Team Chabuk-Gujarat Desk: ખેડા જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત ખેડા જિલ્લાના કપડવંજ-મોડાસા રોડ પર થયો છે. આજે વહેલી સવારે કપડવંજ-મોડાસા રોડ પર આઈસર ટ્રક અને કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.
કપડવંજ તાલુકામા હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતા મિત્રો રણુજા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. ચારેય મિત્રો 27 સપ્ટેમ્બરના રોજ દર્શને નીકળ્યા હતા. ત્યારે દર્શન કરીને પરત ફરતા સમયે તેમની i20 કારને અકસ્માત નડ્યો હતો. કાવઠ પાટીયા પાસે આઈસર સાથે તેમની i20 કાર અથડાઈ હતી. આ ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયાં છે, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો છે. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાસે આજે વહેલી સવારે અહીંથી પસાર થતી કેળા ભરેલી આઈસર ટ્રક નંબર RJ-06-GB-1433 અને કાર નંબર GJ-07-DA-8318 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહન સામસામે ધડાકાભેર અથડાતાં કારનો કુરચેકુરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ આઈસર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.

ઘટના સ્થળે જ ચારેયના મોત
રણુજા મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા પાંચ હોમગાર્ડ જવાનમાંથી ચારને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉં.વ.29) નામની વ્યક્તિને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના મતે ઉપરોક્ત બન્ને વાહનો એટલી સ્પીડમાં હતાં કે ઓવરટેક જતાં અકસ્માત સર્જાયો હતો.
હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરતા હતા મૃતકો
પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવે છે. જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે કાળનો ભોગ બન્યા હતા.મૃતકોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે. જ્યાં પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપાશે. સાથે સાથે આ સંદર્ભે ગુનો નોંધવાની કામગીરી પણ કપડવંજ ગ્રામ્ય પોલીસે હાથ ધરી હોવાનું કપડવંજ ગ્રામ્ય પોલીસના પીઆઈ જે. કે. રાણાએ જણાવ્યું છે.
મૃતકોનાં નામ
| રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ. 55) |
| મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48) |
| નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ. 35) |
| શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં.વ. 33) |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત