શૈલેષ નાઘેરાઃ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થાય એટલે કેરીની યાદ આવે. એમાંય કેસર કેરીનું નામ પડે એટલે મોઢામાં પાણી આવ્યા વિના રહે નહીં. પરંતુ આ વખતે બજારમાં કેરી ઓછી જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનો પાક આ વર્ષે જુજ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના કેસર કેરીના બગીચામાં આંબા પર મોર બળી ગયેલો જોવા મળી રહ્યો છે. જેનું કારણ છે ગત વર્ષે મે મહિનામાં આવેલું તાઉતે વાવાઝોડું. વાવાઝોડુ, માવઠું અને વારંવાર વાતાવરણમાં ફેરફાર થવાના કારણે તાલાલા પંથકમાં કેસર કેરીનો પાક નષ્ટ પામ્યો છે.
વાવાઝોડાને લીધે આંબાનાં મૂળિયાં નબળા પડી જતા કેરીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે બીજી તરફ બાગાયતી ખેડૂતોને આપવામાં આવેલ રૂ.125 કરોડનું ચાલુ ધિરાણ માફ કરવા માંગ ઉઠી રહી છે. કેસર કેરીનો પાક નિષ્ફળ જવાના કારણે તાલાલા માર્કેટિંગ યાર્ડ શરૂ થવાની શક્યતા પણ નથી દેખાઈ રહી. કેરીનો પાક તાલાલા પંથકની જીવાદોરી સમાન હોય કેસર કેરીના પાકને પાક વિમામાં સમાવેશ કરવામાં હવે વિલંબ કરવામાં આવશે તો ખેડૂતો આંબા કાપવા લાગશે અને તાલાલા પંથકના આંબાના બગીચા ભૂતકાળ બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

તાલાલા પંથકમાં ગત વર્ષે આવેલ તાઉ તે વાવાઝોડાને કારણે કિસાનોને મોઢે આવેલ કોળીવી કુદરતે ઝુંટવી લીધા બાદ આ વર્ષે માવઠું અને ત્યારબાદ વાતાવરણમાં આવેલ અવિરત બદલાવને કારણે કેસર કેરીનો પાક અનુકૂળ આબોહવાના અભાવના કારણે મોટાભાગનો નિષ્ફળ ગયો છે.
તાલાલા પંથકમાં કોઈ પણ ગામના કેસર કેરીના બગીચામાં નજર કરો તો બગીચામાં આંબા ઉપર બળી ગયેલ મોર નજરે પડે છે. સતત બે વર્ષથી કેસર કેરીના પાકની અકલ્પનીય નુકસાનીથી પડી ભાંગેલ ખેડૂતોને બેઠા કરવા કેરીના નિષ્ફળ પાકનું વિના વિલંબે સર્વે કરાવી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને યોગ્ય વળતર ચૂકવવા તાલાલા પંથકની ૨૭ ગામની સહકારી મંડળીઓએ માંગણી કરી છે.
તાલાલા પંથકમાં ગત વર્ષે 10 કી.ગ્રા ના અંદાજે 20 લાખથી પણ વધુ બોક્સનું ઉત્પાદન થયું હતું. તે પૈકી 9 લાખ 87 હજાર 931 બોક્સ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. ગત વર્ષે તા.4 મેના રોજ યાર્ડમાં કેરીનું વેચાણ શરૂ થયું હતું, તા.17 મે ના રોજ તાઉતે વાવાઝોડું આવ્યું. ત્યારબાદ કેરીની આવક ઘટી ગઈ હતી, છતાં પણ તા.૩/૯/૨૦૨૧ એટલે કે યાર્ડમાં 35 દિવસની સિઝન ચાલી હતી. આ વર્ષે કેરીનો પાક પાછોતરો અને જુજ હોય કેસર કેરીનું પીઠું ગણાતાં તાલાલા યાર્ડ શરૂ થવાના કોઈ અણસાર જોવા મળતા નથી તેવું બાગાયતી ખેડૂતોનું કહેવું છે.
બીજી તરફ રમરેચી સેવા સહકારી મંડળીના પ્રમુખ લક્ષ્મીદાસ ઝાટકીયાના જણાવ્યા મુજબ તાલાળા પંથકની ૨૭ સહકારી મંડળીઓએ કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને રૂ.90 કરોડ બાગાયતી ધિરાણ કર્યું છે. આ ઉપરાંત બેંકોમાંથી પણ ધિરાણ મેળવ્યું હોય, તાલાલા ગીર પંથકમાં ૧૨૫ કરોડથી પણ વધુ ખેડૂતોએ બાગાયત ધિરાણ મેળવ્યું હોવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. ત્યારે કેસર કરીના પાકને છેલ્લા બે વર્ષથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય કેરીના ઉત્પાદક ખેડૂતો દયાજનક મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. માટે નોંધારા થઈ ગયેલ ખેડૂતોને બેઠા કરવા તાલાલા પંથકના કેરીના ઉત્પાદક ખેડૂતોનું ચાલુ વર્ષનું બાગાયતી ધિરાણ માફ કરવા રાજય અને કેન્દ્ર સરકાર ખાસ પેકેજ જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠી છે.
કેસર કેરીનો પાક અનુકૂળ આબોહવાના અભાવે ક્રમશઃ ઓછો થતો જાય છે તાલાલા પંથકની કુલ 29 હજાર હેકટર જમીન પૈકી 13 હજાર હેક્ટર જમીનમાં કેસર કેરીના બગીચામાં 15 લાખથી પણ વધુ આંબાના વૃક્ષો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
