Team Chabuk-Gujarat Desk: 1 જુલાઈએ આયોજિત થનારી રથયાત્રા સમાજિક સૌહાર્દનું પ્રતિક બને તે માટે અમદાવાદ શહેર પોલીસ અને શાંતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે કારંજના પથ્થરકુવા વિસ્તારમાં સૌહાર્દ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરના 2 મહિલા DCP ડૉ. લવિના સિન્હા અને ડૉ. કાનન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારની તમામ સમાજની મહિલાઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ એ આ કાર્યક્રમને સૌથી મોટી વિશેષતા હતી.
ઉપસ્થિત મહિલાઓને સંબોધતા ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, એક સ્ત્રી ઘરને સારી રીતે ચલાવી શકે તો દેશ અને વ્યવસ્થાને પણ સારી રીતે ચલાવી શકે, રથયાત્રા શાંતિ-સુરક્ષા અને સૌહાર્દપૂર્ણ રીતે સંપન્ન થાય તેમાં મહિલાઓની ભૂમિકા સૌથી અગત્યની છે. બે વર્ષે રથયાત્રા યોજાઈ રહી છે તો સ્વાભાવિક રીતે જ ભાવિકોમાં ઉત્સાહ હશે. ત્યારે બહેનો અને દીકરીઓ આગળ આવે અને પોલીસને સહકાર આપે. આવા સંમેલનોમાં મળ્યા બાદ રથયાત્રાના બંદોબસ્તમાં મળીશું તો વિશેષ આનંદ થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓ પોતાની પારખુ નજરથી શાંતિ ડહોળનારા અને ઉપદ્રવી લોકોને ઓળખે અને પોલીસને તેની માહિતી આપે. માત્ર રથયાત્રા જ નહીં ઈદ, જન્માષ્ટમી અને મહોર્રમમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે અને કોઈપણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે તેનું બારીકાઈથી નિરીક્ષણ મહિલાઓ કરતા વધારે સારું કોઈ ન કરી શકે.

અમદાવાદની રથયાત્રાના 450 વર્ષના ઈતિહાસમાં સુરક્ષા અને સૌહાર્દ સંબંધિત મહિલા સંમેલન પ્રથમ વખત આયોજિત થવા પર ડૉ. લવિના સિન્હાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, સામાન્ય રીતે મહિલાઓ ચીવટપૂર્વક કામ કરવા ટેવાયેલી હોય છે. આ વિસ્તારની મહિલાઓ મહેંદી કે કાપડ પરની સિલાઈનું કામ પણ ઝીણવટપૂર્વક કરે છે. તેટલી જ ચોક્કસાઈથી પોલીસ સાથે મળીને શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મહિલાઓએ આગેવાની લેવાની છે. રથયાત્રા અને ઈદ જેવા ધાર્મિક પ્રસંગોના સમયે માહોલ બગાડવાના પ્રયાસોને અટકાવવા મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસનું ધ્યાન દોરે. બાળકીઓના અભ્યાસ પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતુ કે, તમારા વચ્ચેની કોઈ બાળકી પણ ભવિષ્યમાં મોટા અધિકારી બની શકે છે. આ ઉપરાંત તેમણે ડ્રગ્સ જેવા દુષણને નાથવામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવતા મહિલાઓ તેમના સંતાનોને ડ્રગ્સ સહિતના વ્યસનોથી દૂર રાખી શકવા સક્ષમ હોવાનું પણ તેમણે કહ્યું હતું. ઘરમાં સૌથી પહેલા જાગતી મહિલાઓ સમાજને જગાડવામાં પણ આગળ આવે તેવી અપીલ ડૉ. લવિના સિન્હાએ કરી હતી.
આ પ્રસંગે સેક્ટર-1ના જોઈન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ પણ સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે નારી શક્તિને સલામ કરતા કહ્યું કે, આજે અમદાવાદ પોલીસ એકતા, ભાઈચારો અને પ્રેમનો સંદેશ લાવી છે. આવનારા તમામ તહેવારો સુખરૂપ ઉજવાય તેવી સૌ કોઈ પાસેથી અપેક્ષા છે. સમાજના દરેક ઘરમાંથી સાનિયા મિર્ઝા અને અબ્દુલ કલામ નિકળવા જોઈએ.
અમદાવાદની ઓળખ સમાન રથયાત્રાના સદીઓ જૂના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં પોલીસ અધિકારીઓના સર્વ સમાવેશી વલણ અને શાંતિની અપીલ ખૂબ જ અસરકારક રહી. મહિલા આગેવાનો, NGO, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ કોઈએ ખુશી-ખુશી અમદાવાદ શહેર પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શી ટીમના અને વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
