Team Chabuk-Gujarat Desk: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના દાદાનું નિધન થયું છે. હાર્દિક પટેલે ફેસબુક પર એક ભાવુક પોસ્ટ લખીને આ દુઃખદ સમાચારની જાણકારી આપી છે. હાર્દિક પટેલના દાદા નરસિંહભાઈ નારાયણભાઈ પટેલનું 86 વર્ષની વયે નિધન થતાં પરિવારમાં આઘાતમાં છે. હાર્દિક પટેલે ફેસબુક પર એક ભાવુક પોસ્ટ લખીને પોતાના દાદા સાથેના સ્મરણો વાગોળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘એક ખેડૂત અને નીતિ, નિયતને મૂડી સમજી જીવન જીવનાર મારા પૂજ્ય દાદા નરસિંહભાઈ નારાયણભાઈ પટેલ આજે ૮૬ વર્ષની વયે સ્વર્ગ લોક સિધાવ્યા છે. ભગવાનને પ્રાર્થના કરું કે દાદાની પવિત્ર આત્માને શાંતિ અર્પે.
કહેવત છે કે દાદા પૌત્રને ખુબ વ્હાલ કરે. આ મારા દાદાએ ઈમાનદારીથી ખેતીમાં મહેનત મજૂરી કરીને અમારા આખા પરિવારને સુખના સાથી બનાવ્યા. મેં જયારે મારા પિતાનો સાથ ગુમાવ્યા ત્યારે મને એમ હતું કે મારા બાપાના બાપા છે ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી, પરંતુ આજે દાદા પણ ભગવાનની સેવા માટે અનંત યાત્રાએ નીકળી ગયા. હું જયારે ઉપવાસ પર ઉતાર્યો ત્યારે મારા દાદા મને મળવા આવ્યા હતા અને એટલું કહ્યું હતું “મર્દનો દીકરો છું, લોકહિતના કામે નીકળ્યો છું, ચોક્કસ સફળ થઈશ, હિમ્મત હારતો નહિ”

હું મારા ભાષણમાં કાયમ દાદાનો ઉલ્લેખ કરતો; મારા દાદા ધોતી પહેરતા હતા અને એમને મહેનત મજૂરી કરીને તેમના દીકરા-દીકરીઓને ભણાવી ગણાવીને મોટા કર્યા અને આ દીકરાઓ આજે પેન્ટ પહેરે છે, મારા પિતાએ મહેનત મજૂરી કરીને મને ભણાવ્યો ગણાવ્યો અને આજે હું જીન્સ પહેરું છું. આ વિકાસ મારા બાપ-દાદાની મહેનતથી છે, સરકારના ચેકથી ધોતીમાંથી જીન્સ પર નથી આવ્યા. ફરી એક વાર દાદાના ચરણોમાં વંદન, ગામડાનું ઘર સૂનું થઈ ગયું.’
મહત્વનું છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું ગત 9 મે, 2021ના રોજ કોરોનાના કારણે નિધન થયું હતું. હાર્દિક પટેલના પિતાનું નિધન થયું ત્યારે હાર્દિક પટેલ પણ કોરોના પોઝિટિવ હતો. ત્યારે પિતાના નિધનના ચાર મહિના પછી દાદાનું નિધન થઈ જતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.