Homeગુર્જર નગરીઅંબાજી મંદિરની સુરક્ષામાં વધારોઃ ભાગેડુ કે ગુનેગારો અંબાજી મંદિરમાં આવશે ત્યારે પોલીસને...

અંબાજી મંદિરની સુરક્ષામાં વધારોઃ ભાગેડુ કે ગુનેગારો અંબાજી મંદિરમાં આવશે ત્યારે પોલીસને એલર્ટ મેસેજ મળશે

Team Chabuk-Gujarat Desk: વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે બનાસકાંઠા કલેકટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે. બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડિયો તેમજ વીડિયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે. આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડિયો-વીડિયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતું નથી. આ કેમેરાના સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુરક્ષાયુક્ત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવેલો છે. સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવશે.

આજે તા.૧૯ સપ્‍ટેમ્બર-૨૦૨૧ના રોજ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટર સુધેન્દ્રસિંહ જે. ચાવડાની ઉપસ્થિતિમાં આ કેમેરાનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને મંદિર ખાતે વિવિધ સ્થળના સુરક્ષાકર્મીઓને તાલીમ આપી કાર્યરત કરવામાં આવ્યાં છે. ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારના હાઈટેકનોલોજી અને આધુનિક બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ગુજરાત રાજયના તમામ મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ભાગેડુ કે ગુનાગેર આવશે તો પોલીસને ખબર પડી જશે

બનાસકાંઠા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલના અંબાજીના નેતૃત્વ હેઠળ તેમજ પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ અત્યંત આધુનિક હાર્ડવેર અને સોફટવેર ધરાવતા કેમેરા દ્વારા અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. અંબાજીમાં એ.એલ. (Artificial Intelligence) યુક્ત ફેસ રીકોગનાઈઝ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમમાં ગુનાહિત પ્રવૃતિઓ અને સંદિગ્ધ વ્યક્તિઓ તથા સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવે છે. બનાસકાંઠા પોલીસે ગુનાહિત પ્રવૃતિઓમાં સંકળાયેલ ઈસમોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે તથા ભાગેડુ, ગુનેગારોનો ડેટા ફોટા સહિત સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવેલ છે. જયારે આ કેમેરામાં આવા ઈસમો દેખાશે ત્યારે એલર્ટ મેસેજ પોલીસ વિભાગને તેમજ સુરક્ષા એજન્સીઓને પ્રાપ્ત થશે જેથી તાત્કાલીક આવા ઈસમો પર કાયદાકીય પગલાં લઈ શકાશે. ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારની ટેકનોલોજીયુક્ત આધુનિક કેમેરા તથા હાર્ડવેર સોફટવેરનો ઉપયોગ કરી જિલ્લા પ્રસાસન, પોલીસ તંત્ર, દેવસ્થાન ટ્રસ્ટના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરાઇ છે. ગુજરાતના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments