રવીશ કુમારે લખેલા આજના ફેસબુક લેખનો અનુવાદ.
હું આજે શા માટે લખી રહ્યો છું, અર્ણબની ધરપકડ પછી તુરંત કેમ ન લખ્યું?
આત્મહત્યા માટે ઉશ્કેરવાની ઘટના સંગીન છે, પણ ફક્ત નામ આવી જવું જ કાફી નથી હોતું. નામ આવ્યું છે તો તપાસ થવી જોઈએ અને પ્રક્રિયા અનુસાર થવી જોઈએ. એ જૂના કેસમાં આ પ્રકારની ધરપકડ શંકા ઉપજાવે છે. મહારાષ્ટ્ર પોલીસે કોર્ટમાં કે જનતા સામે સ્પષ્ટ કરવું જોઈએ કે કયા પ્રમાણ પર આ કેસને બંધ કરવામાં આવ્યો હતો ? શું રાજનીતિક દબાણ હતું ? ત્યારે આપણે જાણી શકીશું કે આ વખતે રાજનીતિક દબાવમાં પણ કોઈની સાથે ન્યાય થઈ રહ્યો છે. અદાલતના અસંખ્ય આદેશ છે. આત્મહત્યાને લઈ ઉશ્કેરવા માટેના આવા કિસ્સાઓમાં આ પ્રકારે ધરપકડ નથી થતી. કાયદાના જાણકારોએ પણ આ વાત કહી છે. જેથી મહારાષ્ટ્ર પોલીસ પર શંકા કરવાના કેટલાય કારણો બને છે. જે કારણે પોલીસની કાર્યવાહી ને માત્ર ન્યાય અપાવવાની કામગીરી ન માની શકાય.
ભારતની પોલીસ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો એ પોતાના ગળામાં ફાંસીનો ગાળીયો નાખવા જેવું છે. ખોટા કેસમાં ફસાવવાથી લઈને લોકઅપમાં કોઈને મારી મારીને મારી નાખવા, કોઈ ગરીબ દુકાનદાર પાસેથી હપ્તો વસૂલવો અને કોઈને પણ બરબાદ કરી દેવાનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે.
અર્ણબના કેસમાં કહેવામાં આવે છે, મહારાષ્ટ્રની પોલીસ બદલાની ભાવનાથી કામ કરી રહી છે. ખોટું નથી કહેવામાં આવી રહ્યું. શું દિલ્હી પોલીસ અને યુપી પોલીસ બદલાની ભાવનાથી કાર્યવાહી નથી કરતી ? અર્ણબ ગોસ્વામીએ કોઈ દિવસ પોતાના જીવનમાં અમારી જેમ આ રીતે પોઝિશન નથી લીધી. મને કંઈ થશે તો અર્ણબ ગોસ્વામી એક લાઈન પણ નહીં બોલે. જો પોલીસ કોઈને દંગાના ખોટા આરોપમાં ફસાવી દે તો અર્ણબ ગોસ્વામી એવા પહેલા પત્રકાર હશે જે કહેશે કે બિલકુલ યોગ્ય છે. પોલીસ પર શંકા કરનારા જ ખોટા છે. તો પણ એક નાગરિકની રીતે આપ પણ અર્ણબના કેસમાં પોલીસના વર્તનનું સખત પરીક્ષણ કરો, જેથી સિસ્ટમ દબાણ અને દોષથી મુક્ત બને. એમાં જ સૌનું ભલું છે.
ડો. કફીલ ખાન પર અમાન્ય રીતે રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન લગાવીને છ મહિના બંધ રાખવામાં આવ્યા. અલાહબાદ કોર્ટે કહ્યું હતું કે, ખોટી રીતે રાસૂકા લગાવવામાં આવી છે. અધિકારીની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ. અર્ણબ ગોસ્વામી, ગૃહમંત્રી અમિત શાહથી લઈને તમામ મંત્રી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ અન્યાય વિરૂદ્ધ ન બોલ્યા.
ભારતમાં કોના રાજમાં પ્રેસની સ્વતંત્રતા પૂર્ણ થઈને માટીમાં ભળી ચૂકી છે. એ બતાવવાની જરૂર નથી. તમને એક લાખ વખત કહી ચૂક્યો છું. પ્રેસની સ્વતંત્રતાની વાત કરી ચૂકેલા મંત્રીઓના પ્રધાનમંત્રીએ આજ સુધી એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી.
જ્યારે એનડીટીવી પર છાપા પડ્યા હતા અને એક ચેનલને ડરાવવામાં આવી રહી હતી. ત્યારે અર્ણબનો કેમેરો બહાર લાગેલો હતો અને લિંચમેનની માફક કવર કરવામાં આવી રહ્યું હતું. તેમના કવરેજ પર એક લાઈન પણ પ્રેસની સ્વતંત્રા પર નહોતી. એનડીટીવીની સોનિયા વર્મા સિંહે ટ્વીટ કરીને અર્ણબની ધરપકડની નિંદા કરી છે. એનડીટીવીના અન્ય સહયોગીઓએ પણ અર્ણબની ધરપકડની કડક શબ્દોમાં આલોચના કરી છે. આ ફર્ક છે.
અર્ણબે મોદી સરકાર પર શું સવાલો ઉઠાવ્યા છે, બેરોજગારીથી લઈને ખેડૂતોના મુદ્દાઓ કેટલા દર્શાવવામાં આવ્યા છે એ બધુ દર્શકોને ખ્યાલ છે. ઉલટાનું અર્ણબ ગોસ્વામી સરકાર પર સવાલ ઉઠાવનારાઓને નક્સલથી લઈને રાષ્ટ્રવિરોધી કહે છે. ભીડને ઉત્તેજીત કરે છે. ખોટી અને અનગર્લ વાતો કરે છે. એ કોઈ જગ્યાએથી પત્રકાર નથી. તેમનો બચાવ પત્રકારિતાના સંદર્ભમાં કરવો એ તેમની તમામ હિંસક અને ભ્રષ્ટ હરકતોને યોગ્ય ઠેરવવા જેવું થશે.
અર્ણબની પત્રકારિતા એ રેડિયો રવાંડાનું ઉદાહરણ છે, જેના ઉદઘોષકે ભીડને ઉત્તેજીત કરેલી અને લાખો લોકો મૃત્યુ પામેલા. અર્ણબે કોઈ દિવસ ભીડની હિંસામાં મૃત્યુ પામેલા લોકોનો પક્ષ નથી લીધો. ગત્ત ચાર મહિનાથી તેઓ પોતાની ન્યૂઝ ચેનલમાં, જે તેઓ કરી રહ્યા હતા, તેમના પર અદાલતોની કેટલીય ટીપ્પણીઓ આવી ચૂકી છે. ત્યારે કોઈ મંત્રીએ શા માટે ન કહ્યું કે કોર્ટ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો કરી રહી છે ? જ્યારે મોદી રાજમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની સીમાઓ જેટલી વખત પાર કરવામાં આવી છે તેટલી વખત કોઈ સરકારમાં નથી થયું.
એક વખત અર્ણબ હાથરસ કેસમાં યોગીની પોલીસને લલકારીને જોઈ લેત, જે રીતે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવને લલકારે છે તો તમને અંતર ખબર પડી જાય કે કઈ સરકાર સંવિધાનનું પાલન કરી રહી છે. ઉદ્ધવ સરકારે પ્રચુર સંયમનો પરિચય દીધો છે અને એમની પાર્ટીના કાર્યકર્તાઓએ પણ જેમની છબી મારપીટની રહી છે. કેટલાય મહિનાઓથી અર્ણબ લગામ વિના, પત્રકારત્વની હત્યા કરીને દરેક સંવૈધાનિક મર્યાદાના ભુક્કા બોલાવી રહ્યા હતા. પત્રકાર રોહિણી સિંહે ટ્વીટ કર્યું છે કે, ઉત્તર પ્રદેશમાં પત્રકારો વિરૂદ્ધ 50થી વધારે કેસ ફાઈલ થયા છે. શું અર્ણબમાં એ સાહસ છે કે હજુ પણ યોગી સરકારને આ ઘટના પર પડકારે.
ધ વાયરના સંસ્થાપક છે સિદ્ધાર્થ વરદરાજન. અર્ણબ ગોસ્વામી સિદ્ધાર્થ વરદરાજન વિશે શું શું કહે છે. તમે રેકોર્ડ કાઢીને જોઈ શકો છો. પણ સિદ્ધાર્થ વરદરાજને એમની ધરપકડમાં પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. આલોચના કરી છે.
ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશને પણ કડક શબ્દોમાં આલોચના કરી છે જ્યારે અર્ણબ તો એમના સભ્ય પણ નથી. અર્ણબે હંમેશાં આ સંસ્થાની મજાક ઉડાવી છે. શું ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન કોઈ એવી નાની ચેનલના પત્રકારની ધરપકડ પર બોલશે જે એનો સભ્ય જ નથી ? કેન્દ્ર સરકાર અર્ણબ સાથે ઊભી છે. અર્ણબ કેન્દ્ર સરકારનો ભાગ થઈ ચૂક્યા છે. અર્ણબ પત્રકાર નથી. જેને લઈને કોઈ પણ પ્રકારની શંકા ન હોવી જોઈએ. પત્રકારિતાના દરેક સ્તંભને ધ્વંસ કર્યો છે. જે રીતે પોલીસ કમિશ્નરને પડકારી રહ્યા હતા, એ પત્રકારિતા નથી.
મેં કાલ આ ઘટના પર કંઈ ન લખ્યું, કારણ કે પ્રાઈમ ટાઈમ સિવાય અસંખ્ય કામ કરવા પડે છે. હું લાંબુ લખું છું આ માટે પણ સમય જોઈએ. જ્યારે ધરપકડની ખબર આવી ત્યારે હું વોટ્સએપ પર હતો. પછી તુરંત કપડા ધોવા ચાલ્યો ગયો. ધોવા છતાં ગંજીમાં સફેદી નહોતી આવી રહી. ત્યારે જ કોઈનો ફોન આવ્યો કે ચેનલ ચાલુ કરો અર્ણબની ધરપકડ થઈ ગઈ છે. મેં કહ્યું, એવા લોકોના કારણે જ તો ઘરમાં ન્યૂઝ ચેનલ ચાલુ નથી થતી. ગંજી ધોયા પછી ડ્રોઈંગ રૂમમાં પંખાની સફાઈ માટે આવ્યો તો ચેનલ ચાલુ કરી દીધી. પંખામાં જામેલી ધૂળ આંખો પર પડી રહી હતી. થોડા સમય પહેલા ફેસબુક પર રિપબ્લિક ચેનલ વિશે એડિટર્સ ગિલ્ડની પ્રતિક્રિયા પોસ્ટ કરી હતી કે, કોઈ એક પર આરોપ છે તો તમે આખા ગામ પર મુકદમો ન કરી શકો.
પણ હું તો અર્ણબનું ઘર જોઈને ચકિત્ત થઈ ગયો. રોજ 6000 શબ્દ ટાઈપ કરીને, હું ગાજીયાબાદના એ ફ્લેટમાં રહું છું જેમાં ખુરશી રાખવા માટે એક બાલકની નથી. અર્ણબનું ઘર કેટલું શાનદાર છે. ઈર્ષ્યાથી નથી કહી રહ્યો. મને કોઈનું પણ સારું ઘર સારું જ લાગે છે. એક વખત કોઈ અમીર પ્રશંસકે ઘરે આવવાની હઠ કરી હતી અને આવતા જ બાળકોની સામે કહી દીધું કે બસ આ ઘર જ છે તમારું. મેં તો વિચારેલું કે વિશાળ ફ્લેટ હશે. એક મહિલા તો રડવા લાગ્યા કે મારો ફ્લેટ લઈ લો. કોરોનાના કારણે જ્યારે હું ઘરથી એન્કરિંગ કરવા લાગ્યો તો મારા ઘરમાં જોવા માંડ્યા. તેમને લાગ્યું કે રવીશ કુમાર શાહરૂખ ખાન છે. થોડીવારમાં જ તેમને મારા ઘરની દીવાલોથી નિરાશા થઈ ગઈ. મને મારું ઘર ખૂબ સારું લાગે છે. મારી તેર વર્ષ જૂની કાર જોઈને કેટલીય વખત લોકોને લાગ્યું કે કોને બોલાવી લીધો આપણી મહેફિલમાં. જોકે ઈશ્વરે ઘણું આપ્યું છે. લોકોએ એટલો પ્રેમ આપી દીધો કે સો ફ્લેટ ઓછા પડી જાય તેને રાખવા માટે.
હું અર્ણબના શાનદાર ઘરના વિઝ્યુઅલની સામે અસંગઠિત વિસ્તારના એક મજૂરની જેમ ડઘાઈને ઊભો છું. હું શું બોલું, મારા બોલવાનો કોઈ અર્થ છે પણ કે નહીં. એક પત્રકાર એક ચેનલના માલિક વિશે બોલે એ માલિકોનું અપમાન છે.
હું તો બસ અર્ણબના ઘરની ખૂબસૂરતીમાં ખોવાઈ ગયો. કલ્પનાઓમાં ખોવાઈ ગયો. ડ્રોઈંગ રૂમની લાંબી કાચની બારી જેની બહાર સમુદ્ર કેટલો સુંદર દેખાય છે. અરબ સાગરની હવાઓ બારીને કેટલી થપથપાવતી હશે. અહીં તો કેદી પણ કવિ બની જાય. મને એ વાતની ખુશી થઈ કે અર્ણબના દિલ દિમાગમાં જેટલું પણ ઝેર ભરેલું પડ્યું હોય, ઘર કેવું હોય, ક્યાં હોય, કેવી રીતે રહેવું જોઈએ, તેનો ટેસ્ટ ખૂબ સરસ છે. તેમાં સૌંદર્ય બોધ છે. બિલકુલ કોઈ નફીસ અમીરની માફક જે પોતાના ટી-પોર્ટની ટિકોઝી પણ મિર્ઝાપુરના કારિગરો પાસે બનાવડાવતો હોય. હું વિશ્વાસથી કહી શકું છું કે અર્ણબની અંદર સુંદરતાની સંભાવનાઓ બચેલી છે. પણ વિચારો રોજ સમુદ્રના વિશાળ હ્રદયનું દર્શન કરનારા એન્કરનું હ્રદય કેટલું સંકુચિત અને નફરતથી ભરેલું છે.
અર્ણબ ગોસ્વામી જ્યારે પણ જેલથી આવે, સારું કે પોલીસ તેમને તુરંત છોડી દે. હું તો એ જ કહીશ કે થોડા દિવસની રજા લઈને પોતાના સુંદર ઘરને જુએ. આ સુંદર ઘરનો આનંદ ઉઠાવે. સાતે દિવસ કલાકો સુધી એન્કરીંગ કરવું એ મહેનતની દરેક અવધારણાનું અશ્લીલ ઉદાહરણ છે. જો આ ઘરનો આનંદ નથી ઉઠાવી શકતા તો મને મહેમાનના રૂપે આમંત્રિત કરે. હું થોડા દિવસ અહીં રહીશ. સવારે તેમના ઘરની કોફી ગટગટાવીશ.
જોકે મારા ઘરમાં તો હું ચા પીઉં છું, પણ જ્યારે તમે એક અમીરના ઘરે જાઓ તો પોતાનો ટેસ્ટ બદલી લો. થોડા દિવસ કોફી પર શિફ્ટ થઈ જાઓ. અને હા, એક વસ્તુ એ પણ કહેવા ઈચ્છું છું. તેમની બાલકની પાસે બેસીને અરબ સાગરથી આવતી હવાઓને સલામ મોકલવા માગુ છું અને બોર્ડર ફિલ્મનું ગીત ફૂલ વોલ્યુમ પર રાખી સાંભળવા માગુ છું. ऐ जाते हुए लम्हों, ज़रा ठहरो, ज़रा ठहरो….मैं भी चलता हूं… ज़रा उनसे मिलता हूं… जो इक बात दिल में है उनसे कहूं तो चलूं तो चलूं…. અને હા પોલીસના દરેક અન્યાયની વિરૂદ્ધ છું. લખું કે ન લખું.
(આ લેખથી કદાચ અર્ણબ ગોસ્વામીને ખ્યાલ આવી જશે કે શા માટે રવીશ પત્રકારત્વમાં શિરમોર છે. અમને ગમે છે. અનુવાદકર્તા Team Chabuk)