Homeગુર્જર નગરીગુજરાતમાં મેઘમહેર: આગામી બે દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘમહેર: આગામી બે દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયુ છે. એમાં પણ અંજાર અને બનાસકાંઠા વિસ્તારમાં એક જ દિવસમાં પાંચ ઈંચ વરસાદ પડી જવાના કારણે મેઘવૃષ્ટીનું સર્જન થયું છે. ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આજે બપોરથી મેઘરાજાએ અમદાવાદ પર મેઘમહેર કરી છે. હાલ સમગ્ર અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના મહત્વના કહી શકાય એવા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા છે.

અમદાવાદમાં શરૂઆતમાં વરસાદ એકધારો પડતો હતો જ્યારે બાદમાં ધીમીધારનું સ્વરૂપ ધારણ કર્યું હતું. વરસાદ પહેલા આકાશ કાળું ડિબાંગ થઈ ગયું હતું. હાલ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના કેટલાક સાંકડા વિસ્તારોમાં આ કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે.

ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો હતો. અહીં 3.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, ભાવનગર, મહીસાગર સહિતના વિસ્તારોમાં એકથી ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ સતત બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

છેલ્લા અઠવાડિયામાં બનાસકાંઠાનું દાંતા અને કચ્છનું અંજાર આ બે વિસ્તારો મેઘરાજાની ઝપેટમાં આવી ગયા હતા. અહીં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ચારથી પાંચ કલાકના નજીવા સમયમાં આટલો વરસાદ ખાબકી જતા શહેરીજનો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. અહીંના મોટાભાગના વિસ્તારો બેટમાં તબ્દિલ થઈ ગયા હતા. બીજા બાજુ મેઘરાજાની આ સાંબેલાધાર ઈનિંગના કારણે લોકો હર્ષમાં આવી ગયા હતા.

આજ રોજ હવામાન વિભાગ દ્વારા 24મી જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચિત કરવામાં આવ્યા છે. દરિયાઈ વિસ્તારમાં 60 કિલોમીટર સુધીનો પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દરિયાપટીના વિસ્તાર જેવા કે દીવ, ઓખા અને જખઉમાં ત્રણથી ચાર મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments