભાર્થીઓને સબસ્ક્રિપ્શન વાઉચરનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લાના ગામોમાં વ્યક્તિગત સોકપીટના ૯૩૯ લાભાર્થીઓને રૂ.૨૯.૧૦ લાખ તેમજ ૫૬ સામૂહિક સોકપીટ માટે રૂ.૧૨.૩૨ લાખ મળી કુલ ૯૯૫ લાભાર્થીઓને રૂ.૪૧.૪૨ લાખની મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું.
આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનાકાળમાં માતા-પિતા કે એક વાલી ગુમાવનાર ૩૦૪ જેટલા બાળકોના બેન્ક ખાતામાં ઓનલાઈન પેમેન્ટ દ્વારા સહાયની રકમ ચૂકવવામાં આવી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા સંગઠન પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા સંગઠન મહામંત્રી ભાવેશ પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ-હોદ્દેદારશ્રીઓ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી સહિતના અધિકારીઓ, લાભાર્થીઓ તથા પાટણ શહેરના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત