Homeગુર્જર નગરીગીરમાં આવેલું સુપ્રસિદ્ધ કનકાઈ માતાજીનું મંદિર ભક્તો માટે બંધ

ગીરમાં આવેલું સુપ્રસિદ્ધ કનકાઈ માતાજીનું મંદિર ભક્તો માટે બંધ

શૈલેષ નાઘેરા:  કોરોના વાયરસે ફરી એકવાર ભક્તોને ધાર્મિક સ્થળે ન જવા પર મજબૂર કરી દીધા છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ સ્વયં ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લઈ રહ્યા છે. રાજ્યના મોટા મંદિરોએ પહેલાંથી જ બંધની જાહેરાત કરી દીધી છે. સોમનાથ, ડાકોર, દ્વારકા, પાવાગઢ, ખોડલધામ સહિતના મંદિર ભક્તો માટે બંધ છે. કેટલાક મંદિરે ભગવાન માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવી છે.

હવે ગીરમાં આવેલા સુપ્રસિદ્ધ કનકાઈ મંદિર ટ્રસ્ટે પણ જાહેરાત કરી છે કે, કોરોનાના કારણે માતાજીના પ્રત્યક્ષ દર્શન બંધ રહેશે. સંક્રમણ વધુ ન ફેલાય તેના માટે મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો ઉત્સવ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે કે, માઈભક્તો પોતાનના ઘરે રહીને જ માતાજીની પૂજા અર્ચના અને પ્રાર્થના કરી પોતે અને પોતાના પરિવારને કોરોનાથી દૂર રાખે.

ગીર મધ્યે આવેલા કનકાઈ મંદિરની આસપાસ ભરપૂર કૂદરતી સૌંદર્યનો ખજાનો છે. 84 જ્ઞાતિના કૂળદેવી શ્રી કનકેશ્વરી માતાજીનું આ મંદિર જગવિખ્યાત છે જેથી અહીં ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાના શરણોમાં શીશ ઝુકાવવા માટે હજારો ભક્તો આવે છે. જો કે, કોરોના નામના વિધ્નના કારણે આ વખતે ભક્તો માતાના પ્રત્યક્ષ દર્શન નહી કરી શકે.

વન વિભાગે પણ આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં મંદિર 30 એપ્રિલ સુધી ભક્તો માટે બંધ રહેવાનું જણાવ્યું છે. ગીર જંગલમાં રહેલા વન્ય પ્રાણીઓની સલામતી માટે વન વિભાગે ગીરમાં આવેલા જાહેર સ્થળો અને મંદિરોને બંધ કરવા અપીલ કરી છે. વન વિભાગની મંદિર ટ્રસ્ટ સાથે બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, “કોરોનાનું સંક્રમણ ન વધે અને ગીરમાં આ વાયરસ ન ફેલાય તેવા શુભ આશયથી આગામી 30 એપ્રિલ સુધી કનકાઈ મંદિર તેમજ અન્ય દેવસ્થાનો દર્શનાર્થીઓ માટે  બંધ રાખવા.”

હાલ મંદિરમાં માતાજીની પૂજા, આરતી સહીતની વિધિઓ માત્ર પૂજારીની હાજરીમાં જ થશે. ગીર કનકાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર જાનીએ માઈભક્તોને અપીલ કરી છે કે, મંદિર બંધ હોવાથી દર્શનાર્થીઓએ દૂરથી મંદિર સુધી ધક્કો ન ખાવો. પોતાના ઘરે જ રહીને ગાઈડલાઈનનું પાલન કરી માતાજીની આરાધના કરવી.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments