Homeગુર્જર નગરીગુજરાત માટે રાહતના સમાચાર, કોરોના કેસમાં ઘટાડો

ગુજરાત માટે રાહતના સમાચાર, કોરોના કેસમાં ઘટાડો

Team Chabuk-Gujarat Desk: મે મહિનાના પ્રથમ દિવસે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા દિવસથી જે કોરોનાનો ગ્રાફ વધી રહ્યો હતો તેમાં બ્રેક લાગી છે અને કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. 25 એપ્રિલ બાદ પ્રથમ વખત ગુજરાતમાં દૈનિક કોરોનાના કેસ 14 હજારથી ઓછા નોંધાયા છે. જેથી તંત્ર અને લોકોને થોડી રાહત થઈ છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ જેટ ગતિથી વધી રહ્યા હતા. જો કે આજે 1લી મેના રોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે ગુજરાતમાં 13847 નોંધાયા છે. જ્યારે 10582 લોકોને સાજા થતા રજા આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 172 લોકોના મોત થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.

તારીખનવા નોંધાયેલા કેસસાજા થનાર દર્દીની સંખ્યામૃત્યુ
24 એપ્રિલ140976479152
25 એપ્રિલ140966727157
26 એપ્રિલ143407727158
27 એપ્રિલ143527803170
28 એપ્રિલ141208595174
29 એપ્રિલ143279544180
30 એપ્રિલ1460510180173
01 મે1384710582172

કોરોનાના દૈનિક કેસમાં આજે ઘટાડો નોંધાયો છે જ્યારે બીજી તરફ આનંદની વાત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા બે દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 10 હજારથી વધુ રહે છે. જેના કારણે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. જો કે કોરોનાથી થતાં દૈનિક મોતની સંખ્યામાં બહુ મોટો ઘટાડો નોંધાયો નથી. ગઈકાલ 30 એપ્રિલની સરખામણીએ આજે એક મોત ઓછું નોંધાયું છે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી દૈનિક નોંધાતા કેસમાં વધારો જોવા મળતો હતો જ્યારે ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા ઓછી નોંધાઈ રહી હતી. પરંતુ હવે ધીમે ધીમે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,29,130 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. જેથી રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 73.78 ટકા જેટલો રહેવા પામ્યો છે.

આજે સૌથી વધુ 4980 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. સુરત શહેરમાં 1795 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 605 અને વડોદરા શહેરમાં 547 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 1,42,139 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 637 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાથી 7355 લોકો મૃત્યુ પામ્યા છે.

વેક્સિન લેવા માટે યુવાનોમાં ઉત્સાહ

આજે રાજ્યમાં કૂલ 2,17,093 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 98,11,863 લોકોને પ્રથમ ડોઝ અને 24,92,496 લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આમ કૂલ 1,23,04,349 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આજે દેશના ઘણા રાજ્યમાં 18 થી 44 વર્ષના લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થઈ ચુકી છે. ગુજરાતની વાત કરીએ તો આજે 60 હજારના ટાર્ગેટ સામે 18 થી 44 વર્ષના 55,235 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યના 10 જિલ્લામાં આજથી 18 થી 44 વર્ષના લોકોને રસી આપવાની શરૂઆત થઈ છે. જેમાં સવારથી જ યુવાનોમાં રસી લેવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે ઘણી જગ્યાએ યુવાનોને ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં હેરાન થવાનો પણ વારો આવ્યો હતો. અનેક જગ્યાએથી ફરિયાદ મળી હતી કે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં રસી લેવા માટેનો સમય અને સ્થળ પસંદગી નથી થઈ શકતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments