Homeગુર્જર નગરીઅમરેલીઃ દેવળિયામાં પૌરાણિક વાવની સફાઈ દરમિયાન મળ્યા ભવ્ય શિવાલયના અવશેષ, દીવાલો પર...

અમરેલીઃ દેવળિયામાં પૌરાણિક વાવની સફાઈ દરમિયાન મળ્યા ભવ્ય શિવાલયના અવશેષ, દીવાલો પર છે અદભૂત નકશીકામ

Team Chabuk-Gujarat Desk: અમરેલી તાલુકાના દેવળિયામાં વાવમાં ખોદકામ દરમિયાન ભવ્ય શિવમંદિરના અવશેષો મળી આવ્યા છે. આ વાવમાંથી વર્ષ 2006માં શિવલિંગ મળ્યું હતું. ગામના લોકોનું કહેવું છે કે, શાસ્ત્રો અનુસાર શિવલિંગની અન્ય જગ્યાએ સ્થાપના ન કરી શકાય જેને લઈને શિવલિંગ ત્યાં જ રખાયું હતું.

તાજેતરમાં જ ગામના સરપંચ ભાવનાબેન અને તેમના પતિ નાથાલાલ સુખડિયાએ વાવની સાફસફાઈનો મુદ્દો ગ્રામ સભામાં મુક્યો હતો. ત્યારબાદ વાવની સાફ સફાઈ કરવાનું નક્કી થયું હતું. વાવમાં ખોદકામ કરતા પ્રથમ 28 ફૂટે અને ત્યારબાદ ૪૨ ફુટ જેટલો ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં 10 ફૂટ પહોળી અને 14 ફૂટની ઊંચાઈની કમાનો જોવા મળી હતી.
આ અદ્યતન શિવાલય આજથી પાંચસો વર્ષ જૂનો હોવાનો દાવો કરાયો છે. મંદિરમાં જોઈ શકાય છે કે, તમામ દીવાલો પર કલાત્મક નકશીકામ છે. ઉપરાંત દરવાજાઓ પર પણ સુંદર કોતરણી જોવા મળી છે. જે આજે પણ અકબંધ છે ખંડિત નથી થઈ. મંદિરમાં હજુ અડધું જ કામ થયું હોવાનો દાવો છે. કોઈ કારણોસર કામ પૂર્ણ કરાયા પહેલાં જ મંદિર દાટી દેવાયું હોવાનું અનુમાન છે.

આ ગામ પણ 500 વર્ષ પૂર્વે બંધાયેલું હોવાનું પણ એક અનુમાન છે. આ અતિ પૌરાણિક વિરાસતની જાણ જિલ્લા કલેકટર અને ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. કલેક્ટરે મુલાકાત લઈ પુરાતત્વ વિભાગને જાણ કરવાની પણ ખાતરી આપી છે. જેથી આગામી સમયમાં આ સ્થળ વિશે પણ ઈતિહાસના પાનાઓ ખુલી શકે છે.

લોકોએ કહ્યું કે, પૌરાણિક અને ઐતિહાસિક વિરાસત અમરેલી જિલ્લામાં ખોદકામ દરમિયાન આ પ્રથમ જ હશે જેનું ગૌરવ સમગ્ર જિલ્લાને છે પરંતુ મહામૂલી વિરાસતનું જતન થાય અને પુરાતત્વ વિભાગ અને સરકાર સહયોગ આપે તેવી આશા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments