Homeગુર્જર નગરીગુજરાતનું આ લોકપ્રિય પ્રાણી સંગ્રહાલય પહેરશે નવા વાઘા, જાનવરોના પાંજરા બદલાશે, ગાર્ડનનું...

ગુજરાતનું આ લોકપ્રિય પ્રાણી સંગ્રહાલય પહેરશે નવા વાઘા, જાનવરોના પાંજરા બદલાશે, ગાર્ડનનું સમારકામ કરવામાં આવશે

Team Chabuk-Gujarat Desk: વર્ષ 1951માં અમદાવાદનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય નિર્માણ પામ્યા બાદ ત્યારથી અત્યાર સુધી તેના જીર્ણોદ્ધારની કામગીર કરવામાં નહોતી આવી. અર્થાત્ પ્રાણીઓના પાંજરાઓ બદલવામાં નહોતા આવ્યા. જોકે હવે પ્રશાસન દ્વારા પાંજરા બદલવાના નિર્ણય પર મહોર મારવામાં આવી છે. 71 વર્ષ પછી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના પાંજરા બદલશે. પ્રાણીઓ તેમની અનુકૂળતા પ્રમાણે રહી શકે અને વિહરી શકે આ માટે સેન્ટ્રલ ઝૂ દિલ્હી પાસેથી અનુમતિ લઈ વર્ષ 2022-23ના બજેટમાં તેને બદલવાની કામગીરી કાગળ પર મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પાંજરાઓ ખૂબ જ જૂના છે ઉપરથી કેટલાક પાંજરાઓમાં પ્રાણીઓ મુક્તપણે વિહરી શકે તેટલી જગ્યા પણ નથી.

ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અસંખ્ય વિશેષતાઓમાંથી એક વિશેષતા તેના મહાકાય પીંજરા છે. જેમાં જાનવરોને હરવા ફરવાની પૂરતી અનુકૂળતા મળી રહી છે. જોકે આવું જ કાંકરિયામાં નથી. કાંકરિયામાં આવેલ અને 21 એકરમાં ફેલાયેલ કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ રૂબિન ડેવિડ દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 1974માં એશિયામાં આવેલ તમામ પ્રાણી સંગ્રહાલયોમાં તેને શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યું હતું. જોકે બાદમાં અન્ય પ્રાણી સંગ્રહાલયોનો વિકાસ થઈ ગયો પણ કાંકરિયાનું ઝૂ તેમની સ્પર્ધા કરવામાં પાછળ રહી ગયું. અહીં વિશ્વભરના સસ્તન, સરિસૃપ અને વિહંગોને રાખવામાં આવ્યા છે. જોકે હવે 71 વર્ષના વહાણ વીતી ગયાં હોય તેના પાંજરા બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પ્રાણી સંગ્રહાલયના પાંજરાઓ દાદા આદમ વખતના છે. જેથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી અનુમતિ લઈ અમદાવાદ પ્રાણી સંગ્રહાલયનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના પગલે પાંજરાના જીર્ણોદ્ધારની કામગીરી હાથ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. ચાલુ વર્ષ 2022-23ના બજેટમાં પ્રાણીસંગ્રહાલયના પાંજરાનું રિનોવેશન અને મેન્ટેનન્સની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય પક્ષીઓના વિભાગમાં પક્ષીઓ માટે નવી એવરી પણ બનાવવામાં આવશે.

વાંદરાઓના પાંજરા તેમને અનુકૂળ હોય એ રીતે મૂકવામાં આવશે, આ સિવાય હરણના પાંજરામાં પરિવર્તન અને બાળકો માટેનું રસાલા ગાર્ડન પણ પ્રાણી સંગ્રહાલયના જ હસ્તગત આવતું હોય તેના સમારકામની કામગીરી પણ કરવામાં આવશે. આ સિવાય શિયાળા, ઉનાળા અને ચોમાસા માટે શેલ્ટર બનાવવાનું આયોજન અને પ્રવાસીઓ માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવશે.

પ્રાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓ કાંકરિયા ખાતે મુલાકાત લેવા જાય તે માટે સામાન મૂકવા કાંકરિયા ગેટ નંબર ચારને મોટો બનાવી અને પ્રાણી સંગ્રહાલય પાર્કિંગ સ્ટેન્ડમાં કલોકરૂમ પણ બનાવવા બજેટમાં માગ કરાઈ છે. આ પાછળનો હેતુ પ્રાણી સંગ્રહાલયનો સારો વિકાસ થાય અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય એ છે.  

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments