Homeગુર્જર નગરીજૂનાગઢના આ સરકારી ડોક્ટર કોવીડ વોર્ડમાં હોવા જોઈએ તેની જગ્યાએ પોતાનું ખાનગી...

જૂનાગઢના આ સરકારી ડોક્ટર કોવીડ વોર્ડમાં હોવા જોઈએ તેની જગ્યાએ પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા હતા, એ પણ સાત મહિનાથી

Team Chabuk-Gujarat Desk: એક જ સિક્કાની બે બાજુ હોય એ તો તમે સાંભળ્યું જ હશે. સાંભળ્યું હોય તો તેના ઉદાહરણ રૂપે એક કિસ્સો પણ પ્રકાશમાં આવી ગયો છે. અત્યારે મેડિકલ સાથે સંકળાયેલા એક એક વ્યક્તિને કોરોના વોરિયર ગણવામાં આવી રહ્યા છે. એ રાત દિવસ, પંદર પંદર દિવસથી ઘરે ન જઈને દર્દીઓની અવિરત સેવામાં લીન છે. ત્યારે બીજી બાજુ એક એવા ડોક્ટરનો કિસ્સો સામે આવ્યો છે જે મહામારીના ટાણે રાજીનામું આપી ચાલ્યો ગયો હતો. તેનું રાજીનામું મહામારીના કારણે સરકારી ડોક્ટરી શાખા દ્વારા સ્વીકારવમાં નહોતું આવ્યું અને છતાં તેઓ ચાલ્યા ગયા. આ સરકારી મેડિકલ ઓફિસર સાત મહિનાથી ખાનગી પ્રેક્ટિસ કરતા હતા. આખી વાત જાણીએ.

આ સમગ્ર ઘટના છે જૂનાગઢની. વંથલી ખાતેના કણજા પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરે કોરોના મહામારીમાં રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપવાનું કોઈ અંગત કારણ હતું. જોકે ડોક્ટર તન્મય ગઢીયા નામના મેડિકલ ઓફિસરનું રાજીનામું સ્વીકારવામાં નહોતું આવ્યું અને તો પણ તેઓ જૂનાગઢમાં છેલ્લા સાત માસથી ખાનગી દવાખાનું ચલાવતા હોવાથી ગઈકાલના તેમને પકડી લેવામાં આવ્યા હતા.

સરકાર દ્વાર નિયમ ઘડવામાં આવ્યો છે કે કોઈ પણ મેડિકલ ઓફિસરનું મહામારીમાં રાજીનામું સ્વીકારવામાં નહીં આવે. આમ છતાં ડોક્ટર સાહેબ છેલ્લા સાત મહિનાથી રજા પર ઉતરી ગયા હતા અને જવાહર રોડ ઉપર ખાનગી ધંધો ચલાવતા હતા. અહીં દિનેશભાઈ ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના લોકોએ ડોક્ટર તન્મય ગઢીયાને પકડી પાડ્યો હતો.

આ અંગેની જાણ જિલ્લા આરોગ્ય અધિકારીઓને થતાં એમણે કાગળ પર કાર્યવાહી કરી હતી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી રાજીનામું સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરી શકતો નથી. જોકે સામે ડોક્ટર તન્મય ગઢીયાએ માતાની સારવાર કરાવવાની હોવાની વાત વહેતી મૂકી હતી.

જણાવી દઈએ કે વંથલી પંથકમાં 47 જેટલા ગામ આવેલા છે. ગામડા સુધી તો માંડ સરકારી મેડિકલ સુવિધાઓ પહોંચતી હોય છે. જેથી વંથલીની આસપાસના ગામના લોકોને સારવાર માટે કોઈ કોઈ વાર જૂનાગઢ શહેરમાં ધક્કો ખાવો પડે છે. અહીં બે ડોક્ટર રાખવામાં આવ્યા હતા. ડોક્ટર જનકભાઈ ભલાણી અને કણજાના ડોક્ટર તન્મયભાઈ ગઢીયા. આ બંનેને મહામારી સમયે કોવીડ વોર્ડમાં રાખવામાં આવેલ પણ બંનેએ અંગત કારણોસર રાજીનામું આપી ચાલતી પકડી હતી. જે પછી આજે તન્મય ગઢીયા ખાનગી દવાખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું હતું અને તેમને પકડી પાડ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments