Team-Chabuk-Gujarat Desk: પંચમહાલના શહેરામાં હત્યારા પતિને પકડવા માટે પોલીસ શોધખોળ કરી રહી છે. આ પતિએ પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સમસ્યાનો નિવેડો પણ આવવાનો હતો. હત્યારા પતિની દીકરીની સમાજમાં બદનામી થઈ રહી હતી જેના કારણે સમાજનું પંચ ભરવામાં આવ્યું હતું. આ પંચમાં જેને બોલાવવામાં આવેલા તે બહેન, બનેવી અને ભાણો જ ઉપસ્થિત નહોતાં રહ્યાં. આખરે પતિનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી જતાં તેણે તીક્ષ્ણ હથિયાર વડે નિર્દોષ પત્નીનું કાસળ કાઢી નાખ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં મૃતક મહિલાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. એક બાજુ તેના કુખે જન્મેલી દીકરી હતી તો બીજી બાજુ તેની બહેનનો દીકરો હતો. આમાં શું કરવું અને શું નહીં તેની મથામણમાં મહિલા અટવાય ગઈ હતી. તે પોતાના પતિને સમાજની રાહે પંચ ન બોલાવવા માટે વારંવાર કહી રહી હતી પણ આખરે પંચનું બોલાવવું જ તેના માટે ઘાતક પૂરવાર થયું હતું.
આ સમગ્ર ઘટના બની છે પંચમહાલ જિલ્લાના શહેરાના બીલીથા પંથકની અંદર. મુગ્ધાઅવસ્થામાં પાંગરેલા પ્રેમ સંબંધો ક્યાંથી ક્યાં લઈ જાય એ કહી શકાતું નથી. અત્યાર સુધી હસતાં ખેલતાં પરિવારના માળાને વેરવિખેર કરી નાખે છે. હત્યારા પતિનો આ કિસ્સો પણ એવો જ છે.
માસી-માસીના ભાઈ બહેનની વચ્ચે જ પ્રેમ સંબંધ પાંગર્યો હતો. આ વાતની એક પ્રસંગે જતા છોકરીના પિતાને ભનક લાગી ગઈ હતી. તેમને થઈ ગયું કે આ કારણે સમાજમાં તેમની દીકરીની બદનામી થશે એટલે પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતી વેળાએ તેમણે કારની અંદર જ આ વાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખટરાગ થયા બાદ સાઢું, સાળી અને ભાણો વાહનમાંથી ઉતરી ગયા હતાં. પતિએ આ મુદ્દે પોતાની પત્નીની કહ્યું હતું કે તારા બહેન અને બનેવીને બોલાવી આ મુદ્દાનો કાઢો કરવો પડશે, નહીંતર આપણી દીકરી સમાજમાં બદનામ થશે.
વાત વણસતી જોતાં પત્નીએ આમ કરવાનું નહોતું કહ્યું, ત્યારે ઉગ્ર સ્વભાવના પતિએ તું તારી બહેનનો પક્ષ ન લે, કહી પંચ સામે આ વાત રાખવાની અને દીકરીને સમાજની બદનામીથી બચાવવાની દિશામાં પગલું ભર્યું હતું. પણ સમાજની રાહે ભરાયેલા પંચમાં બહેન, બનેવી અને ભાણો ત્રણે ન આવતા પતિના મગજમાં એ વાતનો ખિલ્લો ખોડાઈ ગયો હતો કે તેની પત્નીએ જ તેમને નહીં આવવા દીધા હોય. પંચેથી ઘરે પતિ, પત્ની અને તેમનો દીકરો આવ્યા હતા. પત્ની ખેતરમાં લઘુશંકાએ ગઈ હતી. પતિએ પણ કાંઈ કામ હોય એમ કહી બહાર નીકળી ગયો હતો.
પતિના મગજમાં એ જ વાતનો કાંટો ઘુમતો હતો. તેણે પત્નીની પાછળ જઈ તેને ગળામાં તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી તેનું કાસળ કાઢી નાખ્યું હતું. આ વાતની જાણ પાડોશીને થતાં ઈજાગ્રસ્ત મહિલાને તેનો પુત્ર અને ભાઈ દવાખાને લઈ ગયા હતા. જોકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોતાની માતાની હત્યા અંગે પુત્રએ તેના પિતા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત