Team Chabuk-Gujarat Desk: મારા જેવા નાનામાં-નાના કલાકારની કળાની સરકારશ્રીએ યોગ્ય નોંધ લઈ પદ્મશ્રી પુરસ્કાર જાહેરાત કરી એ મારા અને મારા ડાંગસિયા સમુદાયના લોકો માટે ખૂબ જ ગૌરવની વાત છે. આજની આ યુવા પેઢી કળાના મહત્ત્વને સમજે અને તેને જીવંત રાખવા માટેના અવિરત પ્રયાસો કરે એ માટે સરકારશ્રીનો આ ઉત્તમ નિર્ણય છે. સરકારમાં એવોર્ડ માટે કોઈપણ પ્રકારની લાગવગની જરૂર નથી, માત્ર સખત મહેનતથી જ એવોર્ડ મળે છે, એ સરકારના આ નિર્ણયે સાબિત કરી દીધું છે. આ માટે અમે સરકારનો આભાર માનીએ એટલો ઓછો છે, આ લાગણીભીના શબ્દો છે ટાંગલિયા કળાના તારણહાર પદ્મશ્રી લવજીભાઈ પરમારના.
લવજીભાઈ ટાંગલિયા નામની કળાના કસબી છે. છેલ્લા ૪ દાયકા જેટલાં લાંબા સમયથી ટાંગલિયા કળાના પ્રહરી બનીને ૭૦૦ વર્ષ જૂની આ પરંપરાગત વણાટ કલાને જીવંત રાખી રહ્યાં છે. ઘેટાંના ઊનમાંથી તૈયાર થતાં ટાંગલિયા વણાટના વસ્ત્રો ભરવાડ, રબારી અને આહીર સમાજના લોકો પહેરે છે. ગુજરાત રાજ્યની ડાંગસિયા નામની અનુસૂચિત જનજાતિ આ પ્રકારનું કાપડ વણે છે. વર્ષો જૂની આ કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે. અત્યારે સમગ્ર રાજ્યમાં આંગળીના વેઢે ગણી શકાય એટલાં કલારસિકો આ કળાને આગળ ધપાવી રહ્યાં છે. તાજેતરમાં સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટાંગલિયા કળાના વાહક તરીકે સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ ખાતેના વતની લવજીભાઈ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સરકારના આ સન્માને ઝાલાવાડ સહિત સમગ્ર રાજ્ય અને કલા જગતનું ગૌરવ વધાર્યું છે.
લવજીભાઈ પરમારનો જન્મ 28/07/1959ના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અણીયારી ગામે થયો હતો. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની પરંતુ પિતા રોજગારી અર્થે ધંધુકા સ્થળાંતર કર્યું હોવાથી ત્યાં જન્મ થયો હતો. ધો.1 થી 7 સુધીનું પ્રાથમિક શિક્ષણ લવજીભાઈએ તાલુકા શાળા નંબર.4, વઢવાણ ખાતેથી અને ધોરણ-8નું શિક્ષણ વિનય મંદિર હાઈસ્કૂલ ઘરશાળા, વઢવાણ ખાતેથી મેળવ્યું હતું. માતા-પિતાના એકમાત્ર સંતાન હોવાથી પિતાની સાર-સંભાળ અને દેખરેખની જવાબદારી લવજીભાઈના માથે હતી. વારંવાર પિતાની નાદુરસ્ત તબિયતના કારણે લવજીભાઈ અભ્યાસ છોડી પોતાના વારસાગત વ્યવસાય ટાંગલિયા કળામાં જોડાયા હતાં. ટાંગલિયા કળાના જતન અને સંવર્ધન માટે લવજીભાઈના પિતા નાગજીભાઈ ગોવાભાઈ પરમારને કુટીર અને ગ્રામોદ્યોગ ખાતું, ગુજરાત રાજ્ય દ્વારા ટાંગલિયા વુલન શાલની હસ્તકલા કારીગરી ક્ષેત્રે વર્ષ 2001માં તત્કાલીન રાજ્યપાલ સુંદરસિંહ ભંડારીના વરદહસ્તે સન્માન આપવામાં આવ્યું હતું. આમ, લવજીભાઈને પિતા તરફથી સમૃદ્ધ વારસા તરીકે ટાંગલિયા કળાની વિશેષ ભેટ મળી હતી. સરકારે મને અને પિતાને યોગ્ય સન્માન આપીને કલાની કદર કરી છે. એક કલાકાર માટે કલાના સન્માનથી મોટી બીજી કોઈ વાત હોય શકે જ નહિ એમ લવજીભાઈએ હરખભેર જણાવ્યું હતું.
ટાંગલિયા કળામાં જોડાવા અંગેની પ્રેરણા વિશેની વાત કરતાં વધુમાં લવજીભાઈએ ઉમેર્યું હતું કે, ધોરણ.7માં અભ્યાસ દરમિયાન શાળામાંથી અમદાવાદ ખાતે એક પ્રદર્શનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં તેમણે પટોળા, કચ્છની ભરતગુંથણની વસ્તુઓ સહિતની અલગ-અલગ કળાઓ અંગેના સ્ટોલો જોયા હતાં. પરંતુ ટાંગલિયા કળાનો સ્ટોલ ન જોતા લવજીભાઈએ ટાંગલિયા કળાને દેશ-વિદેશોમાં પહોંચાડવાનું નક્કી કર્યું. આમ મક્કમ નિર્ધાર અને સખત મહેનતના પરિણામે આજે ટાંગલિયા કળાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી આ કળા દેશ-વિદેશના સીમાડાઓ વટાવી ચુકી છે.
ટાંગલિયાના ઉત્પાદનો અને વેચાણ વિશેની માહિતી આપતાં લવજીભાઈએ જણાવ્યું હતું કે, ટાંગલિયામાંથી ડ્રેસ મટીરીયલ, કુર્તા, કોટી, કોટન સાડી, કોટન સિલ્ક સાડી, મફલર સહિતની અનેક વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. આ બધી વસ્તુઓમાંથી અત્યારે કુર્તીઓની સૌથી વધુ માંગ છે. લવજીભાઈએ વર્ષ 1984-85માં સૌપ્રથમ ટાંગલીયા શાલ બનાવી હતી, જેને વર્ષ 1990માં ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત લવજીભાઈ વર્ષ 2019માં સંત કબીર એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. પોતાના દ્વારા તૈયાર થતા બધા જ ઉત્પાદનો સરકાર દ્વારા આયોજિત મેળાઓમાં વેચાય જાય છે, એમ કહેતા વધુમાં તેઓએ કહ્યું હતું કે, વેચાણ માટે કોઈ જગ્યાએ ભટકવું પડતું નથી. સરકાર દ્વારા આયોજિત મેળાઓ વેચાણ માટેનું ઉત્તમ પ્લેટફોર્મ છે. હૈદરાબાદ, બેંગ્લોર, કેરલ, ચેન્નાઈ, દિલ્હી સહિતના મોટા શહેરોમાં આ ઉત્પાદનોની ખુબ જ મોટા પ્રમાણમાં માંગ રહે છે. કળાને આ સ્તરે પહોંચાડવા માટે મેળાઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. સમયાંતરે સરકાર તરફથી મળતી તાલીમે પણ આ કળાને જીવંત રાખી છે. આજના આધુનિક સમયની માંગ પ્રમાણેના ઉત્પાદનો તૈયાર કરવાની પ્રેરણા પણ આ તાલીમો થકી મળે છે.
ટાંગલિયા કળાના વારસાને આગળ ધપાવવા વિશેની વાત કરતા લવજીભાઈએ સહર્ષ જણાવ્યું હતું કે, ત્રણ દીકરા અને એક દીકરી એમ મળી કુલ પરિવારના 13 લોકો આ કળાને આગળ વધારી રહ્યા છે. અત્યારે મારી સાથે આસપાસના 40 જેટલા લોકો રોજગારી મેળવી આત્મનિર્ભર બની કળાનું સંવર્ધન કરી રહ્યા છે. આ ઉપરાંત 30 થી વધુ લોકો મારી પાસે શીખીને આજે સ્વતંત્ર પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. જેનો અનેરો આનંદ છે. આમ, કળાના પ્રહરી બનવાની સાથેસાથે કળા શિક્ષક તરીકેની ભૂમિકા પણ લવજીભાઈ બખૂબી નિભાવી રહ્યા છે. આ વણાટકળાને આગામી પેઢીઓ સુધી પહોંચાડવા માટે લવજીભાઈએ એક સહિયારું સુવિધા કેન્દ્ર (કોમન ફેસિલિટી સેન્ટર-Common Facility Centre) પણ બનાવ્યું છે, જેમાં આ કળાની તાલીમ આપવામાં આવે છે. જ્યાં તાલીમાર્થીઓને તકનીકી અને બજાર સહાય પૂરી પાડી આજીવિકાનાં દ્વારો ખોલવામાં આવે છે.

પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતાં જીવનમાં આવેલા ફેરફારો વિશેની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતા જ સમાજમાં યોગ્ય સન્માનની સાથે અત્યારે નવા ગ્રાહકો પણ ખરીદી માટે આગળ આવી રહ્યા છે. જેનાથી ટાંગલિયા કળા અને વ્યવસાયનો વ્યાપ પણ વધી રહ્યો છે. આગામી સમયમાં આધુનિક સમયની માંગ પ્રમાણે પશ્મિના અને લદાખના ઉનમાંથી ઉત્પાદનો તૈયાર કરવાનો વિચાર છે. સમયની માંગ પ્રમાણેના આધુનિક ફેરફારો કરી ટાંગલિયા કળાને જીવંત રાખવા માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવા ખુબ જ જરૂરી છે. આ બધા પ્રયાસો થાકી લુપ્ત થતી આ કળાને નવજીવન મળશે.
વર્ષ 2009માં ટાંગલિયાને મળેલો GI ટેગ ગુજરાતની ટાંગલિયા હસ્તકળાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે. આજે લવજીભાઈ જેવા ટાંગલિયા કારીગરો આધુનિક સમયને અનુરૂપ આકર્ષક ડિઝાઇન્સ સાથે તેમનાં ઉત્પાદનો બનાવી રહ્યા છે. સરકારના ગરવી ગુર્જરી વેચાણ કેન્દ્રો ખાતે ટાંગલિયાનું વેચાણ પણ કરી રહ્યા છે. હસ્તકળા એ માત્ર કારીગરી નથી, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. જેનું રક્ષણ લવજીભાઈ જેવા કલા પ્રહરીઓ કરી રહ્યા છે. ‘જરૂરિયાતમંદ લોકોની સેવા એ જ રાષ્ટ્રસેવા’ના ધ્યેય સાથે સરકાર વિકાસના માર્ગે અવિરત આગળ વધી રહી છે. વંચિત સમુદાયોને સમાજની મુખ્યધારા સાથે જોડવાના ધ્યેય મંત્ર સાથે સરકાર તેમના સમગ્રતયા વિકાસ માટે પ્રયત્નશીલ છે. આજે સરકાર સામાન્યમાં-સામાન્ય માણસોની દરકાર લઇ તેમને યોગ્ય સન્માન આપી પ્રોત્સાહિત કરી રહી છે. સામાન્ય પરિવાર અને સાધારણ પરિસ્થિતિમાંથી આવતાં લવજીભાઈ પરમાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. સામાજિક, આર્થિક અને ભૌગોલિક કારણોસર જેમને વિકાસની પૂરતી તકો મળી નથી તેવા ગરીબો-વંચિતોને વિકાસના માર્ગે આગળ ધપાવવા સરકાર સતત કાર્યરત છે. રાજ્ય સરકારના નક્કર પ્રયાસો થકી સામાજિક ઉત્કર્ષની વિભાવનાને ખરા અર્થમાં સાર્થક થતી જોવા મળી રહી છે.
તાજેતાજો ઘાણવો
- અમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના મોત
- ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠાએ મારી બાજી
- આતંકી મસૂદ અઝહરના પરિવારનો ખાત્મો, મસૂદે કહ્યું- હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત
- ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનમાં 9 સ્થળે એરસ્ટ્રાઈક, અનેક આતંકી માર્યા ગયાની આશંકા
- રાજકોટમાં ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)નો દબદબાભેર પ્રારંભ