Homeગુર્જર નગરીરાજ્યમાં નવા 75 ઓક્સિજન પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂઃ નીતિન પટેલ

રાજ્યમાં નવા 75 ઓક્સિજન પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂઃ નીતિન પટેલ

Team Chabuk-Gujarat Desk: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું કે, રાજ્યમાં કોરોનાની આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજયનું વહીવટીતત્ર સુસજજ છે. મહેસાણા જિલ્લામાં વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓના નિરીક્ષણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે છે. સરકાર દ્વારા મેડિકલ તજજ્ઞો દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવું સુચારું વ્યવસ્થાપન ગોઠવવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ત્રીજા વેવની સંભાવનાને ધ્યાને લઈને દર્દીઓને સત્વરે સારવાર મળી રહે એ માટે રાજય સરકારે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોજ બરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળતી કોર કમિટીની બેઠકમાં આયોજન અંગે ચર્ચા વિચારણા કરીને તેનું આયોજન પણ ગોઠવવામાં આવી રહ્યુ છે. બીજા વેવમાં જે ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઈ તેને ધ્યાને લઈને આગામી સમયમા દર્દીઓને કોઈ તકલીફ ના પડે એ માટે કેન્દ્ર સરકાર અને રાજયસરકારના સહયોગથી રાજયમા નવા 75 ઓકસિજન પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સાથે સાથે ઓકસિજનના બોટલના રીફીલીંગની પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.

રાજયમાં હાલ દૈનિક 800 થી 900 મેટ્રિક ટનનો જથ્થો ઉત્પન્ન થાય છે એમાં વધારો કરવા માટે 300 મેટ્રિક ટન વધુ ઓક્સિજન ઉત્પન્ન થાય એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે એજ રીતે એક મિનિટમાં પાંચથી દસ લીટર ઓક્સિજન ઉત્પન્ન થાય એવા કોન્સટ્રેટર પણ પી.એમ.કેર ફંડ અને દાતાઓના સહયોગથી મળી રહ્યા છે તે પણ વ્યકિતગત દર્દીઓને આપવામાં આવશે આમ બીજા વેવમાં કોઈપણ દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યુ થયુ નથી એ માટે આગામી સમયમાં પણ સમગ્ર આયોજન રાજય સરકાર દ્વારા કરી દેવાયું છે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, તબીબો,નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, વહીવટી તંત્રના ખંતપુર્વક ફરજ નિષ્ઠાને પગલે કોરોના દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. આ ઉપરાંત નાગરિકોને સાથ અને સહકારને પગલે કોરોનોના દર્દીઓમાં પણ ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહેસાણા જિલ્લાની સી.એચ.સી લાંઘણજ, ગર્વમેન્ટ ગ્રાન્ટ ઇન એઇડ સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા અને મહેસાણા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ચકાસણી કરી હતી અને સંભવિત ત્રીજી લહેર સામે અસરકારક કામગીરી કરવા સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા તાલુકાના લાંઘણજ અને ગોઝારીયા ખાતે નાયબ મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી ગર્વમેન્ટ ગ્રાન્ટ ઇન એઇડ ગોઝારીયા ખાતે ૨૦ ક્યુબીક મીટર અને લાંઘણજ સરકારી હોસ્પિટલામાં ૧૦ ક્યુબીક મીટર ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થનાર છે.

મહેસાણાના લાંઘણજ અને ગોઝારીયા ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થવાથી નજીકના ગ્રામ્ય દર્દીઓને સીધો ફાયદો થશે. લાંઘણજ અને ગોઝારીયા હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રીએ આગામી સમયામાં તૈયાર થનાર ઓક્સિજન પ્લાન્ટની જગ્યા, તકનીકી બાબતો સહિત વિવિધ બાબતોની માહિતી મેળવી હતી. આ ઉપરાતં તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના આરોગ્યની પુચ્છા કરી ખબર અંતર પુછ્યા હતા.

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આગામી સમયમાં સી.એસ.આરના ભાગ રૂપે ૧૫૦૦ લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થનાર છે. આ પ્લાન્ટથી રોજની ૩૦૦ બોટલ ઓક્સિજન પ્રાપ્ત થશે. મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજે રૂ.૧.૭૩ કરોડના ખર્ચે તૈયાર થનાર પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ આગામી ત્રણ અઠવાડિયામાં કાર્યરત થશે. આ પ્લાન્ટ કાર્યરત થવાથી ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને સીધો ફાયદો થશે.

કોરોનાના કપરાકાળમાં નાયબ મુખ્યમંત્રીએ પ્રજાના આરોગ્યની સુખાકારી-સુવિધાઓ માટે સતત ચિંતા કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. મહેસાણા સિવિલ હોસ્પિટલના તમામ વિભાગો સહિત હોસ્પિટલમાં નવીન કાર્યરત આર.ટી.પી.સી.આર લેબની તેમણે મુલાકાત લીધી હતી અને સિવિલમાં દાખલ દર્દીઓને મળતી સારવાર સંદર્ભે માહિતી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનથી આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સુસજજ બન્યુ છે. મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં સરકાર સહિત વિવિધ કંપનીઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં આ તમામ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થવાથી ૨૪ કલાકમાં ૯૦૦ બોટલ ઓક્સિજનનું ઉત્પાદન કરશે જેની સાથે અંદાજીત ૫૦૦૦ લિટર પ્રતિ મિનિટ ઓક્સિજનના ઉત્પાદન સાથે જિલ્લો આરોગ્યની સુખાકારી સુવિધા માટે પ્રેરણારૂપ બનશે.

મહેસાણા જિલ્લામાં જી.એમ.ઇ.આર.એસ વડનગર ખાતે ૭૦૦ લિટર પ્રતિ મિનિટ, મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૫૦૦ લિટર પ્રતિ મિનિટ, સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ મહેસાણા ખાતે ૨૩૩ લિટર પ્રતિ મિનિટ, સી.એચ.સી જોટાણા ખાતે ૧૬૬ લિટર પ્રતિ મિનિટ, સી.એચ.સી કડી ખાતે ૫૦૦ લીટર પ્રતિ મિનિટ, એસ.ડી.એચ વિસનગર ખાતે ૨૩૨ લિટર પ્રતિ મિનિટ, એસ.ડી.એચ ઉંઝા ખાતે ૫૦૦ લિટર પ્રતિ મનિટ, સી.એચ.સી લાંઘણજ ખાતે ૧૬૬ લિટર પ્રતિ મિનિટ અને ગોઝારીયા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ૧૬૬ લિટર પ્રતિ મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન થનાર છે. આ ઉપરાંત અન્ય બે સંભવિત સ્થળોએ અંદાજીત ૪૦૦ લિટર પ્રતિ મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન થનાર છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલના માનસિક રોગના દર્દીઓની હોસ્પિટલના નવીન બિલ્ડીંગમાં ૬૫ પથારીની આઇ.સી.યુની સુવિધા ઉપલ્બધ કરાઇ છે.આ હોસ્પિટલમાં ૧૫ પથારીની પીડીયાટ્રીક આઇ.સી.યુ અદ્યતન સુવિધા સાથે તૈયાર થનાર છે. જિલ્લામાં વડનગર ખાતે ૫૦ પથારીની પીડીયાટ્રીક આઇ.સી.યુ સુવિધાની આગોતરી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત ગોઝારીયા ખાતે સરકારની અનુદાનિત હોસ્પિટલમાં ૬૦ પથારી સેન્ટ્રલલાઇઝ ઓક્સિજન છે.

મહેસાણા જિલ્લામાં કડીમાં ૧૬, ઉંઝા ૫૦ અને વિસનગરમાં ૩૦ પથારીઓની સેન્ટ્રલાઇઝ ઓક્સિજન સાથે  સરકારી હોસ્પિટલમાં સુવિધા શરૂ થનાર છે. મહેસાણા જિલ્લામાં આરોગ્યની સુખપ્રદ સેવાઓ મળી રહે તે માટે ધારાસભ્યઓ દ્વારા આરોગ્ય સંબધિત વિવિધ સાધનોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં વેન્ટીલેટર, ઓક્સિજન કોન્સટ્રેટર, બાયપેપ, એમ્બ્યુલન્સ સહિતના સાધનોની ખરીદી થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments