Homeગુર્જર નગરીરાજ્યમાં વીજ ઉત્પાદનના જથ્થામાં આ કારણોસર અસર પડી, ‘પરંતુ વીજ કાપની પરિસ્થિતિ...

રાજ્યમાં વીજ ઉત્પાદનના જથ્થામાં આ કારણોસર અસર પડી, ‘પરંતુ વીજ કાપની પરિસ્થિતિ નહીં સર્જાય’

Team Chabuk-Gujarat Desk: રાજ્યની વીજ પરિસ્થિતિ અંગે માધ્યમો સાથે વડોદરામાં સંવાદ કરતા મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ના એમ. ડી. તુષાર ભટ્ટે જણાવ્યું કે રાજ્યના તમામ ગ્રાહકોની વીજ માંગને સંતોષવા માટે રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં વીજ કાપની કોઈ પરિસ્થિતિ સર્જાવાની નથી. લોકો અફવાઓથી ગેરમાર્ગે ન દોરાય તેમણે ઉમેર્યું હતું.

ભટ્ટે ઉમેર્યું કે, વીજ ઉત્પાદન માટે રાજ્યમાં કોલસાની કોઈ અછત નથી. કોલસા આધારિત વીજ મથકોમાં પૂરતા પ્રમાણમાં કોલસો ઉપલબ્ધ છે. પરંતુ તહેવારોને કારણે વીજ વપરાશમાં વધારો અને ચોમાસાના કારણે કોલસાની અછતને કારણે આ પરિસ્થતિ ઊભી થઈ છે. તેમ છતાં રાજ્યમાં કોઈ વીજ કાપ આપવામાં આવ્યો નથી.

ખેડૂતોને પણ જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જીસેકના પાંચ પ્લાન્ટ શરૂ છે અને બીજા દસ શરૂ કરવામાં આવશે, પાવરની સ્થિતિમાં ઉમેરો થયો છે. બીજા રાજ્યોમાંથી ખરીદી કરવામાં આવે છે અને સોલાર તથા પવનથી ઉત્પન્ન થતી રીન્યુએબલ એનર્જી દિવસ દરમિયાન ઉપયોગી નીવડતી હોય રાત્રે થર્મલ અને હાઈડ્રોએનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે તેમ ભટ્ટે ઉમેર્યું હતું.

વીજ અછત અંગે પ્રસિદ્ધ થતા અહેવાલ હકીકતથી વેગળા છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, રાજ્યની વીજ માંગને પૂરી કરવા રાજ્ય સ્થિત તેમજ રાજ્ય બહારના વિવિધ વીજ મથકોમાંથી વીજળી મેળવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં થયેલ તીવ્ર વધારો, ગેસની સીમિત ઉપલબ્ધતા અને હંગામી ધોરણે ટેકનીકલ કારણોથી બંધ થયેલ જી.એસ.ઈ.સી.એલ.ના વીજ મથકોને કારણે રાજ્યમાં સ્થિત વીજ મથકમાંથી વીજ ઉત્પાદનનાં જથ્થામાં અસર થઈ છે.

હંગામી ધોરણે ઉદભવેલ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને તેની હસ્તકની વીજ કંપનીઓ દ્વારા તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ટેકિનકલ કારણોથી અસરગ્રસ્ત થયેલ વીજ એકમોને તેની સંપૂર્ણ ક્ષમતાએ પુનઃ કાર્યરત કરવા માટે પગલાઓ લેવામાં આવ્યા છે.

આમ, હાલ વીજ ઉત્પાદન અંગેની ઉદભવેલ પરિસ્થિતિને નિવારવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યા છે. આગામી બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

રાજ્યમાં વીજ કાપ અને તીવ્ર અછત અંગેની અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તેમણે વીજ ગ્રાહકોને અનુરોધ કર્યો છે. આ માધ્યમ સંવાદમાં MGVCL ના મુખ્ય ઇજનેર એમ.ટી સંગાડા અને અધિક મુખ્ય ઇજનેર કે.બી.ઢેબર ઉપસ્થિત રહ્યા હતા.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments