Homeગુર્જર નગરીવનરાજની વિદાયઃ ટ્રેનની અડફેટે આવેલા સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ

વનરાજની વિદાયઃ ટ્રેનની અડફેટે આવેલા સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ

Team Chabuk Gujarat Desk: ગીરમાંથી વધુ એક દુઃખદ સમાચાર મળ્યા છે. ગીરમાં ટ્રેનની અડફેટે આવી ગયેલા વનરાજાનું મૃત્યુ થયું છે. શક્કરબાગમાં સારવાર દરમિયાન વનરાજાએ અંતિમ શ્વાસ લીધા હતા. 16 ફેબ્રુઆરીએ સિંહ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. અમરેલીના રાજુલા નજીક ઉંચેયા ગામ પાસે વહેલી સવારે ગુડ્સ ટ્રેને સિંહને અડફેટે લીધો હતો. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે સિંહ ટ્રેક પરથી ઉછળીને ટ્રેક બહાર ફંગોળાઈ ગયો હતો. દુર્ઘટનામાં સિંહને પીઠ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ વન વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને સિંહને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ સક્કરબાગ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.

સિંહના મોત અંગેની પુષ્ટિ શેત્રુંજી ડિવિઝનના DCF નિશા રાજે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારી ટીમે સિંહને બચાવવા માટે ખુબ મહેનતત કરી પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સિંહને અમે બચાવી શક્યા નહી. સિંહનું મોત થયું તે દુઃખદ બાબત છે.

અકસ્માતની ઘટના અંગે રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

ભૂતકાળમાં પણ આ ટ્રેક સિંહ માટે જોખમી સાબિત થયો છે. છેલ્લા 12 વર્ષમાં કુલ 12 સિંહના અકસ્માતે મોત થયા છે. એટલે કે, દર વર્ષે એક સિંહનું ટ્રેનની અડફેટે મોત થાય છે. સિંહ માટે રાજુલા ઉપરાંત ઊનાનો રેલવે ટ્રેક પણ ખુબ જોખમી સાબિત થઈ રહ્યો છે. સિંહને ટ્રેકથી દૂર રાખવા વન વિભાગ પણ સતત કાર્યશીલ રહે છે. ટ્રેકર દ્વારા સિંહ પર સતત નજર રાખવામાં આવે છે. જો સિંહ રેલવે ટ્રેક નજીક જોવા મળે તો તેને ત્યાંથી દૂર લઈ જવામાં આવે છે.

બીજી તરફ સિંહનું મોત થતાં સિંહપ્રેમીઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ રેલવે ટ્રેકની અડફેટે હવે વધુ સિંહનો ભોગ ન લેવાય તે માટે પગલાં લેવાની માગણી કરી હતી.

અન્ય એક સિંહપ્રેમીએ કહ્યું હતું કે, વનરાજ એ ગુજરાતનું ગૌરવ છે. તેનું જીવન અમૂલ્ય છે તેને આપણે આવી રીતે ન મરવા દેવો જોઈએ. ખરેખર સિંહનું આવી રીતે મૃત્યુ એ દુઃખદ બાબત છે.

હાલ ગીરના સિંહ પર ઘાત ચાલી રહી છે. તાજેતરમાં જ ગીરની એક ઘટના સામે આવી હતી જેમાં કેટલાક લોકો સિંહનો શિકાર કરવા નીકળ્યા હતા. તેમની પાસેથી ફાંસલાં પણ મળ્યા હતા. વન વિભાગે સૂત્રધાર સહિતના અન્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેમણે અગાઉ એક સિંહનો શિકાર કર્યો હોવાનું પણ કબૂલ્યું છે. હાલ વન વિભાગ આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે.  વન વિભાગના નાક નીચેથી આ શિકારી ટોળકીએ ક્યારે સિંહનો શિકાર કર્યો અને ત્યારબાદ શું કર્યું તે અંગેની વિગતો ટૂંક સમયમાં સામે આવી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments