Team Chabuk-Gujarat Desk: કોરોનાકાળમાં ગુજરાત સરકાર કરકસરની નીતિને કોરાણે મૂકી દીધી હોય તેવી એક ઘટના સામે આવી છે. 35 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. 35 લાખ એવી જગ્યાએ ખર્ચાયા છે જેનું કદાચ નામ તો આપ સૌને ખ્યાલ હશે પણ તેનાં કામથી પરિચિત નહીં હો. ઘણા નામ અને કામ બેઉંથી પરિચિત હશે.
ગુજરાત સરકારનું માહિતી અને પ્રસારણ વિભાગ દર વર્ષે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગુજરાત દિપોત્સવી નામનો કદથી દળદાર અંક બહાર પડે છે. આ અંક કદમાં દળદાર હોય છે પણ તેની અંદરનું સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ છે એવું ગુજરાતના સાહિત્ય શ્રેષ્ઠીઓ કે વિવેચકો કહેતા નથી. આ અંકમાં કવિતાઓ, વાર્તાઓ, લેખો અને ખાસ ચિંતનાત્મક લેખો સંપાદિત કરવામાં આવ્યા હોય છે.
છેલ્લા બે વર્ષની જો વાત કરવામાં આવે તો ગુજરાતના વાંચકો માટે 35,000 જેટલા અંક છાપવામાં આવ્યા હતા. સરકારી છાપખાનામાં જ છાપવામાં આવ્યા હતા. આ અંકો છાપવાનો ખર્ચ 60,65,884 જેટલો થયો છે. બોલી શકીએ એવા શબ્દોમાં લખીએ તો 61 લાખ રૂપિયા. ખરી વાત સાંભળશો તો આંખો મોટી થઈ જશે, કારણ કે સરકારના માહિતી વિભાગ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલા દળદાર એવા આ અંકોમાંથી 76 ટકા તો પ્રચાર અર્થે કાઢી નાખવામાં આવ્યા હતા.
વિધાનસભામાં આ વિગતો સામે રાખવામાં આવી હતી. જેમાં 2019ની સાલમાં કુલ 15 હજાર નકલો છાપવામાં આવી હતી. 2019માં છપાયેલી એ 15 હજાર નકલોમાંથી આ વાંચનાર પાસે છે કે નહીં ? કારણ કે ભાઈ આ 15 હજાર નકલોની પાછળ 25.38 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 25 લાખનો ખર્ચ તો કર્યો પણ કમાણી 1.38 લાખની જ થઈ. 5,190 નકલોનું જ વેચાણ થયું. બાકી રહેલી 9,810 નકલો તો મફતમાં વહેંચવી પડી હતી.
આવું ફક્ત 2019ની સાલમાં જ નથી થયું. 2020માં કોરોના સમયે પણ રિપીટ થયું છે. 2019માં નકલો વહેંચાતી ન હોય તો સામાન્ય રીતે આવનારા વર્ષે ઘટાડો કરવામાં આવે તેની જગ્યાએ 2020ની સાલમાં તો પાંચ હજાર નકલો વધારે છપાવી નાખી. જાણે ગુજરાતમાં સાહિત્યપ્રેમીઓની સંખ્યા એકાએક વધી ગઈ હોય.
2020માં 20 હજાર નકલો છપાઈ. જેમાં 35.28 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 3,362 નકલો વેચાણી અને સરકારને કમાણી થઈ 90 હજાર રૂપિયાની. બાકીની પ્રમોશન પેટે 16,638 નકલો મફતમાં આપી દેવાની નોબત આવી પડી.
એક તરફ ગુજરાત સરકારે કોરોના સમયે પૈસા બચાવવા જોઈએ તેની જગ્યાએ ભૂતકાળમાંથી કોઈ બોધપાઠ નથી લઈ રહી, કારણ કે કોરોના નહોતો ત્યારે જ આટલી નકલો ન વેચાઈ તો કોરોનાની હયાતીમાં ક્યાંથી વેચાશે?
ગુજરાતી વાચકો તો ખૂબ ઓછી સંખ્યામાં રહ્યા છે. આજે ગુજરાતમાં એક નવીન પ્રકારની વાંચકોની ટૂકડી ઊભી થઈ છે. જે પુસ્તક ભેટમાં મળે તેની રાહ જોતો હોય છે. એમાં 2019ની સાલમાં વેચાણમાં ઘટાડો થાય અને ભેટમાં આપવી પડે તો 2020માં વધારે ખર્ચો કરવાની શું જરૂર હતી ? આ સવાલો ઊભા થઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત