Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં પફના કારખાનામાં કામ કરતા ત્રણ વ્યક્તિના મૃત્યુ મામલે ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કારખાનામાં ઓવન શરૂ રહી જતાં ગુંગણામણના કારણે ત્રણેના મૃત્યુ થયા છે. જે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેમાં એક માત્ર 15 વર્ષનો છે. જે થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં આવ્યો છે. પફના કારખાનામાં કામ કરતાં વ્યક્તિના અચાનક મૃત્યુથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે, કારખાનાના માલિકની બેદરકારી હશે તો ગુનો નોંધવામાં આવશે.
અમદાવાદમાં ઘાડલોડિયામાં આવેલા ગોપાલ નગરમાં એક પફ બનાવતા કારખાનામાંથી ત્રણ મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શ્રમીકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોલીસે તપાસ માટે FSLની મદદ પણ લીધી હતી.બનાવની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર જતીન પટેલ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મળતી માહિતી મુજબ આ કારખાનું 15 દિવસ પહેલાં જ શરૂ થયું હતું. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલાં જ પફ તેમજ બેકરીની વસ્તુઓ બનાવવાનું કારખાનું શરૂ કરાયું છે. સવારે માલિકે આવીને જોયું તો ત્રણ મૃતદેહ પડ્યા હતા. પોલીસે કહ્યું કે, કારખાનામાં પફ બનાવાનું ભારે મશીન છે તેની સ્વીચ ચાલુ રહી જતાં ગુંગણામણના કારણે શ્રમિકોના મૃત્યુ થયા છે. મશીનમાં રહેલા તમામ પફ પણ બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેના પરથી જ મશીન ચાલુ રહી ગયું હોવાનો અંદાજો લલગાવાયો હતો.
મૃતક ત્રણે મૂળ ઉત્તરપ્રદેશના છે. તેમની ઓળખ ઇબ્રાહિમ, અસલમ અને હસન તરીકે થઈ છે. હસન માત્ર 15 વર્ષનો હતો. જે અહીં હમણાં જ આ બને સબંધીઓને મળવા આવ્યો હતો અને આ ઘટનામાં તે પણ મોતને ભેટ્યો છે. કારખાનાના માલિક રાજશ્રી અંકુરભાઈ પટેલે પણ કહ્યું કે, તેઓએ 15 દિવસ પહેલા જ કારખાનું ભાડે રાખી અને ધંધો શરૂ કર્યો હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આજુબાજુમાં રહેણાંક મકાન આવેલા છે. જગ્યાના માલિક બાજુમાં રહેતા વિષ્ણુ દેસાઈ છે અને તેઓએ ભાડે મકાન આપેલું છે. અહીં ફાયર સેફટીનો અભાવ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત બેકરીની વસ્તુઓ બનાવવા માટે કારખાનાના માલિક પાસે હેલ્થ લાઈસન્સ હતું કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત