Homeગુર્જર નગરીજયેશ રાદડીયાના આ નિર્ણય બાદ કહી શકાય કે ગુજરાતને આવા વધુ જનપ્રતિનિધિની...

જયેશ રાદડીયાના આ નિર્ણય બાદ કહી શકાય કે ગુજરાતને આવા વધુ જનપ્રતિનિધિની જરૂર છે

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાએ માનવીના હાલત દયનીય બનાવી દીધી છે. રસ્તાઓ પર જે ભીડ દેખાતી હતી તે હવે હોસ્પિટલોમાં અને સ્મશાનોમાં દેખાઈ રહી છે. સરકારના હાથમાંથી પણ બાજી સરકી ગઈ છે. આરોગ્ય તંત્ર પણ ઉંધે માથે થઈને રાત દિવસ કામ કરી રહ્યું છે. દર્દીઓ હોસ્પિટલમાં બેડ માટે કણસી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના યુવા મંત્રી જયેશ રાદડીયાએ ખરા અર્થમાં જનસેવાનું ભગીરથ કાર્ય હાથમાં લીધું છે.

જેતપુર-જામકંડોરણા પંથકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ જામકંડોરણા ખાતે કન્યા છાત્રાલયને ગુજરાત સરકારની મંજૂરીથી કોવિડ સેન્ટરમાં ફેરવવાનું નક્કી કર્યું છે. જયેશ રાદડીયાના આ જનહિતના નિર્ણયથી તારીખ 11 એપ્રિલ, રવિવારથી એટલે કે આજથી 264 બેડનું કોવિડ સેન્ટર કાર્યરત થયું છે.

રાજ્યભરમાં સતત કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. કોવિડ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. સરકારી હોસ્પિટલોમાં પણ બેડ ખાલી નથી. ત્યારે જેતપુર-જામકંડોરણા અને આજુબાજુના વિસ્તારના કોરોનાગ્રસ્ત દર્દીઓને મુશ્કેલી ન પડે અને સમયસર સારવાર મળી શકે તે માટે જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ તાત્કાલિક ધોરણે જામકંડોરણામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરતાં લોકોને પણ રાહત થઈ છે. આ કોવિડ હોસ્પિટલ જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે શરૂ કરવામાં આવી છે.

હાલ ઓફલાઈન અભ્યાસ કાર્ય બંધ હોવાથી છાત્રાલયમાં કોઈ વિદ્યાર્થિની ન હોવાથી છાત્રાલય સંપૂર્ણ ખાલી છે. જેથી હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ છાત્રાલયના કુલ 132 રૂમને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાનો જનહિતમાં જયેશ રાદડીયાએ નિર્ણય લીધો છે. 132 રૂમમાં કૂલ 267 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ રૂમમાં દર્દીઓ માટે સંપૂર્ણ સુવિધા ઉભી કરવામાં આવી છે. હવાઉજાસ ધરાવતા આ રૂમમાં એટેચ ટોઈલેટ બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે શરૂ કરાયેલા આ કોવિડ સેન્ટરમાં તમામ વિસ્તારના કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.

જયેશ રાદડીયાના આ નિર્ણયની ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે. મહામારીના આ સમયમાં આ પ્રકારનો સંવેદનશીલ નિર્ણય લઈને જયેશ રાદડીયાએ સાચા અર્થમાં જનપ્રતિનિધિ તરીકેની પોતાની ફરજ નિભાવી છે. પ્રજા મુશ્કેલીમાં હોય ત્યારે એક જનપ્રતિનિધિએ શું કરવું જોઈએ તેનું ઉદાહરણ જયેશ રાદડીયાએ પૂરું પાડ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments